Mysamachar.in-જામનગર:
આજે ખેડૂતો માટે ખેતીને લઈને નવા વર્ષની શરૂઆત થાય છે, આ એટલા માટે કે અખાત્રીજી એટલે વણજોયા મૂહર્તનો દિવસ આ દિવસે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ખેતીના નવા વર્ષની શરૂઆત થતી હોય છે, અને ખેડૂતો ખેતીમાં ઉપયોગમાં લેવાતા ઓજારો સહિતની ચીજવસ્તુઓની પૂજાવિધિ પરિવારની દીકરીઓના હસ્તે કરાવે છે અને ખેતીનો પ્રારંભ કરે છે, અને વર્ષ સારું રહે તેવી પ્રાર્થનાઓ કરે છે.
અખાત્રીજના પર્વે ખેડૂતો ખેતરમાં જઈને ધરતીમાતાની તેમજ ખેતીના સાધનોની પૂજા કરીને પાકમાં ઉતારો સારો મળે તે માટે શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરે છે. ખેડૂત પરિવારોમાં અખાત્રીજના પર્વે ઉત્સવ જેવો માહોલ જોવા મળે છે. પાકનો ઉતારો સારો મળે તે માટે ધરતીપૂજા ‘ખેડૂત ધરતીને માતા સમાન માને છે. જે કંઈ વાવીએ તેનાંથી બમણું મળે તે માટે અખાત્રીજે ધરતી માતાનું પૂજન કરવામાં આવે છે,
બળદની જગ્યાએ ટ્રેક્ટર આવ્યા એટેલે હવે અખાત્રીજે વર્ષો અગાઉ ટ્રેક્ટર જેવા સાધનો ન હતા ત્યારે ખેડૂતો દ્વારા અખાત્રીજે મૂહુર્ત કરીને ખેતીકાર્યોનો પ્રારંભ કરવામાં આવતો હતો. બળદ અને હળથી ખેતર ખેડવામાં એકથી દોઢ મહિનાનો સમય લાગતો હતો. ખેતર ખેડી રહે ત્યાં સુધી ચોમાસુ બેસી જતાં વરસાદ શરૂ થતાં વાવણી કરવામાં આવતી હતી. હવે ટ્રેક્ટર જેવા આધુનિક સાધનોની સુવિધા હોવા છતાં અખાત્રીજના પર્વે ખેતીકાર્યનો પ્રારંભ કરવાની પરંપરા જળવાઈ રહી છે.
ધુવાવ ગામના ખેડૂત કાનજીભાઈ પરમાર mysamachar સાથેની વાતચીતમાં કહે છે કે દરવર્ષ અખાત્રીજનો દિવસ અમારા એટલે કે ખેડૂતો માટે સવિશેષ હોય છે, આજના દિવસે અમે અમારા ખેતીના ઓજારોની પૂજાવિધિ કરીએ છીએ, અમને લાગે છે આ વર્ષ સારું જશે, આજે અમે ખેતીનું ખાતમૂહર્ત કરીએ છીએ, વરસાદ આવે તે પૂર્વે ખેતર ખેડવાની, વાખેડવાની અને ખાતર ભરવાની કામગીરીનો આજથી અમે પ્રારંભ કરીએ છીએ.