Mysamachar.in-જામનગર:
જામનગરના આંગણે લેઉવા પટેલ સમાજનો ત્રિવેણીસંગમ સમારોહ નું આયોજન પ્રમુખ મનસુખભાઈ રાબડીયાની આગેવાનીમાં સમાજ દ્વારા કરવામાં આવ્યું છે જેમાં આવતીકાલે કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવીયા, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ, કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી,રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા, કૌશિકભાઇ વેકરીયા, કમલેશભાઈ પટેલ, ધારાસભ્યો રાઘવજીભાઈ પટેલ તથા દિવ્યેશભાઇ અકબરી સહીત રાજકીય તથા સામાજીક અગ્રણીઓ અને દાતાઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
સમસ્ત લેઉવા પટેલ સમાજ જામનગર દ્વારા રણજીતનગર સ્થિત લેઉવા પટેલ સમાજ ખાતે જ્ઞાતિની એકતા અને ગૌરવના પ્રતીક સમાન એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત સાંસ્કૃતિક વારસો, સામાજિક સન્માન અને જ્ઞાતિ સમૂહ ભોજનનો ત્રિવેણી સંગમ રચાશે, જેમાં અંદાજે 50,000 જેટલા જ્ઞાતિ બંધુઓ એક સાથે ભોજન પ્રસાદ લેશે અને એકતા ની શક્તિના દર્શન કરાવશે.
કાર્યક્રમની વિગતો આપતા લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયાએ જણાવ્યું હતું કે, મુખ્ય પ્રસંગની પૂર્વ સંધ્યાએ એટલે કે તારીખ 03/01/2026 ના રોજ જામનગર લેઉવા પટેલ સમાજ ખાતે ભવ્ય મહારાસનું આયોજન કરવામાં આવ્યું છે, જે સમાજની સાંસ્કૃતિક એકતાને વધુ મજબૂત બનાવશે. ત્યારબાદ, મુખ્ય કાર્યક્રમ તારીખ 04/01/2026 ના રોજ સાંજે 4:00 થી 6:00 કલાક દરમિયાન યોજાશે. આ ગરિમાપૂર્ણ અવસરે દેશ અને રાજ્યના દિગ્ગજ નેતાઓ અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે, જેમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવીયા,નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ, કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા, કૌશિકભાઈ વેકરીયા તથા કમલેશભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
આ ભવ્ય આયોજન દરમિયાન સમાજનું ગૌરવ વધારનાર નવનિયુક્ત મંત્રીઓ અને સમાજ મા ઉદાર હાથે ફાળો આપનાર દાતાઓનો વિશેષ સન્માન સમારોહ યોજાશે. સમાજની ઉન્નતિમાં પાયાનું યોગદાન આપનાર વ્યક્તિઓનું મહાનુભાવોના હસ્તે બહુમાન કરવામાં આવશે. કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ ઉપસ્થિત તમામ 50,000 જેટલા જ્ઞાતિજનો માટે સમૂહ જ્ઞાતિ ભોજનનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લેઉવા પટેલ સમાજ જામનગરના કાર્યકર્તાઓ અને સ્વયંસેવકો રાત-દિવસ જહેમત ઉઠાવી રહ્યા છે.જ્યારે સમસ્ત સમૂહ જ્ઞાતિ ભોજનમાં લેઉવા પટેલ સેવા સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા અને મંત્રી અશોકભાઈ પટેલ દ્વારા મોટી સંખ્યામાં જ્ઞાતિજનોને તમામ કાર્યક્રમમાં સહભાગી થવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

























































