Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાના ટેક્સ ઓફીસર પર ગંભીર પગલાની ઘાત ગાજે છે તેમ જાણકાર સુત્રો કહે છે કેમકે મનપાને કથિત જંગી નાણાકીય નુકસાન કરનાર ટેક્સ ઓફીસર નંદાણીયાના કરતુતોનો પર્દાફાશ થઇ ગયો છે, તેમજ પુરાવાઓ સાથે રિપોર્ટ પણ આસી.કમી.ટેક્સએ કરી દીધો હોય હવે માત્ર પગલા લેવાનુ જ બાકી છે, ત્યારે મહાનગરપાલિકાના હિતમા નંદાણીયા સામે આકરા પગલા લઇ કમીશનર ચોક્કસ પ્રકારનો દાખલો બેસાડશે તેવો અંદાઝ કરવામા આવી રહ્યો છે ઉપરાંત એસીબી અને વીજીલન્સની તપાસ થાય તો પણ નવાઇ નહી તેવી શક્યતાઓ પણ જોવાઇ રહી છે,
કોર્પોરેશનની મુખ્ય આવક એવી મીલકતવેરાની અબજોની આવકમા ગોટાળા કરી ચોક્કસ આસામીઓને લાભ અપાવા તેમજ કામમા ઘોર બેદરકારી રાખવી ઉપરાંત જેના હાથ ઉપર છે તેનો “વા” રાખી કોઇને દાદ ન આપવી તેમજ એકંદર મહાપાલીકાની આવકને નુકસાન કરી ભારે ભ્રષ્ટાચાર આચરનાર આ ઓફીસર નંદાણીયાને હવે કોઇ બચાવી પણ નહી શકે તેવી તેમની સનસનીખેજ ગેરરીતીઓ પુરાવા સાથે કમીશનરને રજુ કરાઇ છે તેમજ કમીશનર વિજય ખરાડી પારદર્શી વહીવટના આગ્રહી હોવાથી નંદાણીયા ઉપર ગંભીર પગલાની ઘાત ઝળુંબતી હોવાનુ ચર્ચાય છે,
જેમ બિલાડીને દુધના રખોપા ન જ અપાય તેમ કરીએ તો નુકસાન તો થવાનુ જ ત્યારે અગાઉના કમીશનરે નંદાણીયાને ટેક્સમા ન મુકવા નોંધ કરેલી હતી છતા નંદાણીયાને ત્યા મુકાયા અને આખરે મનપાની ટેક્સ શાખાને કરોડોના ટેક્સનું નુકશાન કરનાર બીજું કોઈ નહી ખુદ ટેક્સ ઓફિસર જ દાટ વાળી રહ્યાનો આસી.કમિશ્નર ટેકસના અહેવાલમાં મોટો ધડાકો થયો છે ત્યારે અમુક જાણકારના મતે આ સમગ્ર મામલે વિજીલન્સ એસીબી સહિતની તપાસનીશ એજન્સીઓની તપાસની જરૂર ઉભી થઇ છે,
-કેવી રીતે થયો પર્દાફાશ..રોચક બાબત..
જામનગર મહાનગરપાલિકાના મિલકતવેરા શાખાની મનપાના જ ઓડીટ અહેવાલમાં કેટલીક વખત ટીકાઓ થતી રહી છે, તેમાં પણ આ બ્રાંચમાં રહેલા અમુક કસબીઓ દ્વારા બિલ્ડર સહીતનાઓને જોઈતી સવલતો પૂરી પાડવામાં આવે છે, એવામાં ખુદ મનપાના જ ચીફ એકાઉન્ટન્ટ અને આસી.કમિશ્નર ટેક્સ દ્વારા તેમની પાસે એક અરજદાર આવ્યા અને તેને મિલકતવેરા શાખામાં કઈ રીતે સાચા ખોટા ચાલે છે તેની રજૂઆત કરતા તેવોએ આ મામલે તપાસ કરતા મોટા કૌભાંડો ખુલવા પામ્યા છે અને તેનો રેલો હવે કેટલાને પગતળે પહોચે છે તે જોવાનું છે, અને મનપાને આર્થિક નુકશાની પહોચાડવામાં આવી હોય તો આ મામલે એસીબીની પણ ઊંડાણપૂર્વકની તપાસ ઉપરાંત મનપાની ખાતાકીય તપાસ માંગી લેતો વિષય છે અને આ આ મામલે તપાસ રીપોર્ટ જાહેર ના થાય ત્યાં સુધી સત્ય શું તે કહેવું ઘણું વહેલું કેહવાય તેવું લાગે છે માટે મનપાના આર્થિક હિતને લાગત આ બાબતે તાત્કાલિક ખાતાકીય સહિતની તપાસો શરુ થાય તે ઇચ્છનીય છે.જે ખાનગી અહેવાલ મનપા કમિશનરને સુપ્રત કરવામાં આવ્યો છે તેમાં ગંભીર બાબતો સામે આવી છે
-7300 જેટલી મિલકતોને બિલીંગ પ્રક્રિયા જ ના કરી..!! લ્યો બોલો
નવા વિસ્તારોમાં સર્વે અને તેના અપડેશન બાબતે સંપૂર્ણ સતા ટેકસ ઓફિસર જી.જે. નંદાણીયાને સોંપવામાં આવેલ છે. નવા વિસ્તારોને 7300 જેટલી મિલ્કતોની એસેસમેન્ટ નોટિસ બજાવ્યા બાદ પણ અને અમારા દ્વારા વારંવાર સૂચનાઓ આપ્યા બાદ પણ આ મિલ્કતોને બીલીંગ પ્રક્રિયા તેઓ દ્વારા કરવામાં આવેલ નથી. આ પૈકીની અમૂક મિલ્કતોની તાજેતરમાં જ બીલીંગ થતાં આસામીઓ દ્વારા કોર્ટ કેસ પણ કરવામાં આવેલ છે. આ અન્વયેના આધારોની નકલ ફાઈલ આંક 124 પર સામેલ છે.
