Mysamachar.in-જામનગર:
જામનગર અને દેવભૂમિ દ્વારકા એમ જામનગર સંસદીય મત ક્ષેત્રમાં લોકોને યાત્રીઓને કેવા પ્રકારની શું જરૂરિયાત છે અને જેનાથી મોટાવર્ગને ફાયદો થાય સુવિધાઓમાં વધારો થાય તેવી યોજનાઓ વિષે જામનગર સાંસદ પૂનમબેન માડમ બારીકાઇથી અભ્યાસ કર્યા બાદ કેન્દ્રમાં જરૂરી રજૂઆત કરે છે અને તેના ઉત્કૃષ્ટ પરિણામો જામનગરની પ્રજાને મળી રહ્યા છે. અને કેન્દ્ર સરકાર તરફથી જામનગરને સતત યોજનાકીય લાભો અવિરત મળી રહ્યા છે.આવી જ વધુ એક સિદ્ધિ જામનગર સાંસદ પૂનમબેનને મળી છે.
જામનગર–હાલારને કેન્દ્ર સરકાર દ્વારા આંતર માળખાગત સુવિધામાં ખૂબ જ ઉપયોગી અને મેગા રેલ્વે પ્રોજેકટની ભેટ પીએમ ગતિશકિત નેશનલ માસ્ટર પ્લાન અંતર્ગત મળવાની જાહેરાત ગૌરવપ્રદ બાબત બની રહી છે.તેમ કહી વધુમાં સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું કે
કેન્દ્ર સરકારે છેવાડાના ગણાતા હાલારના બન્ને જીલ્લામાં કલ્પના પણ ન કરી હોય તેવા વિકાસ કામોની ભેટ ધરી છે. જેમાં સીગ્નેચર બ્રીજ,ગ્લોબલ ટ્રેડીશનલ મેડીસીન રીસર્ચ સેન્ટર જેવા મહત્વના અને વિશ્વમાં જેની ગણના થાય તેવા વિકાસ કામોની ભેટ આપણને મળી છે. હાલારનું નામ કેન્દ્રમાં અને રાજય સરકારમાં અતિ મહત્વના ભૌગોલીક જીલ્લા તરીકે પ્રસ્થાપીત થયુ છે અને મારા સંસદસભ્યના કાર્યકાળમાં જ હાલારની દરેક રજુઆતો, જરૂરીયાતો, સુવિધાઓને કેન્દ્ર સરકારે મંજુર કરી છે.
હાલારની જનતાની દરેક બાબતની ગંભીરતાપૂર્વક નોંધ લેવાઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની ચારે તરફ સર્વાગી વિકાસની દીર્ઘદૂષ્ટીનો અભિગમ, નિર્ણય શકિત અને ખાસ કરીને દેશના છેવાડા સુધી તમામ સુખ-સુવિધા મળી રહે તેવા કામોને ઝડપથી પૂર્ણ કરવાની કટીબધ્ધતાનો અનુભવ સમગ્ર દેશવાસીઓ કરી રહયા છે.
દેશના વિકાસમાં સૌથી મહત્વનું પરીબળ હોય તો તે છે રોડ, રેલ્વે, હવાઈ માર્ગની આંતરમાળખાગત પરીવહન સુવિધાની પુર્તિ કરવી. રેલ્વે દ્વારા ખાસ કરીને આપણા હાલારના બન્ને જીલ્લાની વાત કરીએ તો છેલ્લા ૧૦ વર્ષમાં દેશના દરેક મોટા ત્રણેય છેવાડાના સ્થળો સુધી લાંબા અંતરની ટ્રેનો મળી છે. આ ટ્રેનોની ફીકવન્સી અને ઝડપ વધારવા અને ખર્ચ ઘટાડવા ઈલેકટ્રીફીકેશનનું નેટવર્ક વિસ્તરી રહયુ છે. જેમાં હવે તો ઓખા સુધી અને બીજી તરફ પોરબંદર સુધી ઈલેકટ્રીફીકેશન થઈ ગયું છે.
