Mysamachar.in:જામનગર
ગુજરાત સરકારે વર્ષો પહેલાં ‘ભાર વિનાનું ભણતર’ એ સૂત્રને વહેતું મૂકી પ્રચલિત કર્યું છે પરંતુ જામનગર જિલ્લામાં ભારથી બેવડ વળી જતાં છાત્રો અને છાત્રાઓની કમનસીબી એ છે કે, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી આ મુદ્દે ઉદાસીન છે. શાળાઓને કશું કહેતી નથી ! શાળાઓ માટે ગુજરાત સરકારે ‘ભાર વિનાનું ભણતર’ સૂત્રના અમલ માટે એવો નિયમ કર્યો છે કે, કોઈ પણ શાળાઓમાં વિદ્યાર્થીઓને વધુ પુસ્તક અને નોટબુકો લાવવાની સૂચના આપવામાં ન આવે. સરકાર ઈચ્છે છે કે, વિદ્યાર્થીઓ પર નોટબુક અને પુસ્તકોનો ફિઝિકલ ભાર ન હોવો જોઇએ. શાળાએ જતાં બાળકો માપસર વજન ધરાવતાં પુસ્તકો અને નોટબુકો લઈ જાય, અને ભારેખમ દફતરોના વજનથી બાળકો બચી શકે એ માટે આ નિયમ બનાવવામાં આવ્યો છે અને લાગુ કરવામાં આવ્યો છે.
રાજય સરકારનો નિયમ એવો છે કે, કોઈ પણ શાળાઓમાં જતાં વિદ્યાર્થીઓનાં દફતરનું વજન તે બાળકનાં પોતાના વજન કરતાં દસમા ભાગનું જ હોવું જોઈએ, તેથી વધુ વજનનાં પુસ્તકો અને નોટબુકો શાળાએ લાવવાની વિદ્યાર્થીઓને ફરજ પાડી શકાય નહીં. કોઈ પણ શાળા જો વિદ્યાર્થીઓને વધુ પુસ્તકો અને નોટબુકો શાળાએ લાવવાની ફરજ પાડે તો તેવા કિસ્સામાં એ શાળા વિરૂદ્ધ કાર્યવાહી કરવાની ફરજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની છે.
પરંતુ જામનગરની જિલ્લા શિક્ષણાધિકારી કચેરી આ મુદ્દે સંપૂર્ણ નિષ્ક્રિય છે ! આ કચેરી કોઈ પણ શાળામાં વિદ્યાર્થીઓનાં દફતરનું વજન ચેક કરતી નથી, કસૂરવાર પૂરવાર થયે શાળા વિરૂદ્ધ પગલાં ભરવાની વાત ઉદભવતી જ નથી ! કેમ કે, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી આ મુદ્દે વાલીઓ કે અન્ય કોઈ તરફથી ફરિયાદો આવે તેની રાહ જૂએ છે ! જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ વર્ષો પહેલાં આ અંગેનો પરિપત્ર દરેક શાળામાં મોકલ્યો હતો પરંતુ આ પરિપત્ર મોકલ્યા પછી તેનાં પાલનનો મુદ્દો જિલ્લા શિક્ષણાધિકારી કચેરી જાણી જોઈને ભૂલી ગઈ છે ! પાછલાં વર્ષોમાં ક્યારેય આ કચેરીએ આ મુદ્દે ચેકીંગ કામગીરી કરી નથી !
જામનગરનાં જિલ્લા શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટ કહે છે, આ મુદ્દે કોઈ વાલી તરફથી કચેરીને રજૂઆત મળી નથી. (કચેરીએ નિયમોના પાલન માટે ફરિયાદની રાહ જોવાની હોય કે, નિયમનું પાલન થાય છે કે કેમ ? તેનું ચેકીંગ કરવાનું હોય ?) અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં તાજેતરમાં આ મુદ્દે વિવાદ સર્જાયો છે. ખુદ ધારાસભ્ય આ મુદ્દે શિક્ષણ વિભાગને કહી રહ્યા છે કે, ભાર વિનાનું ભણતર સૂત્ર સાર્થક થવું જોઈએ. જે શાળાઓ વિદ્યાર્થીઓને વધુ પુસ્તકો અને નોટબુકો લઈને શાળાએ આવવાની ફરજ પાડે છે તે શાળાઓ વિરૂદ્ધ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ પગલાં લેવા જોઈએ.