-૩૦,૦૦૦ જેટલી મિલકતોમાં લોકેશન ફેક્ટરના સુધારા પણ ના કર્યા કારણ શું?? ટેક્સ ઓફીસરને સણસણતો સવાલ
જામનગર મહાનગરપાલિકા દ્વારા સને 2018-19 થી મિલ્કતોના લોકેશન ફેકટર ચેન્જ કરવામાં આવેલ જે અન્વયેની અસરો સોફટવેરમાં થવા બાબતે અને ત્યારબાદ બિલીંગ પ્રક્રિયા કરવા બાબતે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. સામાન્યતઃ આ સુધારા-વધારાઓ લગત વોર્ડના ઈન્સ્પેકટરો દ્વારા ચકાસણી થયા બાદ ટેકસ ઓફિસર પાસે રજુ કરવામાં આવે છે અને ટેકસ ઓફિસર દ્વારા પ્રમાણિત કર્યા બાદ આસી. કમિશ્નર (ટેકસ) સમક્ષ રજુ કરવામાં આવે છે. 30,000 થી પણ વધુ મિલ્કતોમાં લોકેશન ફેક્ટરના સુધારા બાકી રહેવા પામેલ. જે સને 2020-21માં સુધારો તો કરવામાં આવેલ છે પરંતુ આ અન્વયે અનેક મિલ્કતધારકો દ્વારા વાંધાઓ રજુ કરવામાં આવેલ છે. નમૂનારૂપ વાંધાઓ અને અન્ય વિગતોની નકલ ફાઈલ આંક 125 થી 154 પર સામેલ રાખેલ છે.
-પોણા બે કરોડની ચોખી નુકશાની કરાવ્યાનુ પ્રાથમીક તારણ….એ સિવાય પણ જંગી ગોટાળા
સને 2020-21ના જનરલ બોર્ડ ઠરાવ નં.123 બી તા. 19-2-20 થી વહીક્લ ટેકસના દરોમાં વધારો મંજુર કરવામાં આવેલ છે અને આ ઠરાવની અમલવારી બાબતે આસી.કમિશ્નર ટેક્સ દ્વારા તા. 21-4-20ના રોજ ઠરાવની નકલ ટેકસ ઓફિસરને મોકલવામાં આવેલ છે. આ વધારા અન્વયે વહીકલ ટેકસ મોડયુલમાં સુધારો કરી તે મુજબ વેરા વસૂલાત કરવાની રહે છે પરંતુ ટેકસ ઓફિસર દ્વારા આ બાબતે કોઈ જ કાર્યવાહી હાથ ધરેલ ન હતી જેના હિસાબે રૂા.1.75 કરોડ જેટલી નુકશાની થયેલ છે અને તાજેતરમાં તા. 8-4-21 ના પત્રથી આ સુધારો અમારા એટલે કે ઇન્ચાર્જ આસી.કમિશ્નર ટેક્સ દ્વારા કરાવવામાં આવેલ છે. આમ ટેકસ ઓફિસરની ગંભીર બેદરકારીના હિસાબે જામનગર મહાનગરપાલિકાને સીધુ નુકશાન થવા પામેલ છે. હજુ આ નુકસાનનો આંક જંગી હોવા અંગેનુ સ્પષ્ટ તારણ છે તેમજ તે માટે બહોળો લાભ મેળવવા ગઠબંધન કરી ગંભીર કથિત નાણાકીય ગેરરીતી કરી હોય હજુ ઘણી બાબતો બહાર આવ્યા જ કરશે તે સ્વાભાવિક છે.જો કે આ મામલે my samachar દ્વારા જેના વિરુધ આ રીપોર્ટ થયો છે અને કથિત આક્ષેપો થઇ રહ્યા છે તે ટેક્સ ઓફીસર જી જે.નંદાણીયાની પ્રતિક્રિયા લઇ તેમનો પક્ષ રાખવાનો પણ પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ તેવો આ મામલે કાઈ કહેવા માંગતા નથી.