Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ ને કલેક્ટર કચેરીના મીટિંગ હોલમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. પત્રકાર પરિષદમાં ચૂંટણી અધિકારીએ મીડિયાના માધ્યમથી લોકોને આ કામગીરીમાં સહયોગ આપવા અપીલ કરી હતી. તેઓએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ તા.૦૭-૦૨-૨૦૨૬ સુધી ચાલશે.
આવતીકાલ તા.૦૪-૧૧-૨૦૨૫ થી તા.૦૪-૧૨-૨૦૨૫ સુધી ગણતરીનો સમયગાળો અને તા.૦૪-૧૨-૨૦૨૫સુધીમાં મતદાન મથકોનું રેશનલાઈઝેશન/રી-એરેન્જમેન્ટ. આ દરમિયાન બીએલઓ દ્વારા મતદારોના ઘરે જઈ ફોર્મ આપવામાં આવશે. જે ભરી નાગરિકોએ પરત કરવાના રહેશે.
તા.૦૫-૧૨-૨૦૨૫થી તા.૦૮-૧૨-૨૦૨૫ સુધી કંટ્રોલ ટેબલનું અપડેશન અને મુસદ્દા મતદારયાદીની તૈયારી, તા.૦૯-૧૨-૨૦૨૫ના રોજ મુસદ્દા મતદારયાદીની પ્રસિદ્ધિ, તા.૦૯-૧૨-૨૦૨૫થી તા.૦૮-૦૧-૨૦૨૬ સુધી હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજુ કરવાનો સમયગાળો રહેશે.
તા.૦૯-૧૨-૨૦૨૫થી ૩૧-૦૧-૨૦૨૬ સુધીમાં નોટિસ તબક્કો (નોટિસ ઈશ્યુ કરવી, સુનાવણી અને ચકાસણી); ગણતરી ફોર્મ પર નિર્ણય અને EROs દ્વારા સમકાલીન રીતે હક્ક-દાવા અને વાંધા અરજીઓનો નિકાલ કરવામાં આવશે. અને ત્યારબાદ તા.૭-૨-૨૦૨૬ના રોજ મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે.
જિલ્લા ચૂંટણી અધિકારીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં હાલની સ્થિતિએ કુલ ૧૨૪૨ મતદાનમથકો છે. અને દરેક મથક દીઠ એક બીએલઓની નિમણુક કરવામાં આવી છે. મતદારો પોતાનું અને પોતાના સંબંધીઓનું નામ અગાઉની ખાસ સઘન સુધારણા(SIR)ની મતદારયાદીમાં https://voters.eci.gov.in/ પર ચકાસી શકે છે. જેથી તેઓ ગણતરી ફોર્મમાં વિગતો ભરી શકે. મદદ માટે, મતદારો સંબંધિત BLOનો સંપર્ક કરી શકે છે.





