Mysamachar.in-જામનગર:
ગઈકાલે ગુરૂવારે અમદાવાદમાં કાળજુ કંપાવી દેનારી ભયાનક વિમાન દુર્ઘટના સર્જાતા આખું ગુજરાત સ્તબ્ધ છે અને સૌ ઘેરો આઘાત અનુભવી રહ્યા છે. આ દુર્ઘટનામાં મૂળ જામનગરના વતની એવા એક NRI દંપતિનો પણ ભોગ લેવાયો હોવાની વિગતો એમના પરિવારજનો દ્વારા જાહેર થઈ છે. મૂળ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા મથકના વતની અને વર્ષોથી જામનગરમાં સ્થાયી થયેલા સતવારા સમાજના પરમાર પરિવારના એક દંપતિનો આ દુર્ઘટનામાં ભોગ લેવાયો છે. જામનગરનું આ દંપતિ છેલ્લા વીસેક વર્ષથી લંડનમાં વસવાટ કરે છે.
જામનગરમાં અગાઉ BSNLમાં નોકરી કરતાં અને હાલ નિવૃત એવા અનંતભાઈ પરમારે આજે સવારે Mysamachar.in સાથેની ટેલિફોનિક વાતચીતમાં આ વિગતો આપી છે. અનંતભાઈ હાલ અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે પોતાના નાનાભાઈ અને નાનાભાઈના પત્નીના આ દુર્ઘટનામાં મોત બાદની કાર્યવાહીઓમાં રોકાયેલા છે.
અનંતભાઈએ જણાવ્યું કે, તેમના નાનાભાઈ શૈલેષભાઈ પરમાર અને શૈલેષભાઈના પત્ની નેહલબેન છેલ્લા વીસેક વર્ષથી લંડન સ્થાયી થયેલા છે. તાજેતરમાં નેહલબેનના પિતા હરિહરભાઈ બક્ષી અને નેહલબેનના માતાની તબિયત નરમગરમ રહેતી હોય, શૈલેષભાઈ તથા નેહલબેન લંડનથી જામનગર એમની તબિયતની ખબર કાઢવા માટે આવ્યા હતાં અને ગુરૂવારે આ કમભાગી વિમાનમાં પરત લંડન જઈ રહ્યા હતાં ત્યારે આ દુર્ઘટનામાં અન્ય 239 મુસાફરો સાથે આ પરમાર દંપતિનો પણ ભોગ લેવાયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, હરિહરભાઈ બક્ષી જામનગરના જાણીતા તબીબ ડો. કેયૂર બક્ષીના કાકા થાય છે.
-આ પરમાર દંપતિનો એક પુત્ર પણ અગાઉ વિમાન દુર્ઘટનામાં જ મૃત્યુ પામ્યો હતો !…
Mysamachar.in સાથેની ટેલિફોનિક વાતચીતમાં આજે અનંતભાઈ પરમારે કહ્યું કે, મૃતક શૈલેષ પરમારના પુત્રનું નામ હિત હતું. 25 વર્ષની ઉંમરે હિત પરમાર લંડનની હવાઈ ઉડ્ડયન ક્ષેત્ર સાથે સંકળાયેલી એક શૈક્ષણિક સંસ્થામાં વિમાન ઉડાડવા માટેની તાલીમ પ્રાપ્ત કરેલો પાયલોટ હતો. બાદમાં યુરોપિયન યુનિયનના દેશોમાં તે વિમાન ચલાવી શકે તે માટેની ટેસ્ટ આપી રહ્યો હતો અને તાલીમ લઈ રહ્યો હતો તે દરમ્યાન તેનું વિમાન તૂટી પડતાં હિત પરમારનો આજથી એક વર્ષ અગાઉ ભોગ લેવાયો હતો અને કમનસીબે મૃતક હિતના માતાપિતા પણ એક વર્ષ બાદ ભયાનક વિમાન દુર્ઘટનાનો ભોગ બની ગયા. આ બનાવને કારણે પરમાર પરિવાર અને બક્ષી પરિવાર શોકગ્રસ્ત બની ગયા છે.