Mysamachar.in-ગાંધીનગર:
રાજ્યના વિકાસ માટે કરવામાં આવતા બાંધકામ કામોની ગુણવત્તા અંગે કોઇપણ પ્રકારની બાંધછોડ ન કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટ બેઠકમાં સબંધિત વિભાગોના વડાઓને કડક તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત વિકાસ કામો માટે ગ્રાન્ટના અભાવે કોઈ કામ અટકવું ન જોઈએ તે અંગે પણ મુખ્યમંત્રીએ વિવિધ વિભાગોને સૂચના આપી છે
મુખ્યમંત્રી દ્વારા અપાયેલ સૂચના અનુસાર તમામ બાંધકામો પર ગુણવત્તાને કેન્દ્વમાં રાખીને કામગીરી કરવામાં આવી રહી છે. આમ છતાં કયાંક ક્ષતિ રહી જતી હોય તો જનતાના હિતમાં તાત્કાલિક અસરથી દુરસ્ત કરવા અને ગંભીર ક્ષતિના કિસ્સામાં કસૂરવા સામે કડક પગલા ભરવા સૂચના આપવામાં આવી છે.
રાજ્ય સરકારને ધ્યાનમાં આવ્યું છે કે કેટલીકવાર નાગરિકોને ગ્રાન્ટ ના હોવાનું કહીને કામો કરવામાં આવતા નથી. મુખ્યમંત્રીએ નાગરિકોની સંવેદનાને સમજીને આ બાબત પર કડકાઇથી તમામ વિભાગોના ઉચ્ચ અધિકારીઓને તાકીદ કરી છે કે ગ્રાન્ટના અભાવે કોઇ કામ અટકવું ન જોઇએ. વધુમાં ગ્રાન્ટના અભાવે કોઇ કામ ન અટકે તેની કાળજી અગાઉથી સંબંધિત અધિકારીઓએ સ્વયં લેવી જોઈએ અને જો ગ્રાન્ટ પૂર્ણ થવા આવી હોય તો અગાઉથી જ યોગ્ય વ્યવસ્થા કરીને પહેલેથી તેની માંગણી કરી લેવી જરૂરી છે. નાગરિકોનું કામ વહિવટી બાબતોના કારણે કયાંય અટકવું ન જોઇએ. તે ઉપરાંત તમામ વિભાગોએ પોતાને ફાળવેલા બજેટ માર્ચ મહિનાના અંત સુધીમાં યોગ્ય રીતે વાપરવા પણ મુખ્યમંત્રી દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે

























































