Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાની આવક ખર્ચની વિગતો જાણવા મળી છે. મહાનગરપાલિકાએ નાણાંકીય વર્ષ 2023-24માં મિલ્કતવેરાની આવકનો જે અંદાજ લગાવેલો હતો તે કરતાં વધુ આવક થઈ હોવાનું જાહેર થયું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં મહાનગરપાલિકાએ વેરાઓ અને ચાર્જમાં 100 ટકા વ્યાજમાફીની યોજના અમલમાં મૂકી હતી. જેને સારો પ્રતિસાદ મળેલ હોવાનું આંકડાઓ જણાવે છે.
જામનગર મહાનગરપાલિકાએ નાણાંકીય વર્ષ 2023-24 માં રૂ. 1,189 કરોડની કુલ આવકનો અંદાજ લગાવ્યો હતો.જેની સામે કુલ ખરેખર આવક રૂ. 1,133.60 કરોડ થઈ છે. આ ઉપરાંત મહાનગરપાલિકાએ કુલ ખર્ચનો અંદાજ રૂ. 1,136.60 કરોડ ધાર્યો હતો. તેની સામે રૂ. 847.80 કરોડનો ખરેખર ખર્ચ થયો છે. જામનગર મહાનગરપાલિકાએ અંદાજ લગાવ્યો હતો કે, મિલ્કતવેરા પેટે રૂ. 122.37 કરોડની આવક થશે, જેની સામે ખરેખર આવક રૂ. 123.04 કરોડ થઈ છે. વ્યાજમાફી યોજના 31 માર્ચ, રાત્રિના બાર વાગ્યા સુધી અમલમાં હતી. કરદાતાઓ રવિવારની જાહેર રજામાં પણ કોર્પોરેશનના કેશ કલેક્શન સેન્ટરમાં વેરાઓ અને ચાર્જ ભરી શક્યા હતાં.વધુમાં વધુ કરદાતાઓ મિલકત વેરાની ભરપાઈ કરે તે માટે જામનગર મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીના સઘન માર્ગદર્શન અને સૂચનાઓ મુજબ મનપાના આસી.કમિશ્નર ટેક્સ જીગ્નેશ નિર્મળની રાહબરીમાં ટેક્સ વિભાગની ટીમે કરેલ અથાગ મહેનતને સફળતા મળી છે.