Mysamachar.in-જામનગર:
વર્ષોથી, જામનગર મહાનગરપાલિકાની એક ખાસિયત રહી છે, કોઈ પણ નવી યોજના કે નવા પ્રોજેક્ટની વાત શહેરીજનો સમક્ષ પ્રથમ વખત માંડે ત્યારે, સુંદર શબ્દોનો પ્રયોગ કરે, વાતને મીઠડી બનાવે, ફલાણી યોજના કે પ્રોજેક્ટથી કોર્પોરેશનને કેટલો ફાયદો થશે ? અથવા, કેટલી બચત થશે ? તેના આકર્ષક આંકડાઓ રજૂ કરે, નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાના ઉદાહરણો પેશ કરે અને નગરજનો પાસેથી (ધરાર) તાળીઓ ઉઘરાવવા ધમપછાડા કરે તથા લાગતાં વળગતાંઓ નિવેદનો કરે. બસ, ખેલ ખત્મ. વારતા પૂરી !!
આ પ્રકારની પ્રારંભિક વાત બહાદૂરીઓ પછી કયા પ્રોજેક્ટમાં શું ચાલી રહ્યું છે ? કોર્પોરેશનને ક્યા પ્રોજેક્ટથી શું ફાયદો મળી રહ્યો છે ? કોર્પોરેશનના કેટલાં નાણાંની બચત ક્યા પ્રોજેક્ટથી થઈ રહી છે ? અથવા, ક્યા પ્રોજેક્ટ પાછળ કોર્પોરેશનના (એટલે કે કરદાતા નગરજનોના) કેટલાં નાણાં વેડફાઈ રહ્યા છે અથવા તો, ક્યા પ્રોજેક્ટનો વાર્ષિક રિપોર્ટ અથવા હિસાબ શું છે ? તેની કોઈ જ વિગતો અથવા માહિતીઓ, કોર્પોરેશન તરફથી કરદાતાઓ સમક્ષ જાહેર કરવામાં આવતી નથી ! કાં ?! કરદાતા નગરજનોને હિસાબ આપવો કોર્પોરેશનની ફરજ છે. અને, કોર્પોરેશન દ્વારા પ્રોજેક્ટ અથવા કોઈ યોજનાની જાહેરાત સમયે જે વાતો થઈ હોય, તેનું ફોલોઅપ ન પદાધિકારીઓ લ્યે છે, ન અધિકારીઓ લ્યે છે. અને આ કારણોસર કરદાતા નગરજનોના કરોડો રૂપિયાનો વેડફાટ રાતદિવસ થતો રહે છે. આ પ્રકારની ત્રણ ચાર યોજનાઓ જગજાહેર છે. ઉદાહરણો તરીકે.
શહેરના ગાંધીનગર વિસ્તારથી થોડે દૂર, કોર્પોરેશનની હજારો મીટર જમીન પર, કોર્પોરેશનના નાણાંથી વર્ષો અગાઉ STP એટલે કે, સૂએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવાયો છે. જ્યાં શહેરના ગંદા પાણીને ટ્રીટમેન્ટ આપી, વપરાશ યોગ્ય બનાવવામાં આવે છે. આ પ્લાન્ટ શરૂ થયો એ પહેલાં બઢાવી ચઢાવીને જાહેર કરવામાં આવેલું કે, અહીં શુદ્ધ કરવામાં આવનાર પાણી ઉદ્યોગોને વેચવામાં આવશે અને તેમાંથી કોર્પોરેશન કમાણી કરશે.
આજે વર્ષોથી આ પ્લાન્ટની હકીકત એ છે કે, આ યોજના પાછળ કોર્પોરેશન કરદાતા નગરજનોના નાણાંનું આંધણ કરે છે, દરિયામાં વેડફી નાંખવામાં આવે છે અને આ પ્લાન્ટ ચલાવવા કોર્પોરેશન થોડા થોડા સમયે સ્ટેન્ડિંગ કમિટીમાં કરોડોનો ખર્ચ મંજૂર કરે છે, બિચારાં કરદાતાઓ.
આવી જ અન્ય એક યોજના એટલે આ જ વિસ્તારમાં આવેલો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ. કોર્પોરેશનનો આ પ્લાન્ટ વિવાદીત છે. વિપક્ષ તો ઠીક, શાસકપક્ષના સભ્યો પણ આજની તારીખે આ પ્લાન્ટનો વિરોધ કરે છે. આ પ્લાન્ટ રહેવાસી ઈલાકામાં પ્રદૂષણ ફેલાવે છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પણ મૂંગુ. કોર્પોરેશન આ પ્લાન્ટની આવકો તથા ખર્ચ અંગે એક શબ્દ બોલતું નથી. આ પ્લાન્ટ આજની તારીખે પણ વિવાદીત છે. આ પ્લાન્ટમાં પણ કોર્પોરેશને જમીન આપવા ઉપરાંત કરોડોનો ખર્ચ કર્યો છે, આજની તારીખે આ પ્લાન્ટને કચરો પૂરો પાડવા કોર્પોરેશન કરોડોનો ખર્ચ કરે છે, આ પ્લાન્ટમાંથી કોર્પોરેશનને કેટલાં રૂપિયાની વીજળી કેવી રીતે મળે છે, તેના આંકડાઓ શા માટે જાહેર થતાં નથી ?!
