Mysamachar.in-જામનગર:
દર વર્ષે નવું શૈક્ષણિક સત્ર શરૂ થતું હોય છે ત્યારે ખાનગી શાળાઓ નિયમભંગ કરીને, વધારાની કમાણી કરી લેવા અનેક પ્રકારના હથકંડા અપનાવતી હોય છે અથવા કેટલાંક કિસ્સાઓમાં સંબંધિતોને જરૂરી વિગતોની જાણકારીઓ આપવામાંથી બચી જઈ વધારાના લાભો પણ અંકે કરી લેતી હોય છે પરંતુ આ વખતે ખાનગી શાળાઓના આ ભેદભરમી મનસૂબા પાર નહીં પડે કેમ કે, જિલ્લા શિક્ષણાધિકારી ખાનગી શાળાઓની મનમાની ચલાવી લેશે નહીં.
જામનગર જિલ્લા શિક્ષણાધિકારી ભરત વિડજાએ Mysamachar.in સાથેની ટેલિફોનિક વાતચીતમાં આજે જણાવ્યું છે કે, ખાનગી શાળાઓએ નવા શૈક્ષણિક સત્ર 2024-25 માટે વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી જે FRC માન્ય ફી વસૂલવાની છે તેની સંપૂર્ણ યાદી બહાર પાડી દેવામાં આવી છે. આથી વધુ ફી કોઈ પણ શાળા વસૂલી શકશે નહીં. આ FRC માન્ય ફી ની વિગતો દરેક ખાનગી શાળાએ સત્રના પ્રારંભ પહેલાં જ શાળાના નોટિસ બોર્ડ પર જાહેર કરવાની રહેશે, જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓ કેટલી ફી ભરવાની થાય છે તે જાણી શકે.
આ બાબતે નિયમ એવો છે કે, ફી ના મામલે કોઈ પણ વિદ્યાર્થીનું પરિણામ આપવાનો શાળાઓ ઈન્કાર કરી શકે નહીં. આ ઉપરાંત શાળાઓ એક સત્રથી વધુની ફી વસૂલી શકે નહીં. અને, વાલીની આર્થિક સ્થિતિ ધ્યાન પર લઈ શાળાઓ વાલીઓ પાસેથી ફી ની રકમ વસૂલે, આખી ફી હાલ વસૂલવાનો આગ્રહ ન રાખે. (અત્રે ઉલ્લેખનિય છે કે, અમદાવાદની ખાનગી શાળાઓને સૂચનાઓ આપવામાં આવી છે કે, હાલમાં માત્ર 3 મહિનાની જ ફી શાળાઓ વસૂલી શકશે). જામનગરમાં જિલ્લા શિક્ષણાધિકારીએ વધુમાં ફી ઉપરાંત એ પણ જણાવ્યું છે કે, કોઈ પણ ખાનગી શાળા વિદ્યાર્થીઓ કે વાલીઓને એ ફરજ પાડી શકશે નહીં કે, યુનિફોર્મ સહિતની ચીજો અને પુસ્તકો સહિતની શૈક્ષણિક સામગ્રી ફલાણી જગ્યા કે દુકાનેથી જ ખરીદવી. આ માટેની સૂચનાઓ પણ શાળાઓને આપવામાં આવી છે.
આમ છતાં આ બાબતોમાં કોઈ પણ શાળા મનમાની કરે તો વિદ્યાર્થીઓ અથવા વાલીઓ આ અંગેની ફરિયાદ કરી શકે તે માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનો લેન્ડ લાઇન ફોન નંબર 2553321 નોંધી રાખો. આ ઉપરાંત જિલ્લા શિક્ષણાધિકારીનો સરકારી મોબાઇલ નંબર 99099 70206 પણ નોંધી રાખો. અહી ફરિયાદ કરવા છતાં પણ કોઈ યોગ્ય પ્રત્યુતર ના મળે તો ફી કે યુનિફોર્મ સહિતની કોઈ પણ બાબતે જો વાલીઓ કોઈ ફરિયાદ કરવા ચાહે તો તે ફરિયાદની વિગતો અમોને Mysamachar.in ને વોટ્સએપ નંબર 63566 40631 પર માત્ર વિગતો મોકલીને જાણ કરી શકો છો. અમો આપને મદદરૂપ થવા શક્ય પ્રયત્ન કરીશું.