Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લાના જોડિયા તાલુકાને આમ તો કાયમી દરેક બાબતોને લઈને અન્યાય થતો રહ્યો છે અને આ તાલુકામાં સરકારના વિકાસના કામો જોઈએ તેવા ક્યારેય થયા નથી અને આ તાલુકો છેવાડાનો તાલુકો હોય વિકાસ સુવિધાઓથી આમ તો વંચિત જેવો છે અને અહીંથી લોકો ધીમે ધીમે સ્થળાંતર થવા લાગ્યા છે, તેવું પણ ક્યારેક ક્યારેક સામે આવે છે, એવામાં આ તાલુકા માટે નાના પણ સારા સમાચાર આવ્યા છે.
ગુજરાત સરકારે જામનગરના જોડિયા તાલુકાના નાગરિકોની દિર્ઘકાલિન માંગણીને હકારાત્મક વાચા આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ગામની વધતી જતી વસ્તી અને શહેર સાથેનાં જોડાણને ધ્યાનમાં રાખીને બસ સ્ટેન્ડની જરૂરિયાત વધુ તીવ્ર બની હતી. જોડિયા ગામનાં નાગરિકોએ નવા બસ સ્ટેન્ડના નિર્માણ માટે જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને રજૂઆત કરી હતી. કૃષિ મંત્રીએ જોડિયા ગામનાં લોકોની માંગણીને સત્વરે ધ્યાને લઇ ઉચ્ચ સ્તરે રજૂઆત કરી બસ સ્ટેન્ડ માટે જમીન ફાળવણીની પ્રક્રિયા આગળ વધારી હતી.
મંત્રી રાઘવજી પટેલની આ રજૂઆતને ધ્યાને લઇ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા બસ સ્ટેશન માટેના પ્રસ્તાવને તાત્કાલિક મંજૂરી આપીને જોડિયા ગામના લોકોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જોડિયા તાલુકામાં બસ સ્ટેશન માટે જમીન ફાળવણી કરી દેવામાં આવી છે. આશરે 4000 ચો.મી. જમીન પર નવા બસ સ્ટેશનનું નિર્માણ કાર્ય ટૂંક સમયમાં જ શરુ થશે.
આ નિર્ણય અંગે પ્રતિભાવ આપતા કૃષિ મંત્રીએ જણાવ્યું કે, સામાન્ય જનતાની સુવિધાઓ અને જરૂરીયાતોને પરિપૂર્ણ કરવા માટે રાજ્ય સરકાર હરહંમેશથી પ્રયત્નશીલ છે. જોડિયામાં નવા બસ સ્ટેશનની જરૂરિયાત ઘણા સમયથી અનુભવાતી હતી, જેની રજૂઆત કરતા ખુબ જ ટૂંકા ગાળામાં રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકોને છેવાડાના ગામો સુધી ઉત્તમ પરિવહન સેવાઓ પૂરી પાડવી એ રાજ્ય સરકારની નેમ છે. જામનગરના જોડિયા તાલુકાના આર્થિક અને સામાજિક વિકાસ માટે વાહન વ્યવહાર વિભાગ દ્વારા લેવાયેલો આ નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ પૂરવાર થશે. જોડીયા ખાતે નવા બસ સ્ટેશનના નિર્માણથી જોડિયા ઉપરાંત આસપાસના વિસ્તારના નાગરિકોની યાતાયાતની સુવિધામાં વધારો થશે.