Mysamachar.in-જામનગર:
સૌરાષ્ટ્રના નામે ઓળખાતો કાઠિયાવાડ પ્રદેશ ઘણી બધી બાબતોમાં રાજ્યના અન્ય વિસ્તારો કરતાં અલગ પડે છે. અહીં વિકાસ પણ પ્રમાણમાં ઓછો છે. વૈચારિક બાબતોમાં પણ આપણે ખાસ એડવાન્સ નથી હોતાં. રૂ. 10 નો સિક્કો- આપણાં આ વૈચારિક સંકુચિતપણાંનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
10 રૂપિયાનો સિક્કો રિઝર્વ બેન્કે વર્ષોથી એટલાં માટે ચલણમાં મૂક્યો છે કેમ કે, 10 ની નોટ છાપવી મોંઘી પડે છે. વળી આ નોટ વારંવારના ઉપયોગને કારણે જલ્દી રદ્દી બની ફાટી જાય છે. તેની સામે 10 નો સિક્કો બનાવવો સસ્તો છે અને ટકાઉ છે. એટલે લોકોની સરળતા અને સુવિધાઓ માટે આ સિક્કો ચલણમાં મૂક્યો છે. પરંતુ કાઠિયાવાડને જાણે કે સરળતા અને સુવિધાઓ ગમતી નથી. એટલે કાઠિયાવાડને આ સિક્કાની લેતીદેતીઓ પસંદ નથી !!
રૂ. 10 નો આ સિક્કો કાઠિયાવાડને બાદ કરતાં આખા ગુજરાતમાં છૂટથી લેતીદેતીઓમાં છે. કોઈને કોઈ પણ પ્રકારની તકલીફ નથી. આપણાં કાઠિયાવાડમાં લોકો 10નો સિક્કો વ્યવહારમાં લેતાંદેતાં નથી. વેપારીઓ પણ કાઠિયાવાડી છે.સ્વીકૃત ચલણની લેતીદેતીઓનો ઈનકાર આપણી માનસિકતાનું સંકુચિતપણું દેખાડે છે. સ્વીકૃત ચલણ લેવાનો ઈન્કાર કોઈ પણ ભારતીય નાગરિક કે સરકારી ખાનગી તંત્રો પણ ન કરી શકે. કારણ કે, આ ઈનકાર ગુનો છે. ફરિયાદ, સજા અને દંડ પણ થઈ શકે છે. પરંતુ લોકોને આ વાત ગળે ઉતરતી નથી.
બીજી તરફ રૂ. 10ની ચલણી નોટ રિઝર્વ બેન્કે છાપવાની લાંબા સમયથી બંધ કરી હોય, આ ચલણી નોટ બજારમાંથી ધીમેધીમે ઓછી થઈ રહી છે છતાં કાઠિયાવાડીઓ રૂ. 10 નો સિક્કો અપનાવતા નથી અને વર્ષોથી કાઠિયાવાડમાં આ સમસ્યાઓ છતાં તંત્ર અને આગેવાનો આ મુદ્દે ચૂપકીદી જાળવીને બેઠાં છે.
હવે પોરબંદર અને અન્ય કેટલાંક જિલ્લાઓમાં વેપારી સંસ્થાઓ આ મુદ્દે આગળ આવી છે અને લોકોને આ બાબતે શિક્ષિત કરવા મથે છે. ખરેખર તો લોકોએ તથા વેપારીઓએ આવી બાબતો પોતાની મેળે જ સમજવી જોઈએ, 10 નો સિક્કો વજનદાર છે એવી વાહિયાત દલીલો ન કરવી જોઈએ. આપણે 10 ના સિક્કાનો કોથળો ખભે લઈ પહાડ નથી ચડવાનો, પણ આ સ્વીકૃત ચલણને રાજ્યના અન્ય વિસ્તારો માફક સર્વ સ્વીકૃત જ બનાવવાનું છે. આટલું જ સમજવાની આવશ્યકતા છે.