પેસેન્જર ટ્રેનોની ફીકવન્સી વધારવા માટે સૌ કોઈ માંગણી કરી રહયા છે ત્યારે વધુને વધુ ટ્રેનોને દોડાવવા માટે ડબલ ટ્રેકની જરૂર પડી રહી છે. ત્યારે આપણને રાજકોટ થી કાનાલુસ અને હવે કાનાલુસ થી ઓખા સુધી રેલ્વેના ડબલ ટ્રેકના વિકાસ કામની મંજુરી મળી ગઈ છે. આ ડબલ ટ્રેકની લંબાઈ ૧૫૯ કિ.મી. છે. જેમાં સાત મેજર બ્રીજ આવે છે અને બાર સ્ટેશનોને સાંકળી લેશે.
રાજકોટ થી કાનાલુસ સુધીના ડબલ ટ્રેકનું કામ લગભગ ૭૦% જેટલુ પુર્ણ થયુ છે અને આગામી જુન ૨૦૨૬ માં આ કામ પુર્ણ થવાની ધારણા છે. ત્યારે કેન્દ્ર સરકારે કાનાલુસ થી ઓખા સુધી ડબલ ટ્રેકના કામને મારી ભારપુર્વકની રજુઆતને વ્હેલાસર સફળતા મળી છે અને કેન્દ્ર સરકારે આ કામ માટે રૂા. ૧૪૫૭/- કરોડની ફાળવણી કરી છે. અર્થાત હવે આ કામ પણ ટુંક સમયમાં શરૂ થઈ જશે.
ઓખાથી દ્વારકા, દ્વારકા થી ખંભાળીયા-વાડીનાર, ખંભાળીયા થી કાનાલુસ-જામનગર સુધીના પટ્ટામાં ભારતની મહાકાય ઓઈલ રીફાઈનરીઓ તેમજ અન્ય મોટા ઉધોગોના કારણે ગુડઝ ટ્રેન, ટેન્કર ટ્રેનની વ્યાપક અવર-જવર રહે છે.
સાંસદ પૂનમબેન માડમે જાણાવ્યું કે હાલના સંજોગોમાં આપણે સૌ જાણીએ છીએ કે માલ-સામાન- ઓઈલ-પેટ્રોલ-ડીઝલના પરીવહનને પણ મહત્વ આપવુ જ પડે છે. જેના કારણે પુરતો ટ્રાફીક મળી રહેવાની ખાત્રી હોવા છતા આપણને રાજકોટ સુધી કે અમદાવાદ ટર્મીનેટ થનારી ટ્રેનોને જામનગર-દ્વારકા-ઓખા સુધી લંબાવી શકતા નથી જેથી રાજકોટ થી ઓખા સુધી ડબલ ટ્રેકની પ્રાથમિકતા સાથે અતિ મહત્વની જરૂરીયાત હતી, જે હવે આગામી ત્રણ-ચાર વર્ષમાં પરીપુર્ણ થશે તેવો વિશ્વાસ છે જેથી ટેન્કર/ગુડઝ ટ્રેનના અવર-જવરને અસર ન થાય અને ઉલ્ટાની તેની ફીકવન્સી પણ વધે તે રીતે પેસેન્જર ટ્રેનોના ક્રોસીંગની સમસ્યા, સીંગલ ટ્રેકના કારણે ખાલી ટ્રેક નહી મળવા જેવી બાબતોના પણ છેદ ઉડી જશે. ઈલેકટ્રીફીકેશન અને ડબલ ટ્રેક થઈ જવાથી હાલારના બન્ને જીલ્લાને ટ્રેનોની મહતમ અને શ્રેષ્ઠ સુવિધાઓ મળશે તે દૃષ્ટીએ હાલારને રેલ્વે ક્ષેત્રે મળેલી આ વિકાસ કામની ભેટ આપણા સૌ માટે ઐતિહાસીક બની રહેશે.
