Mysamachar.in-જામનગર:
પીળી અને ચમકતી ધાતુ સોનાનું સૌને કાયમ આકર્ષણ રહ્યું છે, ખરીદી પોસાય કે ન પોસાય તો પણ. પોસાય તેઓ સ્ટેટ્સ અને ઈન્વેસ્ટમેન્ટ માટે અને ન પોસાતું હોય તેવા લોકો રિવાજ-પરંપરા અને દેખાદેખીને કારણે કારણે સોના પાછળ દોડી રહ્યા હોય, ધંધાર્થીઓ તેજી અનુભવી રહ્યા છે અને જામનગર જેવા નાના નાના શહેરોમાં પણ સોનાના મોટાં મોટાં શોરૂમની ચકાચૌંધ સતત વધી રહી છે.
2018ની અખાત્રીજે (પ્રચારની ભાષામાં અક્ષય તૃતીયા) 32,000માં તોલું વેચાતું સોનું 2019માં માંડ 32,300 એ પહોંચ્યું હતું. પછી 2020માં આ ભાવ સીધો જ 46,527 થઈ ગયો. અને, 2021માં આ ભાવ 49,500એ અટકી ગયો અને 2022માં તે 50,800એ પહોંચી શક્યો તથા 2023માં તોલાનો ભાવ 62,000 રહ્યા બાદ 2024ની અખાત્રીજ એટલે કે આજે આ ભાવ 73,500 થી 73,900 સંભળાઈ રહ્યો છે.
બજાર સૂત્ર કહે છે, છેલ્લા ત્રણ દિવસમાં યુદ્ધો જેવા વૈશ્વિક કારણો અને તેમાં અમેરિકાની વધતી જતી સક્રિયતા તથા ચીનની સોનાની ખરીદીને કારણે બજાર ફૂલ વન-વે છે. તેજીવાળા એવું પણ ભાષણ કરી રહ્યા છે કે, યુદ્ધની વૈશ્વિક પરિસ્થિતિઓ જો આમ જ રહી અથવા વકરી, તો દીવાળીએ બિસ્કિટનો ભાવ આજે જે 7,35,000 છે તે 8,00,000 અને પછી તરત 10,00,000 થઈ શકે છે. ટૂંકમાં, તેજી દેખનારા કહે છે, સોનાનો પ્રતિ તોલા ભાવ 1 લાખ રૂપિયા તરફ દોડવા લાગે એ દિવસો દૂર નથી. સોના સાથે ચાંદી પણ તેજીનો પહાડ સડસડાટ ચડી રહ્યું છે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, ચારેક દિવસથી શેરબજાર મંદી દેખાડે છે, જે ચૂંટણીઓના મતદાન પર આધારિત હોવાનું સૂત્ર કહે છે.