Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લામાં પવનચકકી કંપનીઓ પોતાના ધાર્યા કામો કરાવી લેવામાં અને ખેડૂતો તથા ગ્રામજનો પર દાદાગીરી આચરવાના મુદ્દે વર્ષોથી કુખ્યાત છે. નજીકના ભૂતકાળમાં ખુદ કેબિનેટમંત્રીએ પણ તંત્રનો આ મુદ્દે કાન આમળવો પડેલો. આમ છતાં આ કંપનીઓ પોતાના નિશાનો પાર પાડી રહી છે. અને, આ મુદ્દે ખુદ પદાધિકારીઓએ જિલ્લાકક્ષાની બેઠકમાં વહીવટીતંત્રનું ધ્યાન દોરવું પડે છે. થોડાં સમય અગાઉ જિલ્લાની ફરિયાદ અને સંકલન સમિતિની એક બેઠકમાં આવું એક ઉદાહરણ રેકર્ડ પર આવ્યું. આ બેઠકમાં જિ.પં.ના પ્રમુખ મેયબેન ગરચરે એક પ્રશ્ન ઉઠાવેલો. આ પ્રશ્ન પવનચકકી કંપનીઓ સંબંધે હતો. જેમાં પ્રશ્નના નિકાલની પણ પ્રોસેસ થઈ.
જિ.પં.પ્રમુખે બેઠકમાં એમ કહેલું કે, જામજોધપુર, કાલાવડ અને લાલપુર તાલુકાઓમાં પવનચકકીની કંપનીઓના ભારે વાહનો પંચાયત હસ્તકના રસ્તાઓને, ઓવરલોડિંગ સહિતના કારણોથી નુકસાન પહોંચાડે છે. જેને કારણે સંબંધિત ગ્રામજનોએ ભારે હાલાકીઓ પણ વેઠવી પડે છે. કંપનીઓએ આ કામગીરીઓ માટે, અગાઉથી જિલ્લા પંચાયતની મંજૂરીઓ લેવી જોઈએ. અને, ભારે વાહનોથી રસ્તાઓને થતાં નુકસાનની રકમો કંપનીઓએ પંચાયતમાં જમા કરાવવી જોઈએ. આ અંગે સ્થળતપાસની અને આ તપાસ અહેવાલ હવે પછીની બેઠકમાં રજૂ કરવાની પણ માંગ કરવામાં આવેલી.
બાદમાં જિ.પં.ના માર્ગ અને મકાન વિભાગે, આ સંબંધે જવાબ આપ્યો કે, કંપનીઓના આ વાહનો જે રૂટ પરથી પસાર થવાના હોય, તે રૂટ અંગે કંપનીઓએ પોતાની કામગીરીઓ શરૂ કરતાં પહેલાં, DDOને આપવાની થાય છે. અને, કંપનીઓને એ પણ જાણ કરવામાં આવી જ છે કે, પ્રત્યેક પવનચકકી દીઠ કંપનીએ આ માટે રૂ. 5 લાખ જિ.પં.માં જમા કરાવવાના રહે છે. આ પ્રકારની શરતો સાથે જ કંપનીઓને કામ કરવા મંજૂરીઓ આપવામાં આવે છે. આ જમા રકમમાંથી જેતે રસ્તાઓનું સમારકામ કરવાનું રહે છે. આ જવાબ બાદ, બેઠકમાં એવો નિર્ણય થયો કે- કંપનીઓ દ્વારા રસ્તાને નુકસાન પહોંચાડવામાં આવે તો, કંપનીના ખર્ચે રિપેરીંગની સૂચનાઓ આપવામાં આવી છે. અને, એ રીતે આ પ્રશ્નનો નિકાલ કરવામાં આવ્યો.
અત્રે ઉલ્લેખનિય છે કે, કંપનીઓ કામની શરતો મુજબ જિ.પં.માં એડવાન્સ રકમો જમા કરાવે છે કે કેમ ? તે અહીં સ્પષ્ટ થતું નથી. આ રકમો બાકી છે કે કેમ ? અને, આ મુદ્દે જિ.પં. દ્વારા કે વહીવટીતંત્ર દ્વારા કંપનીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહીઓ થઈ છે કે કેમ ? તે અહીં સ્પષ્ટ થતું નથી. જો કંપનીઓ નિયમો મુજબ જ કામ કરતી હોય તો, જિ.પં. પ્રમુખે આ પ્રશ્ન સંકલન બેઠકમાં શા માટે ઉઠાવવો પડે ? એ પણ સમજવા જેવી બાબત છે. આ પવનચકકી કંપનીઓને જિલ્લાકક્ષાએ થાબડભાણાં કરવામાં આવી રહ્યા છે ?એ પ્રશ્ન પણ અહીં સપાટી પર આવી જાય છે.