Mysamachar.in-ગાંધીનગર:
રાજ્યમાં હાઈવે તેમજ મહાનગરો અને નગરોના રોડ-રસ્તાના કામોની ગુણવત્તામાં રાજ્ય સરકાર કોઈ બાંધછોડ ચલાવશે નહીં આ શબ્દો રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના છે, અને આ માટેના સ્પષ્ટ દિશાનિર્દેશ આજે ગાંધીનગર ખાતેની ઉચ્ચસ્તરીય બેઠકમાં તંત્રવાહકોને આપ્યા છે. માર્ગો પરના પોટહોલ્સ પુરવાના કામો અગ્રતા ક્રમે હાથ ધરવાની સૂચના પણ આ બેઠકમાં આપી છે.
રાજ્યના મહાનગરોના મેયરઓ, સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષઓ, મ્યુનિસિપલ કમિશનઓ અને રિજનલ મ્યુનિસિપલ કમિશનરઓ આ બેઠકમાં વિડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી જોડાયા હતા અને તેમના નગરો-મહાનગરોની રોડ-રસ્તાની સ્થિતિની વિગતો મુખ્યમંત્રીને આપી હતી.આવા પ્રજાહિતના કામોમાં ક્વોલિટીમાં કોમ્પ્રોમાઈઝ કે બાંધછોડ કરવાની વાત ચલાવી લેતા નથી તેની પ્રતીતિ તેમણે અનેકવાર કરાવી છે. તાજેતરમાં 3 કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે.
એટલું જ નહીં, હલકી ગુણવત્તાના કામો કરનારા 13થી વધુ કોન્ટ્રાક્ટરોને આ વર્ષે બ્લેકલિસ્ટ કરવા સુધીના સખત શિક્ષાત્મક પગલાં પણ મુખ્યમંત્રીની સીધી સૂચનાથી લેવાયા છે.
મુખ્યમંત્રીએ ગુરૂવારે બપોરે યોજેલી આ બેઠકમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, માર્ગો પરના પોટહોલ્સ પુરવાના કામો અગ્રતા ક્રમે હાથ ધરાય એટલુ જ નહી, સંબંધિત અધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનરો અને ડેપ્યુટી કમિશનરો નિયમિત પણે ફિલ્ડ વિઝીટ કરીને કામોની ગુણવત્તા ચકાસતા રહે અને ૩૦મી નવેમ્બર સુધીમાં રોડ-રસ્તાની સમગ્રતયા સ્થિતિનો સ્થળ અહેવાલ રજૂ કરે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં પણ પ્રભારી મંત્રીઓ તેમના જિલ્લાઓમાં રોડની સ્થિતિની સમીક્ષા સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજીને તા. ૩૦ નવેમ્બર સુધીમાં પૂરી કરીને સ્થળ-સ્થિતિનો અહેવાલ સત્વરે આપવા માટે પણ સૂચના આપી હતી. તેમણે આ ઉચ્ચસ્તરીય બેઠકમાં એમ પણ જણાવ્યું કે, જે રોડ-રસ્તા મેન્ટેનન્સ ગેરેન્ટી પિરીયડ દરમિયાન તૂટી જાય તો તેના કોન્ટ્રાક્ટર્સને તાત્કાલિક બ્લેક લિસ્ટ કરવા સહિતની કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ.
-સંબંધિત અધિકારીઓ કરે ફિલ્ડ વિઝીટ….
સંબંધિત અધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનરો અને ડેપ્યુટી કમિશનરો નિયમિતપણે ફિલ્ડ વિઝીટ કરીને કામોની ગુણવત્તા ચકાસતા રહે અને ૩૦ મી નવેમ્બર સુધીમાં રોડ-રસ્તાની સમગ્ર સ્થિતિનો સ્થળ અહેવાલ રજૂ કરે, તે માટેની સૂચના પણ આપી. જે સ્થળોએ બ્રિજના કામો થતા હોય ત્યાં ડાયવર્ઝન માટેના RCC રોડ બનાવવામાં આવે, જેથી કામ પૂરું થાય ત્યાં સુધી નાગરિકોને વાહન-વ્યવહાર માટે કોઈ અગવડ ન પડે તે માટે પણ અધિકારીઓને સૂચન કર્યા. જે રસ્તા મેન્ટેનન્સ ગેરેન્ટી પિરીયડ દરમિયાન તૂટી જાય તેના કોન્ટ્રાક્ટર્સને તાત્કાલિક બ્લેક લિસ્ટ કરવા સહિતની સખ્ત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તે અંગે પણ જરૂરી સૂચનાઓ આપી.
























