આ ઉપરાંત કોર્પોરેશનની અન્ય એક યોજના હતી, શહેરની તમામ હોટેલ અને રેસ્ટોરન્ટમાંથી કચરો એકત્ર કરવો, આ ઓર્ગેનિક કચરામાંથી ખાતર બનાવી આવક કરવી. આ માટે એક ખાનગી પાર્ટીને વર્ષો અગાઉ કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો હતો અને આ પાર્ટી દરેડ નજીક પ્લાન્ટ બનાવશે તેવી જાહેરાત કરી, કોર્પોરેશને આ કોન્ટ્રાક્ટરને નાણાં આપ્યા. રૂપિયા અઢી કરોડ વર્ષો અગાઉ આપ્યા. શરૂઆતમાં એમ નક્કી થયેલું કે, આ નાણાં ગ્રાન્ટ તરીકે આપવામાં આવશે. બાદમાં આ નાણાં લોન તરીકે આપી દેવામાં આવ્યા. આ નાણાં કોર્પોરેશને તે પાર્ટી પાસેથી પરત વસૂલ કર્યા કે કેમ ? અથવા, આ પ્લાન્ટનું હાલનું સ્ટેટસ શું છે ? તે અંગે કોર્પોરેશન કશું બોલતું નથી. આ યોજના શરૂ કરતી વખતે કોર્પોરેશને એવી જાહેરાત કરેલી કે, શહેરની હોટેલો અને તમામ રેસ્ટોરન્ટનો સૂકો અને ભીનો કચરો, આ પાર્ટી એકત્ર કરશે. પ્રોસેસ કરશે. શહેર સ્વચ્છ બનશે. કોર્પોરેશનને કમાણી થશે. આ બધી જ વારતાઓ આજની તારીખે પણ રહસ્ય જ રહી છે. હોટેલ અને રેસ્ટોરન્ટના ધંધાર્થીઓ આજે પણ પોતાનો કચરો જ્યાં ત્યાં રોડ પરની કચરાપેટીઓમાં અયોગ્ય રીતે અને નિયમ વિરુદ્ધ ઠાલવે છે, અને ગંદકી તથા પ્રદૂષણમાં વધારો કરે છે અને કોર્પોરેશન મૌન.
આવો અન્ય એક પ્લાન્ટ કોર્પોરેશન ચલાવે છે, જેને કચરાનો લિગસી પ્લાન્ટ એવું રૂપાળું નામ આપવામાં આવ્યું છે, અહીં કચરામાંથી ખાતર બનાવવામાં આવે છે, કોર્પોરેશનને કમાણી થઈ રહી છે, શહેરમાં સ્વચ્છતા માટે આ પ્લાન્ટ જરૂરી છે. આ પ્રકારની વાતો બહુ થતી રહે છે પરંતુ હકીકત એ છે કે, કોર્પોરેશન આ પ્લાન્ટ વિશે પારદર્શક વિગતો પોતાની રીતે કયારેય જાહેર કરતું નથી. આ પ્લાન્ટ પણ વર્ષોથી વિવાદમાં છે, કોન્ટ્રાક્ટરને દંડ પણ કરવો પડે છે, બિલો પણ અટકાવવા પડે છે, તપાસો પણ કરવી પડે છે પરંતુ આ પ્લાન્ટ મુદ્દે સતાવાર રીતે કોર્પોરેશન પોતાની મેળે કોઈ વિગતો બહાર પાડતું નથી. કેમ ?
આ ચાર પ્લાન્ટ અથવા યોજનાની આટલી ટૂંકી વિગતો પરથી બધું જ સમજી શકાય છે. હવે જ્યારે પણ કોર્પોરેશન કોઈ પ્લાન્ટ, યોજના કે પ્રોજેક્ટ જાહેર કરે અને નવી વાત માંડે ત્યારે, આ બધી જૂની વાતો યાદ રાખજો, કારણ કે આ બધી જ બાબતોમાં કરદાતા નગરજનોનો રૂપિયો દાવ પર લાગે છે, લાગતાં વળગતાંઓને કાંઈ નુકસાન નથી. તેઓને તો ફાયદો જ ફાયદો છે.