Mysamachar.in:જામનગર
ગુજરાતમાં આગનાં ખાસ કરીને હોસ્પિટલોમાં આગ લાગવાનાં બનાવો પાછલાં સમયમાં ખૂબ બનેલાં જેને કારણે હાઈકોર્ટે ફાયર સેફ્ટી મુદ્દે કડક વલણ અખત્યાર કર્યું હતું. તેનાં પગલે સરકાર પણ આ મુદ્દે વધુ સંવેદનશીલ બનવા પામી જેથી હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાનો તથા કોમર્શિયલ ઈમારતોમાં ફાયર સેફ્ટી મુદ્દે જાગૃતિ આવી છે. હવે ફાયર NOC ઓનલાઇન થવાની શરૂઆત થતાં આ નવી સિસ્ટમના લાભો સૌ સુધી પહોંચી શકશે અને ફાયર સેફ્ટી સંબંધે અસરકારક કામગીરી કરી શકાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાઈરાઈઝ તથા ચોક્કસ ઉંચાઈ ધરાવતી તમામ લોરાઈઝ ઈમારતો માટે પણ હાલમાં ફાયર સેફ્ટી સિસ્ટમ વસાવવી તથા ફાયર NOC મેળવવું ફરજિયાત છે. જો કે, આ ક્ષેત્રમાં ઘણાં પ્રકારની અનિયમિતતાઓ અને ગેરરીતિઓ ચાલી રહી હોવા અંગે ઉહાપોહ મચ્યા પછી હવે શહેરી વિકાસ વિભાગનાં માર્ગદર્શન પ્રમાણે મોટાં શહેરોમાં ફાયર NOC માટેની સમગ્ર પ્રોસેસ ઓનલાઇન કરવામાં આવી છે.
હાઈરાઈઝ તથા લોરાઈઝ ઈમારતોનાં ધારકોએ બાંધકામની રજાચિઠ્ઠી મેળવતી વખતે ફાયર સેફ્ટી મુદ્દે કોર્પોરેશનની ફાયરશાખામાંથી પ્રોવિઝનલ ફાયર NOC મેળવવાનું હોય છે. આ સંબંધે સમગ્ર રાજ્યમાં વચેટિયાઓની બોલબાલાને કારણે મિલકતધારકોએ પચ્ચીસ હજાર રૂપિયા સુધીનો પ્રસાદ ધરવો પડતો હતો ! આ ઉપરાંત ઈમારતનું કમ્પલીશન પ્રમાણપત્ર કોર્પોરેશનમાંથી મેળવતી વખતે મિલકતધારકોએ ફાયર માટેનું ફાઈનલ NOC હાંસલ કરવા છ-છ આંકડામાં રકમો ચૂકવવી પડતી હતી અને વચેટિયાઓ આ કામમાં મોટો દલ્લો ભેગો કરતાં હતાં જે અંગે બહુ ઉહાપોહ મચ્યા પછી હવે અમદાવાદ તથા વડોદરા મહાનગરપાલિકાઓએ ફાયર NOC માટેની વ્યવસ્થા જ ઓનલાઇન કરી દીધી છે.
હવે મિલકતધારકોએ તમામ દસ્તાવેજો અને જરૂરી કાગળો ઓનલાઇન અપલોડ કરી દેવાનાં, જરૂરી ફી ચૂકવી દેવાની અને ત્યારબાદ મિલકતધારકો ઓનલાઇન જ ફાયર NOC પ્રાપ્ત કરી શકે તેવી વ્યવસ્થા અમદાવાદ અને વડોદરામાં ગોઠવવામાં આવી છે જેને કારણે હજારો મિલકતધારકોને રાહત મળી છે. વચેટિયાઓની ચૂંગાલમાંથી છૂટકારો મળ્યો છે. મિલકતધારકો પણ આ વ્યવસ્થાને કારણે ખોટું નહીં કરી શકે. મિલકતધારકો ઓનલાઇન ફાયર NOC મેળવી તેની પ્રિન્ટ મેળવી શકે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
-જામનગરમાં પણ આ ક્ષેત્રમાં ચોખ્ખાઈ થઈ શકે, જો ઓનલાઇન વ્યવસ્થા લાગુ થાય તો
અત્રે નોંધનીય છે કે, ઈમારતોમાં ફાયર સેફ્ટી સિસ્ટમ વસાવવી તથા ફાયર સેફ્ટી NOC મુદ્દે જામનગરમાં પણ કેટલાંક અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા અંદરખાને ઘણાં પ્રકારની ગોઠવણો થતી રહેતી હોવાની ચર્ચાઓ વચ્ચે, જો અમદાવાદ અને વડોદરાની માફક જામનગરમાં પણ ફાયર NOC મેળવવાની વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવે તો, હજારો મિલકતધારકોને આ ઝંઝટમાંથી મુક્તિ મળે એમ હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત કેટલાંક મિલકતધારકો પણ ખોટું કરતાં બંધ થઈ શકે. અને, ઈમારતોમાં ફાયર સેફ્ટી સિસ્ટમ વસાવવા સંબંધે પણ જે કાંઈ અનિયમિતતાઓ ચાલી રહી છે તેને પણ બ્રેક લાગી શકશે અને મિલકતધારકો નિયત ફી ચૂકવી ફાયર NOC મેળવી શકે.