Mysamachar.in-જામનગર:
જામનગરનો બ્રાસ ઉદ્યોગ હજારો પરિવારોને રોજગારી પૂરી પાડે છે અને આ ઉદ્યોગ શહેર-જિલ્લાના અર્થતંત્રની કરોડરજ્જુ પણ છે, એ વાત જેટલી જ સાચી હકીકત એ પણ છે કે, આ ઉદ્યોગ શહેરની નદીને ઝેરી બનાવે છે, જમીનોને પ્રદૂષિત કરે છે અને શહેરની હવામાં પણ ઝેર ફેલાવે છે, હવામાં જોખમી રજકણો છોડે છે. આમ છતાં આ ઉદ્યોગમાં પ્રદૂષણ નિયંત્રણ માટે કોઈ જ કાર્યવાહીઓ કે કામગીરીઓ થતી નથી જેને કારણે લાખો લોકોના આરોગ્ય પર માઠી અસરો થઈ રહી છે અને અભ્યાસ કરવામાં આવે તો એ પણ સાબિત થવાની સંભાવનાઓ છે કે, આ ઉદ્યોગનું પ્રદૂષણ માણસની જિંદગી પણ છીનવે છે !
ઘણાં લાંબા સમય બાદ શહેરના ઉદ્યોગનગરમાં પ્રદૂષણ નિયંત્રણ બાબતે આકરી કાર્યવાહીઓ થઈ છે. જામનગર ઈલેક્ટ્રોપ્લેટર્સ એસોસિએશનના પ્રમુખ ખુદ શહેરમાં ઝેર વહાવી રહ્યાનું બહાર આવતાં સનસનાટી મચી ગઈ છે. શકયતાઓ તો એવી પણ છે કે, આ પ્રમુખના કારખાનાને કાયમ માટે તાળું લગાવી દેવામાં આવે તો પણ નવાઈ નહીં. કારણ કે, જામનગરથી આ સંબંધે એક ધગધગતો રિપોર્ટ ગાંધીનગર પહોંચી ગયો છે. ગાંધીનગરથી ‘કલોઝર’નો આદેશ આવી શકે છે, એમ જામનગર કચેરી જણાવે છે.

આ મામલાની વિગતો Mysamachar.in ને જામનગર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આપવામાં આવી છે. આ કચેરીના GB ભટ્ટએ જણાવ્યું છે કે, ઉપરોકત એસોસિએશનના પ્રમુખ મનસુખ ચૌહાણના ઔદ્યોગિક એકમ બીબીસી ઈલેક્ટ્રોપ્લેટર્સમાં પ્રદૂષણ નિયંત્રણ સંબંધે દરોડો પાડવામાં આવ્યો છે. આ કારખાનું પ્રદૂષણ ફેલાવે છે. આ કારખાનું દરેડ ઉદ્યોગનગર ફેઝ-3 માં આવેલું છે. ભટ્ટભાઈએ વધુમાં જણાવ્યું કે, આ કારખાના પર પાડવામાં આવેલા દરોડા દરમ્યાન ગંભીર ગેરરીતિઓ સામે આવી છે.
ભટ્ટભાઈએ વધુમાં કહ્યું કે, બીબીસી નામના આ કારખાનામાં વિવિધ બ્રાસપાર્ટ્સ પર નિકલ અને અન્ય ધાતુઓના ઈલેક્ટ્રોપ્લેટીંગ દરમિયાન જે પાણી ઉત્પન્ન થતું હોય છે તે ઝેરી અને તેજાબી એટલે કે એસિડિક હોય છે. આ કારખાનામાં આ ઝેરી પાણીનું શુદ્ધિકરણ કર્યા વગર જ, આ ઝેરી અને જોખમી પાણીને વરસાદી પાણીના નિકાલ માટેની ગટરમાં છોડવામાં આવે છે. આ ઝેરી પાણી નદીના પાણીમાં ઝેર પ્રસારે છે. આ ગંભીર ગુનો છે.

કચેરીએ વધુમાં કહ્યું કે, દરોડા દરમ્યાન આ કારખાનામાંથી કચેરી દ્વારા નમૂનાઓ એકત્ર કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસ બાદ કારખાનામાલિકને નોટિસ આપવામાં આવી છે. અને આ અંગેનો વિગતવાર અને કડક રિપોર્ટ તૈયાર કરી ગાંધીનગર ખાતે વડી કચેરીને મોકલી આપવામાં આવ્યો છે. આ હકીકતલક્ષી રિપોર્ટને ધ્યાને લઈ ગાંધીનગરથી આ કારખાના માટે ક્લોઝર નોટિસ આવી શકે છે. કારખાનાને તાળું લાગી શકે છે.
-પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કહે છે…
જી.બી.ભટ્ટે વધુમાં કહ્યું કે, આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર્યાવરણીય સંરક્ષણ અધિનિયમનો સ્પષ્ટ ભંગ છે. ઔદ્યોગિક એકમ દ્વારા પાણી શુદ્ધિકરણ માટેના ટ્રીટમેન્ટ પ્લાન્ટનો ઉપયોગ ટાળીને આ જોખમી અને ઝેરી પાણીનો આ રીતે સીધો જ નિકાલ કરવો એ ખૂબ જ ગંભીર ગુનો છે અને આ માટે અધિનિયમમાં કડક સજાની જોગવાઈઓ છે.