Mysamachar.in:જામનગર
જામનગરની સિટી સર્વે કચેરી-1 સહિતની કચેરીઓમાં અરજદારો અને વકીલો છેલ્લાં છએક મહિનાથી ભારે હાલાકીઓનો સામનો કરી રહ્યા છે, લોકોને પોતાની મિલકતોના પ્રોપર્ટીકાર્ડ કઢાવવામાં બહુ તકલીફો પડી રહી છે, મહિનાઓ સુધી આ કાર્ડ ન મળી રહ્યા હોય લોકોના સેંકડો કામો અટકી પડ્યા છે અને મિલકતો સંબંધે વિવિધ પ્રશ્નો પણ ઉભાં થઈ રહ્યા છે. સામાન્ય નિયમ એવો છે કે, કોઈ પણ અરજદાર પોતાની મિલકતનું પ્રોપર્ટીકાર્ડ મેળવવા ઈચ્છતા હોય તેઓ આ માટે અરજી આપે તે પછીના 90 દિવસ દરમિયાન તે માટેની કાચી નોંધ કરી દેવામાં આવતી હોય છે અને એ પછીના બીજા 90 દિવસ દરમિયાન આ માટેની પાકી નોંધ દાખલ થઈ જતાં અરજદારને પોતાની મિલકત માટેનું પ્રોપર્ટીકાર્ડ મળી જતું હોય છે. પરંતુ ગત્ ઓગસ્ટ માસથી આ કામગીરીઓ ખોરંભાઈ જવા પામી છે, હજારો અરજદારોને પ્રોપર્ટીકાર્ડ મળતાં નથી તેથી જામનગર શહેરમાં આ મુદ્દે દેકારો મચી ગયો છે. લોકો અને વકીલો ખૂબ જ પરેશાન છે.
આ અંગે ઘણાં બધાં લોકોએ માય સમાચાર ડોટ ઈન સમક્ષ આ મુદ્દે આ વિલંબની જાણકારીઓ આપી હતી જે અનુસંધાને માય સમાચાર ડોટ ઈન દ્વારા પ્રોપર્ટીકાર્ડ સંબંધે કચેરીએ તપાસ કરવામાં આવી હતી, જેમાં આ વિલંબ પાછળનું ખરૂં કારણ બહાર આવ્યું છે. સિટી સર્વે કચેરીએ જણાવ્યું છે કે, હાલમાં સ્વામિત્વ યોજનાની કામગીરીઓમાં મોટાભાગનો સ્ટાફ રોકાયેલો હોય આ પ્રકારની રજૂઆતો મળી રહી છે, જેનો હાલ કોઈ ઉપાય નથી પરંતુ આ માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
કચેરીએ કહ્યું છે કે, અગાઉ રાજય સરકારની સૂચનાઓ મુજબ કચેરીમાં અડધો દિવસ પ્રોપર્ટીકાર્ડની કામગીરીઓ કરવામાં આવતી હતી અને અડધો દિવસ આ કચેરીના સ્ટાફ દ્વારા સ્વામિત્વ યોજનાની કામગીરીઓ કરવામાં આવતી હતી અને હવે સરકારની સૂચનાઓ મુજબ અઠવાડિયામાં ત્રણ દિવસ પ્રોપર્ટીકાર્ડની અને બાકીના ત્રણ દિવસ સ્વામિત્વ યોજનાની કામગીરીઓ કરવામાં આવી રહી છે, આ બંને કામગીરીઓ સાથેસાથે ચાલુ રાખવા માટે એકાંતરે દિવસે આ કામગીરીઓ કરવામાં આવી રહી છે અને સમગ્ર રાજયમાં આ રીતે કામગીરીઓ થઈ રહી છે.