હાલારના બન્ને જીલ્લામાં કેન્દ્ર સરકારના નેશનલ હાઈવેનો પ્રોજેકટ, કોસ્ટેલ હાઈવેનો પ્રોજેકટ, હાલારના રેલ્વે સ્ટેશનોને આધુનીક બનાવવાના કામ, જામનગરના એરપોર્ટનું અપગ્રેડેશન, દ્વારકામાં એરપોર્ટનું નિર્માણ જેવા વિકાસ કામો પુર ઝડપે થઈ રહયા છે. આ તકે એટલુ જરૂર કહીશ કે મારા સંસદસભ્યના કાર્યકાળમાં કદાચ ગુજરાતમાં અન્ય તમામ સંસદીય મતક્ષેત્રો કરતા સૌથી વધુ કિમંતના અને સૌથી વધુ મહત્વના લોકોપયોગી વિકાસ કામો મંજુર થયા છે, પુર્ણ થયા છે અને બાકીના પ્રોજેકટના કામ પૂરજોશમાં ચાલી રહ્યા છે
-કાનાલુસ ઓખા ડબલ ટ્રેકની સુવિધાથી મળનારા ફાયદા
રાજકોટ થી કાનાલુસ અને હવે કાનાલુસ થી દ્વારકા-ઓખા સુધી રેલ્વે ઈલેકટ્રીફીકેશન સાથે ડબલ ટ્રેકની સુવિધા મળવાથી આગામી ટુંક સમયમાં જ ખાસ કરીને ખાધ મીઠા ઉધોગના ઉત્પાદનનું પરીવહન ઝડપી બનશે અને તેના કારણે આ ઉધોગથી આર્થિક વૃધ્ધીમાં મોટો વધારો થશે. આ ઉપરાંત ઓખા બંદર તથા સલાયા બંદરે થી રેલ્વે દ્વારા માલ પરીવહનમાં વધારો થવાથી આ બન્ને બંદરોના વિકાસ સાથે આર્થિક મજબુતીકરણ થશે. ડબલ ટ્રેકની સુવિધા મળવાથી અંદાજે પ્રતિ વર્ષ ૧૧ મીલીયન ટનનો ફ્રેઇટ ટ્રાફીક વધશે.
વિશ્વનું સુપ્રસિધ્ધ જગતમંદિર દ્વારકાધીશ ભગવાનનું મંદિર તેમજ બાર જયોતીલીંગ પૈકીનું નાગેશ્વર જયોતીલીંગ હાલારમાં છે. આ ઉપરાંત બ્લુ ફલેગ, સીગ્નેચર બ્રીજ સાથે જોડાઈ ગયેલ બેટદ્વારકાના સુપ્રસિધ્ધ મંદિરો અને શીવરાજપુર બીચ પણ છે. જયાં દર વર્ષે સૌરાષ્ટ્ર-ગુજરાત તેમજ ભારતભરમાંથી અને વિદેશોમાંથી લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ-યાત્રાળુઓ આવે છે તેમના માટે રેલ્વેની સુવિધા ઝડપી, સલામત અને શ્રેષ્ઠ બની રહેશે.
પર્યાવરણનું સંતુલન પણ જાળવવામાં આ વિકાસ કામ અગત્યનું બની રહેશે. જેનાથી ૧૪ કરોડ કિલો જેટલા કાર્બન ડાયોકસાઈડની અસર ઘટી જશે. જે માટે આપણે કદાચ ૫૬ લાખ વૃક્ષો વાવીને ઉછેરવા પડે. દર વર્ષે અંદાજે ૩ કરોડ લીટર ડીઝલની બચત થશે અને સૌથી મહત્વની બાબત એ છે કે દર વર્ષે માલ પરીવહન અને લોજીસ્ટીક ખર્ચમાં રૂા.૩૧૧ કરોડની બચત થશે. એકંદરે બીજા શબ્દોમાં આ ઈલેકટ્રીફીકેશનનો અને ડબલ ટ્રેકનો જંગી ખર્ચ માત્ર ગણતરીના વર્ષોમાં જ સરભર થઈ જશે.


