Mysamachar.in:જામનગર
જામનગર શહેરમાં હાલ એ મુદો જાહેર ચર્ચામાં છે કે, 14 મી ઓગસ્ટના દિવસે મહાનગરપાલિકા દ્વારા જે ભવ્ય તિરંગાયાત્રા યોજવામાં આવેલી તે યાત્રા દરમિયાન શાસકપક્ષનાં એક પૂર્વ કોર્પોરેટર દ્વારા રાષ્ટ્રધ્વજને જે રીતે પકડવામાં આવ્યો હતો તે ઘટના રાષ્ટ્રધ્વજનું ગૌરવ અને સમ્માન જાળવવાના મુદે કાફી વિવાદ સર્જનારી છે. શિક્ષિત અને ધારાશાસ્ત્રી કક્ષાની વ્યક્તિ આવડી મોટી ભૂલ કરે તે વખોડવાલાયક લેખી શકાય, એવી ચર્ચા શહેરમાં ઠેર-ઠેર સાંભળવા મળી રહી છે.
તિરંગાયાત્રા શહેરનાં ભૂજિયા કોઠા નજીકથી પસાર થઈ રહી હતી તે દરમિયાન એક વ્યક્તિ પેટ્રોલપંપ સામેનાં ભાગે ઉભી હતી. તેમનાં હાથમાં રાષ્ટ્રધ્વજ હતો, જે ઉંધો પકડવામાં આવ્યો હતો ! લાકડી ઉપર અને રાષ્ટ્રધ્વજ નીચે ! આ રાષ્ટ્રધ્વજ તે વ્યક્તિના પગને પણ અડતો હતો ! સૌએ જોયું કે, આ વ્યક્તિ તો કોર્પોરેશનની શિક્ષણ સમિતિનાં ચેરમેન છે ! તેઓ તો વકીલ છે, તેઓને તો રાષ્ટ્રધ્વજ સંબંધિત નિયમોની જાણકારી હોય જ, હોવી જ જોઈએ. આ ઘટના ભારે ચકચાર જગાવનારી બની ગઇ છે.
આજે સવારે માય સમાચાર ડોટ ઈન દ્વારા આ મુદે શિક્ષણ સમિતિનાં ચેરમેન મનિષ કનખરાની પ્રતિક્રિયા ફોન દ્વારા મેળવવામાં આવી હતી. તેઓએ આ વિવાદાસ્પદ ઘટના અંગે સ્વબચાવમાં કહ્યું કે, તેઓ ત્યારે બાઈક પરથી ઉતરી યાત્રામાં જોડાયેલા બાળકો પર નજર રાખી રહ્યા હતાં ત્યારે આ ઘટના બનવા પામી હતી. ધ્વજ સહેજ નમી ગયો હતો.
હકીકત એ છે કે, રાષ્ટ્રધ્વજનાં ગૌરવ અને સમ્માન સાથે સંકળાયેલી આ ઘટના શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બની ચૂકી છે. નગરજનો વિવિધ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. આ તસવીર તથા વીડિયો અગણિત લોકોએ નિહાળી આપસી ચર્ચાઓ દરમિયાન નારાજગી અને રોષ વ્યકત કર્યા છે ! જે જગજાહેર છે.