Mysamachar.in:જામનગર:
જામનગર અને ગુજરાત સહિત દેશભરમાં જ્યારથી GST કર વ્યવસ્થાઓ અમલમાં આવી છે ત્યારથી કરોડો કરદાતાઓ પરેશાન છે. જૂની સમસ્યાઓની સરખામણીએ નવી સમસ્યાઓ વધુ જટિલ અને મોટી સંખ્યામાં હોવાનું બિઝનેસ વર્તુળો જણાવે છે. તેની સાથે સાથે અચરજ અને આઘાતની વાત એ પણ છે કે, કરોડો કરદાતાઓની રોજબરોજની આ હાલાકીઓના નિવારણ માટે કોઈ પણ સ્તરે નિષ્ઠાપૂર્વક પ્રયાસો પણ થતાં ન હોય, કરદાતાઓ બિચારાપણાનો અહેસાસ કરી રહ્યા છે.
જામનગર બિઝનેસ સૂત્ર કહે છે: જામનગર GST કચેરી હેઠળ નોંધાયેલા સંખ્યાબંધ કરદાતાઓ પરેશાન છે. આ કરદાતાઓના કરોડો રૂપિયા સરકારમાં બ્લોક થયેલાં હોય, મંદી અને ભારે સ્પર્ધાત્મક વાતાવરણનો સામનો કરી રહેલાં બ્રાસ સહિતના વ્યવસાય સાથે સંકળાયેલા સેંકડો ધંધાર્થીઓ નાણાંની લિકવિડિટીની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે અને ભારે નાણાંખેંચ અનુભવી રહ્યા છે.
અત્યંત આધારભૂત સૂત્ર જણાવે છે કે, આજથી સાત વર્ષ અગાઉના GST હિસાબો પૈકી વર્ષ 2017-18 ના હિસાબોનું તંત્ર દ્વારા ઘણાં સમય અગાઉ એસેસમેન્ટ થઈ ગયું છે. સેંકડો કરદાતાઓના કરોડો રૂપિયાના VAT રિફંડની રકમો સરકારમાં જમા છે, આ કરોડો રૂપિયા ધંધાર્થીઓને નિયમો અનુસાર મળવાપાત્ર છે, આમ છતાં જામનગરનું GST તંત્ર આ નાણાં પર પલાંઠી વાળીને બેસી ગયું છે. VAT રિફંડના આ નાણાં તંત્ર કરદાતાઓને આપતું નથી.
GST ના આર્ટિકલ 33 હેઠળ કરોડો રૂપિયાની આ રકમો ધંધાર્થીઓને મળવાપાત્ર હોવા છતાં આ નાણાં કરદાતાઓને પરત આપવા માટેનો ટાસ્ક જામનગર કચેરી ઓનલાઈન જનરેટ કરતી નથી, કરદાતાઓ એવો પ્રશ્ન પૂછી રહ્યા છે કે, આ ટાસ્ક જનરેટ કરવાની જામનગર કચેરીને સતા નથી ?! જો ખરેખર આમ હોય તો જામનગર કચેરીએ આ પ્રકારની પરવાનગી જૂનાગઢ કચેરી અથવા અમદાવાદ કચેરી પાસેથી મેળવી લેવી જોઈએ અને કરદાતાઓને તેમના મળવાપાત્ર આ કરોડો રૂપિયા આપી દેવા જોઈએ. તંત્ર એક તરફ કરદાતાઓના આ કરોડો રૂપિયા જમા રાખીને બેઠું છે અને બીજી તરફ કરદાતાઓ પાસેથી અન્ય કરોડો રૂપિયા વસૂલવા ઉપરાઉપરી ટેક્સ ડિમાંડ કાઢી રહ્યું છે અને કરદાતાઓને તંત્રમાં નાણાં જમા કરાવવા દબાણ આપી રહ્યું છે.
આમ સેંકડો કરદાતાઓને બંને તરફથી માર પડી રહ્યો હોય, બ્રાસ સહિતના ધંધાર્થીઓ અકળાઈ ગયા છે અને અન્ય એક સમસ્યા એ પણ છે કે, વૈશ્વિક સ્થિતિઓને કારણે બ્રાસ સહિતના વ્યવસાયમાં આયાત નિકાસ સંબંધિત પ્રશ્નો પણ મોઢું ફાડીને ઉભા છે, આ સેંકડો ધંધાર્થીઓની વિવિધ સમસ્યાઓના નિવારણ માટે કોઈ પણ સ્તરેથી કોઈ જ પ્રયાસો ન થતાં હોવાની લાગણીઓ અનુભવતા ધંધાર્થીઓ આર્થિક ઉપરાંત માનસિક તણાવનો પણ અહેસાસ કરી રહ્યા છે.