Mysamachar.in-જામનગર:
જામનગર શહેરની ભાગોળે રવિવારે સવારે હાઈવે પર ઉભેલી એક કારમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે, એવી વાત વાયુવેગે પ્રસરી જતાં સનસનાટી મચી ગઈ હતી. જોકે, પ્રથમદર્શનીય રીતે આ આત્મહત્યાનો બનાવ હોવાનું જાહેર થયું છે પરંતુ આપઘાતનાં કારણ અંગે હજુ સુધી કોઈ વિગતો બહાર આવવા પામી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, અંદાજે એક દાયકા પહેલાં પણ આવો એક બનાવ નોંધાયો હતો જેમાં એક યુવતીએ પોતાના ઘરમાં જ રહેલાં તેમના પિતાના હથિયાર વડે આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવમાં પણ પિતાનું હથિયાર જુવાનજોધ પુત્રનાં મોતમાં નિમિત બન્યું છે.
પોલીસનાં જણાવ્યા પ્રમાણે, રવિવારે સવારે શહેરનાં સીમાડે સમરસ હોસ્ટેલથી ખીજડીયા બાયપાસ તરફ જતાં માર્ગ પર એક કારમાં ડ્રાઈવિંગ સીટ પર બેઠેલાં એક યુવાનનું રિવોલ્વરની ગોળીથી મોત થયું છે એવી જાણકારી મળતાં પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.પી. સોઢા સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પંચનામું સહિતની પ્રાથમિક કાર્યવાહી હાથ ધરી હતી. યુવાનનાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પરંતુ હાલમાં મૃતકનો પરિવાર ઘેરાં શોકમાં ડૂબેલો હોય તેમજ પરિવારમાં મૃત્યુ સંબંધિત ધાર્મિક અને સામાજિક ક્રિયાઓ ચાલુ હોય, આ યુવાનનાં મોત અંગે પરિવારજનોનાં નિવેદન નોંધી શકાયા નથી એમ તપાસનીશ અધિકારી જે.પી.સોઢાએ Mysamachar.in સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. આમ મૃત્યુનું કારણ હાલ અકબંધ રહે છે.
પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રવિવારે બપોરે બે વાગ્યે આ બનાવની જાહેરાત કરનાર મૃતકના પિતા પીઠાભાઈ જીણાભાઇ ડેરએ નોંધાવી છે. જાહેર કરનાર પિતા ખંભાળિયા તાલુકાના વીંજલપરના સરપંચ છે અને હાલ નવાગામઘેડની મિલન સોસાયટી શેરી નં. 2 માં વસવાટ કરે છે. તેઓએ પોલીસને આપેલ માહિતીમાં જણાવ્યું છે કે, તેઓ પોતે પરવાનાવાળું હથિયાર રિવોલ્વર ધરાવે છે જે હથિયાર ઘરનાં લોકરમાંથી લોકર ખોલી મેળવી લીધાં પછી તેનો પુત્ર જય (ઉ.23) ફરિયાદી પિતાની કાર નં. જીજે-10-ડીઈ-8071 લઈ કોઈ કારણસર, ઘરમાં કોઈને કહ્યા વિના હાઈવે પર જતો રહ્યો હતો. ત્યારબાદ, સમરસ હોસ્ટેલથી આગળનાં ભાગમાં આ બનાવ બન્યાની ફરિયાદી તથા પરિવારને જાણ થતાં સમગ્ર પરિવાર હતપ્રભ બની ગયો હતો અને રોકકળ શરૂ થઈ ગઈ હતી. પુત્રની આ આત્મહત્યા અંગે ફરિયાદી સહિત સમગ્ર પરિવારમાં કોઈ વિશેષ જાણકારી ન હોવાનું હાલ સમજાઈ રહ્યું છે. જો કે, પોલીસ તપાસમાં પરિવારજનોનાં નિવેદનો પછી બનાવનાં કારણ અંગેની વિગતો બહાર આવી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ 1-વર્ષ પહેલાં જામનગરમાં એક યુવતીએ આ રીતે, ઘરમાં પિતાનાં હથિયાર વડે આત્મહત્યા કરી લીધાનો બનાવ નોંધાયો હતો. ઘરમાં રહેલું હથિયાર સ્વજનનાં મોતનું કારણ બની જાય, એ ઘટના કોઈ પણ પરિવાર માટે અત્યંત આઘાતજનક હોય છે. આ પ્રકારના બનાવો પરથી પરવાનેદાર હથિયારધારકો બોધપાઠ લઈ શકે છે. ઘરમાં રહેલું હથિયાર કોઈ પરિવારજનના હાથમાં સહેલાઈથી આવી જાય ત્યારે આ પ્રકારની ઘટનાઓ બની શકતી હોય છે.