Mysamachar.in-જામનગર:
જામનગર સહિત સમગ્ર રાજયમાં હોટેલ અને રેસ્ટોરન્ટનો બિઝનેસ ચિક્કાર કમાણી કરે છે. લોકોને અતિ મોંઘા ભાવે ફૂડ પીરસવામાં આવે છે પરંતુ આ ફૂડ બનાવતી વખતે જરૂરીનિયમોનું પાલન કરવામાં આવતું નથી અને ખાદ્યચીજોના જથ્થા સંબંધે ગ્રાહકો સાથે છેતરપિંડી પણ કરવામાં આવે છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા- એમ બંને જિલ્લાઓમાં આ રમત રમાઈ રહી છે. આ મુદ્દે ગ્રાહકોના હિતમાં એક સંસ્થાએ અવાજ ઉઠાવ્યો છે.
જામનગરની સંસ્થા ગ્રાહક સુરક્ષા મંડળએ શહેરના કમિશનર સહિતના સ્થાનિક સત્તાવાળાઓ ઉપરાંત ગાંધીનગર ખાતે પણ આ લેખિત રજૂઆત મોકલી છે. મંડળના સેક્રેટરી કિશોર મજીઠિયાએ આ લેખિત રજૂઆતમાં કહ્યું છે કે, જામનગર અને દેવભૂમિ દ્વારકા શહેર અને જિલ્લાઓમાં ચાલતી હોટેલો અને રેસ્ટોરન્ટમાં ભેળસેળ થાય છે કે કેમ ? તેની ચકાસણીઓ થવી જોઈએ. આ ધંધાર્થીઓ એકનું એક ખાદ્યતેલ વારંવાર ઉપયોગમાં લઈ ગ્રાહકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરી રહ્યા છે.
આ ઉપરાંત રજૂઆત કહે છે કે, તમામ હોટેલ અને રેસ્ટોરન્ટમાં મેનુ કાર્ડમાં ખાદ્ય ચીજોના વજન લખવામાં આવતાં નથી. ગ્રાહકો આ ચીજોના વજનની જાણકારી મેળવી શકે તે માટે ધંધાર્થીઓએ વજનકાંટા રાખવા જોઈએ. મીઠાઈ પેકેટ પર એકસપાયરી તારીખો લખવી જોઈએ. એકનું એક ખાદ્ય તેલ વારંવાર ઉપયોગમાં લેવાતું હોય તેની પણ તપાસ કરવી જોઈએ. રસોડાની દિવાલો પારદર્શક રાખવી જોઈએ અને ગ્રાહકો જોઈ શકે તે પ્રકારની વ્યવસ્થાઓ રાખવી જોઈએ.
અત્રે ઉલ્લેખનિય છે કે, સમગ્ર રાજ્યમાં ખાદ્ય પદાર્થોમાં બેફામ ભેળસેળ ચાલી રહી છે એ સંજોગોમાં તંત્રોએ આ પ્રકારની રજૂઆત ન થાય તો પણ પોતાની જાતે એટલે કે સુઓમોટો રીતે આવી કાર્યવાહીઓ કરવી જોઈએ એવી સરેરાશ ગ્રાહકોની લાગણી હોય જ છે. પરંતુ અફસોસની વાત એ છે કે, તંત્રો ચેકિંગ સંબંધે કાર્યરત જોવા મળતાં નથી, ક્યારેક ક્યારેક નામ પૂરતું ચેકિંગ થતું હોય છે, તેમાં પણ આકરો દંડ કે લાંબા સમય માટે જેતે ધંધાર્થીની હોટેલ કે રેસ્ટોરન્ટ આવા ગુનાઓ માટે પણ સીલ થતાં નથી.