Mysamachar.in-જામનગર:
જામનગરના સ્થાનિક રાજકારણમાં અને ખાસ કરીને મુસ્લિમ સમાજની રાજકીય આલમમાં ભરશિયાળે ગરમાવો વ્યાપી ગયો છે. વિપક્ષના એક પૂર્વ નેતાએ હુમલાખોરોને મોકલી વિપક્ષના અન્ય એક પૂર્વ નેતા પર સરાજાહેર અને ધોળે દિવસે, ધમધમતા રસ્તા પર ખૂની હુમલો કરાવતાં શહેરમાં સનસનાટી મચી ગઈ છે.
ગઈકાલે સોમવારે સાંજના સમયે શહેરના લાલ બંગલા અને ટાઉનહોલને જોડતાં ગૌરવપથ પર મહાનગર સેવાસદન પાસે જ આ ખૂની હુમલો, ગુનાહિત કાવતરાંના ભાગરૂપે થતાં સમગ્ર શહેરમાં આ સમાચાર વાયુવેગે પ્રસરી ગયા હતાં અને ત્યારબાદ શહેરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના પટ્ટણીવાડ વિસ્તારમાં બંધની સ્થિતિઓ જોવા મળતાં ખાસ કરીને મુસ્લિમ વસતિ ધરાવતાં વિસ્તારોમાં એક અજીબ સન્નાટો છવાઈ ગયો હતો.
ગઈકાલે સોમવારે સાંજે સમગ્ર શહેરમાં ચર્ચાઓ હતી કે, અસલમ ખિલજી પર ખૂની હુમલો થયો છે અને હુમલાખોરોએ ચારેય હાથપગ તોડી નાંખ્યા છે. બાદમાં ઈજાગ્રસ્ત અસલમ ખિલજીને પ્રથમ જીજી હોસ્પિટલમાં તાકીદની સારવાર આપવામાં આવી અને બાદમાં તેને સઘન સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.
આ ખૂની બનાવ અંગે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે. આ બનાવ ગત્ રાત્રે પોણાં આઠ વાગ્યા આસપાસ બન્યો હતો. આ મામલાની ફરિયાદ ગત્ રાત્રે અઢી વાગ્યે થઈ છે. શહેરના પટ્ટણીવાડ વિસ્તારમાં પૂરબિયાની ખડકી પાસે રહેતાં 30 વર્ષના વેપારી શાહનવાઝ ખિલજીએ ફરિયાદ દાખલ કરાવી છે.
આ ફરિયાદમાં કહેવાયું છે કે, અસલમ ખિલજી પોતાના એકસેસ સ્કૂટર પર ગૌરવપથ પરથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે, વીજકચેરી અને ભીડભંજન મહાદેવ મંદિર વચ્ચેના રોડ પર પહોંચ્યા એ સમયે, એક કાર પાછળથી ધસમસતી આવી અને એકસેસને પાછળથી જોરદાર ટક્કર લગાવી નીચે પાડી દીધું. આ કારણથી અસલમ ખિલજી રોડ પર ફસડાઈ જતાં, જુનૈદ (પાવડરીયો-જુનિયો) રજાક ચૌહાણ અસલમ ખિલજીને મારી નાંખવાના ઈરાદે તલવાર વડે તૂટી પડ્યો, માથાના ભાગે જમણી બાજુ કાનની પાછળ તલવારનો ઘા માર્યો, ઈસ્તીયાક (ચોટલી) બોદુ કુરેશીએ લોખંડના પાઈપ વડે ડાબા પગ તથા ડાબા હાથ પર ઘા માર્યા, ઘૂંટણના નીચેના ભાગમાં ઘા માર્યા, સલીમ વલી ખિલજીએ લોખંડના પાઈપ વડે બંને પગમાં જેમ ફાવે તેમ ઘા માર્યા હતાં, હબીબ ખફીએ લોખંડના પાઈપ વડે બંને પગમાં ઘા માર્યા હતાં અને સમીર(ચોર) શકીલ ચૌહાણે લાકડાના ધોકા વડે બેફામ માર માર્યો હતો. આ પાંચેય આરોપીઓએ અસલમ ખિલજીને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. આ પાંચેય આરોપીઓને ગુનાહિત કાવતરાંના ભાગરૂપે અલ્તાફ ખફીએ આ હુમલો કરવા મોકલ્યા હતાં, એમ શાહનવાઝ ખિલજીએ ફરિયાદમાં લખાવ્યું છે.
પોલીસે આ અડધો ડઝન આરોપીઓ વિરુદ્ધ BNSની કલમ-109(1), 117(1), 118(1), 115(2), 352, 351(3), 61(2), 189(1), 190 તથા GP એક્ટની કલમ- 135(1) મુજબ ગુનો દાખલ કર્યો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, અસલમ ખિલજી ઘણાં મહિનાઓ અગાઉ કોંગ્રેસની બહાર થઈ ગયા છે. અગાઉ તે તથા અલ્તાફ ખફી બંને કોંગ્રેસમાં સાથે હતાં. અને, અસલમ ખિલજી તાજેતરમાં ‘આપ’ માં જોડાયા છે. આ હુમલાની જાણ થતાં આમ આદમી પાર્ટીના આગેવાનો હોસ્પિટલ દોડી ગયા હતાં અને ઈજાગ્રસ્ત અસલમ ખિલજીના ખબર અંતર પૂછ્યા હતાં.

























































