Mysamachar.in-જામનગર:
જામનગરમાં થોડાં દિવસ અગાઉ રાજ્ય સરકારની ચેટીચાંદની જાહેર રજામાં પણ ક્રિષ્ના સ્કૂલના સંચાલકોએ પોતાની સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય ચાલુ રાખ્યું હતું. NSUI અને શહેર યુવક કોંગ્રેસના હોદ્દેદારો આથી સ્કૂલ પર દોડી ગયા હતાં અને હોબાળો મચી જતાં DEO કચેરીના એક અધિકારી પણ સ્કૂલ પર પહોંચી ગયા હતાં. બાદમાં સ્કૂલ સંચાલકોએ સૌની હાજરીમાં સ્વીકાર કરવો પડ્યો કે નિયમભંગ કરીને તેઓએ રજાના દિવસે શૈક્ષણિક કાર્ય ચાલુ રાખ્યું હતું. આમ પ્રથમ દર્શનીય રીતે રેકર્ડ પર આ સ્કૂલ કસૂરવાર સાબિત ઠરી હતી છતાં આજની તારીખે આ સ્કૂલ વિરુદ્ધ કોઈ પણ પ્રકારની આકરી કાર્યવાહીઓ થઈ નથી.
આ અંગે Mysamachar.in દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી ભરત વિડજાનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવતાં તેઓએ જણાવ્યું છે કે, સ્કૂલ વિરુદ્ધ એકશન માટેની પ્રક્રિયાઓ ચાલી રહી છે. સ્કૂલને આ અંગે ખુલાસો પૂછવામાં આવ્યા બાદ પણ સ્કૂલ સંચાલકોએ ખુલાસો આપવાની તસ્દી લીધી નથી. આથી સ્કૂલ વિરુદ્ધ આકરી કાર્યવાહીઓ કરતાં અગાઉ સ્કૂલ સંચાલકોને આ મામલે ખુલાસો આપવા વધુ એક તક આપવામાં આવી છે. સ્કૂલ તરફથી ખુલાસો આવી ગયા બાદ નિયમાનુસાર સ્કૂલ વિરુદ્ધ કાર્યવાહીઓ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગર શિક્ષણ વિભાગ તરફથી ખાનગી શાળાઓ વિરુદ્ધ આ પ્રકારના નિયમભંગના વિવિધ કેસોમાં ભાગ્યે જ કયારેય આકરી કાર્યવાહીઓ થઈ હોય, ઘણી ખાનગી શાળાઓના સંચાલકો પેધી ગયા છે અને કચેરીને ગાંઠતા નથી. આ પ્રકારના મામલાઓમાં દાખલો બેસાડવા અને શાળાઓ મનમાની કરવા ન લલચાય તે માટે જિલ્લા શિક્ષણાધિકારીએ આ મામલામાં દાખલારૂપ કડક કાર્યવાહીઓ કરવી આવશ્યક હોવાનું જણાઈ રહ્યું છે. આગામી સમયમાં DEO કચેરી પોતાની જવાબદારીઓ નિભાવી આ સ્કૂલ વિરુદ્ધ કડક વલણ અખત્યાર કરશે એવી અપેક્ષા અત્રે અસ્થાને નથી. જો આમ કરવામાં નહીં આવે તો અન્ય ખાનગી શાળાઓ પણ આ કચેરીને ભાજીમૂળો સમજવાની માનસિકતા ધારણ કરી લેશે એ ભય પણ અસ્થાને ન લેખી શકાય.