Mysamachar.in-કાલાવડ:
હાલના વડાપ્રધાન નરેન્દ્ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અને ભારે વખાણવા લાયક કહી શકાય તેવી સૌની યોજનાના પાઈપો પહેલા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના જિલ્લામાં અને બાદમાં હવે કૃષિમંત્રી આર.સી.ફળદુ ના વતન કાલાવડના ગામોમાં ખુલી (જમીનમાં થી બહાર આવી જઈને) પાપ જાણે છાપરે ચઢીને પોકારી રહ્યું હોય તેમ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની કથિત મીલીભગત છતી કરી રહી હોય તેમ બહાર આવી રહી છે, છતાં અધિકારીઓ રીતસરના એજન્સીઓના બચાવપક્ષે ઉતરી આવતા આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પર પાણી ફરવા લાગ્યું હોય તેમ લાગી રહ્યું છે, ખરેખર તો હવે એવી સ્થિતિ થઇ ગઇ છે કે "સૌની" ના પાઇપ જ માત્ર નથી ઉછળતા રાજ્યસરકારની આબરૂ ઉછળી ઉછળી ને બહાર આવે છે,
વાત જાણે એમ છે કે ગત માસમા જામનગર અને રાજકોટ જિલ્લામા કિલોમીટરો સુધીની લંબાઇના "સૌની" યોજનાના પાઇપ છ-છ ફુટ ઉંડાઇએથી ઉછળીને એકા-એક ખેતરો જમીનો ફાડી બહાર આવ્યા હતા, અને અધિકારીઓએ તો કહી દીધું કે વરસાદ વધુ આવે તો આવું થાય..? શું આ જવાબ છે..? ત્યારે આ મામલો સળગતો હતો ત્યાં જ ગઈકાલે કાલાવડ તાલુકાના નિકાવા ગામે સૌની યોજનાના પાઇપો બહાર નીકળી ઉછળી-ઉછળી ને સિંચાઇના ભ્રષ્ટાચારને પુરાવા આપી રહ્યાનો વિડીયો વાઈરલ થતા ફરી ખળભળાટ મચી જવા પામ્યો છે,
ભારતના વડાપ્રધાન અને ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી મોદીનો સૌની એ ડ્રીમ પ્રોજેક્ટ છે, ૨૦૧૩મા આ યોજના બની ૨૦૧૪ મા યોજના ને સાકાર કરવા સરકાર આગળ વધી ૨૦૧૫ થી કામ શરૂ થયુ પરંતુ આ તો ઉલટુ થયુ છેલ્લા બાર મહિનાથી સૌરાષ્ટ્રમા જામનગર જિલ્લા સહિતના જે ૧૧૦૦૦ કરોડના ખર્ચે જુદા જુદા વિસ્તારોમા આજી ડેમ થી કનેક્ટેડ આ પાઇપલાઈનના કામ થાય છે, તેમાંથી મોટાભાગના પાઇપ બહાર નીકળી રહ્યા છે, ત્યારે નક્કર કાર્યવાહી કરી એજન્સીઓ સામે પગલા લેવાને બદલે અધિકારીઓ પોતાને બચાવી અને એજન્સીઓના બચાવપક્ષે ઉતરી આવ્યા હોય તેવા વાહિયાત જવાબો આપી મામલાને ટાળવાનો પ્રયાસ કરે છે,
સિંચાઇ વિભાગનો વર્ષોથી બહોળો અનુભવ ધરાવતા સુત્રો કહે છે કે બેક ફીલીંગ…સ્લેબીંગ….માટી પુરાણ….કોન્ક્રીટ જમીન સ્ટડી મુજબ પાઇપ બેસાડવા…પ્રોપર ઇન્સ્પેક્શન જેવી અનેક બાબતના અભાવ થી આવુ થાય છે, અને થતું રહેશે.. ૧૧૦૦૦ કરોડમાં થી વધીને ૧૮૦૦૦ કરોડના ખર્ચે થનાર આ કામથી કોને ફાયદો થઇ રહ્યો હશે એ સતાવાળાઓને જ ખબર પડે બાકી આવા કામથી તો હાલ નાણાનુ પાણી થઇ ને તો જ્યા-જ્યા સરવાણી પહોંચવી જોઇએ ત્યા પહોંચી રહી છે તેમ જાણકારોમા ચર્ચા છે અને ઠોસ પ્રજાલક્ષી કામના તો અણસાર પણ નથી.
-વરસાદ આવે અને આવું થાય તો અમે શું કરીએ:કાર્યપાલક ઈજનેર મહેતા
આ મામલે જયારે સિંચાઇ વિભાગના કાર્યપાલક ઈજનેર મહેતાની ટેલીફોનીક પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેવોએ બેજવાબદાર પ્રતિક્રિયા આપતા કહ્યું કે વરસાદ જ આટલો બધો આવે છે અને અમે કામ કરી શકતા નથી આવું થાય તો શું કરીએ તેમ કહી મામલાને ગંભીરતા થી લેવાને બદલે હળવાશ થી લઈને વાત પૂરી કરી હતી.