Mysamachar.in:જામનગર
રાજયનાં અન્ય શહેરોની માફક જામનગરમાં પણ દબાણો મોટું દૂષણ છે. આ દબાણોનાં કારણે શહેરનાં વિકાસમાં અવરોધો પેદાં થાય છે. આ ઉપરાંત સુવિધાઓનાં ક્ષેત્રમાં પણ દબાણોને કારણે અનેક સમસ્યાઓ સર્જાતી હોય છે. કેટલાંક લોકોનો તો ફૂલટાઇમ બિઝનેસ જ દબાણો ખડકવાનો અથવા દબાણકારોને પોષણ અથવા રક્ષણ આપવાનો હોય છે ! શાસકો આ બાબત જાણતાં પણ હોય છે. પરંતુ ગાડી ચાલતી રહેતી હોય છે !
કોઇ પણ શહેરનાં વાઇબ્રન્ટ, સમતોલ અને ઝડપી વિકાસ માટે દબાણો દૂર થવા પ્રાથમિક બાબત હોય છે. શાસકો તથા તંત્ર દ્વારા આ મુદ્દા પર ફોકસ થવું જરૂર હોય છે. અને દબાણો શકય તેટલી ઝડપે દૂર થાય, નવાં દબાણો ખડકાઈ ન જાય એ જોવાની નૈતિક તથા કાયદાકીય ફરજો શાસકો તથા તંત્રની છે. શહેરમાંથી દબાણો હટે તો જ વિકાસ ઝડપી અને સમતોલ બનાવી શકાય. અને આ વાઇબ્રન્ટ વિકાસનાં લાભો સૌ નગરજનોને મળી શકે, ઝડપથી મળી શકે.
દબાણો ખડકાઈ જાય અને વર્ષો સુધી સલામત રહે, એ શાસકોની નબળાઈ અને તંત્રોની બેદરકારી અથવા સામેલગીરી લેખી શકાય. આ સ્થિતિને કારણે શહેરનો વિકાસ રુંધાઇ જાય અથવા ધીમો પડી જાય. લોકો વિકાસથી વંચિત રહે અથવા વિકાસનો લાભ વિલંબથી મળે. સરવાળે સૌને ભાગે નુકસાન આવે. શહેરની વાઇબ્રન્સીને લૂણો લાગી જાય. શહેર પૂંછડિયું બની જાય. લોકોને વેરાઓ ચૂકવવાનાં ફાયદાઓથી વંચિત રહેવું પડે.
સામાન્ય રીતે દબાણો દૂર કરતાં પહેલાં તંત્ર દબાણકારોને નોટિસ આપે છે. જેને દબાણકારો સામાન્ય સરકારી કાગળિયું ગણતાં હોય છે ! અને લાગતાં વળગતાં લોકો દબાણકારોની પીઠ પર હાથ પસરાવી એવી હૈયાધારણા પણ આપતાં હોય છે કે, ચિંતા ન કર- જોવડાવી લઉં છું ! આ માનસિકતા સમગ્ર શહેર માટે નુકસાનકારક છે. અને તંત્રએ પણ નોટિસ આપી સંતોષ ન માની લેવો જોઇએ. નોટિસ આપ્યા પછી તરત અધિકારીઓએ દબાણકારોની મુલાકાત લઈ લાલ આંખ દેખાડવી જોઈએ અને દબાણો હટાવવાની કામગીરી તટસ્થ અને ઝડપી બનાવવી જોઈએ. તંત્રએ નિર્ભય રીતે ઓપરેશનો કરવા જોઈએ, સતત કરવા જોઈએ, અને ઝડપથી કરવા જોઈએ. દબાણકારો પર તંત્રની ધાક હોવી જોઇએ. નગરજનોને ફીલ થવું જોઈએ કે, કાયદો કાયદાનું કામ કરી રહ્યો છે. આખરે તો આ મુદો સૌના હિતની, સૌના વિકાસની વાત છે.