Mysamachar.in-ગાંધીનગર:
ગઈકાલે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યના જિલ્લા કલેકટરોની મહત્વપૂર્ણ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં મુખ્યમંત્રીએ કલેકટરોને જરૂરી કેટલીક તાકીદ કરી છે, લોકોની રજૂઆતો સાંભળી તેના ઝડપી, પ્રામાણિક નિવારણ માટે જિલ્લા સ્તરે વધુ સુદ્રઢ વ્યવસ્થા વિકસાવવાની તાકીદ કરી છે.
આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, જિલ્લામાં રજૂઆતો માટે આવનારી વ્યક્તિની મુશ્કેલી સમજીને તેને સહાયરૂપ થવાની સંવેદનાથી જ લોકોનો ભરોસો-વિશ્વાસ સંપાદિત થઈ શકશે. જિલ્લાકક્ષાએ નિવારણ થઈ શકે તેવા પ્રશ્નો માટે લોકોને સરકાર સુધી કે વિભાગો સુધી આવવું ના પડે અને સ્થાનિક સ્તરે જ તેનું નિવારણ ઝડપી, પારદર્શી અને અસરકારક રીતે આવે તે માટે કલેકટરોને ખાસ તાકીદ કરી હતી.
ગાંધીનગરમાં યોજાયેલી કલેકટર કોન્ફરન્સના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કલેક્ટરોને ફિલ્ડ વિઝીટને અગ્રતા આપીને સરકારી યોજનાઓના અસરકારક અમલનું મોનીટરીંગ કરવા સૂચનો કર્યા હતા. તેમણે ઓનેસ્ટી, ઇન્ટીગ્રિટી, કોમ્પીટન્સ અને ઇફેક્ટિવનેસના મુખ્ય આધાર પર સમગ્ર જિલ્લાની કામગીરીનું નેતૃત્વ કરવાનો પણ અનુરોધ કલેકટરોને કર્યો હતો.
સીએમએ જિલ્લા કલેકટરોને જણાવ્યું કે, તેમણે જિલ્લાના વડા તરીકેનું જે દાયિત્વ મળ્યું છે તેને નાનામાં નાના માનવીની સમસ્યાના નિરાકરણની જવાબદારી નિભાવીને વહન કરવાની મોટી તક છે.
ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યના જિલ્લા કલેકટરોને ટીમવર્કથી અને એકબીજા સાથે ચર્ચા કરીને સાથે મળીને કામ કરવાનું આહવાન કરતા કહ્યું કે, પરિપત્રો-નિયમોનું જિલ્લાઓમાં અલગ અલગ અર્થઘટન ન થાય અને લોકોને પોતાના કામોમાં સરળતા રહે તે માટે જિલ્લા કલેક્ટરો જવાબદારી પૂર્વક કાર્યરત રહે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સરકાર તમારી સાથે છે અને સાચી વ્યક્તિ પરેશાન ન થાય અને ખોટી વ્યક્તિ કોઈને તકલીફ ઉભી ન કરે તે માટેની સુઝ બૂઝથી કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વિના સારા અને નેક કામો માટે જિલ્લાની ટીમનું નેતૃત્વ કલેકટરોએ કરવાનું છે. જિલ્લા કલેકટરોને જન પ્રતિનિધિઓની રજૂઆતો પર યોગ્ય કાર્યવાહી કરવા સ્વામીત્વ યોજનામાં મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ વિતરણમાં ગતિ આપવા તથા જિલ્લા કક્ષાએ પણ ફીડબેક મિકેનિઝમ વધુ સુચારુ બનાવવાના સૂચનો કર્યા હતા. એટલું જ નહીં, ઓનલાઇન કામગીરી માટેના પોર્ટલ્સની સમયાંતરે સમીક્ષા થાય તેવી પણ તેમણે હિમાયત કરી હતી.
આ કોન્ફરન્સમાં મુખ્ય સચિવ એમ. કે. દાસ, વરિષ્ઠ સચિવો, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે તથા જિલ્લા કલેકટરો અને મહેસુલ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ એક દિવસીય પરિષદમાં ખાસ કરીને iORA/E-Dhara, iRCMS, DCLR/ALTના પડતર કેસોની સમીક્ષા અને આરોગ્ય વિભાગ સંબંધિત મુદ્દાઓના ચર્ચા-મંથન કરવામાં આવ્યા હતા.
























































