Mysamachar.in-જામનગર:
જમીનોના કામોમાં ગેરરીતિઓ જામનગર સહિત સમગ્ર રાજ્યમાં સામાન્ય બાબત બની ગઈ હોય, અનિયમિતતાઓ અને ગેરરીતિઓ અટકાવવા સરકારે એક વધુ ઉપાય લાગુ કરવાની જાહેરાત કરી છે, આ નવો નિયમ આગામી પહેલી એપ્રિલથી અમલી બને તે પ્રકારે જાહેરાત કરવામાં આવી છે.
રાજ્યભરમાં એક એપ્રિલથી મિલકતોના દસ્તાવેજ નોંધણીમાં નિયમોમાં ફેરફાર માટેનો એક પરિપત્ર નોંધણી સર નિરીક્ષક અને સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પસ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. બનાવટી દસ્તાવેજ અટકાવવા એક નવું ફોર્મેટ બનાવવામાં આવ્યું છે. બીજી તરફ માર્ચ એન્ડ હોવાને કારણે સમગ્ર રાજ્યમાં દસ્તાવેજ નોંધણીની કામગીરીઓ વધી હોવાનું જાણવા મળેલ છે.
આ નવા પરિપત્ર અંગે સત્તાવાર સૂત્ર કહે છે: અત્યાર સુધી દસ્તાવેજ તૈયાર કરનારનું નામ, સરનામું, વ્યવસાય અને મોબાઇલ નંબરની નોંધણી કયાંય કરવામાં આવતી ન હતી, તેથી છેતરપિંડીઓના ઘણાં કેસમાં કસૂરવારો બચી જતાં હતાં. હવે આમ શક્ય નહીં બને. પહેલી એપ્રિલથી દસ્તાવેજ તૈયાર કરનારની આ બધી જ વિગતોની નોંધ ફરજિયાત રીતે કરવાની રહેશે.
કેટલાંક કિસ્સાઓમાં દસ્તાવેજ નોંધણી સમયે વકીલોના બેંક ખાતામાંથી પૈસા કપાઈ જવાના બનાવો જાહેર થયા બાદ, તંત્રએ આધાર નંબર અને અંગૂઠાની છાપ લેવાનું બંધ કરી દીધું હતું. તેમાં પણ હવે તો બંને પક્ષકારોના ફોટા અને ફિંગર પ્રિન્ટની સિસ્ટમ આવી ગઈ છે. આ ઉપરાંત હવેથી દસ્તાવેજ નોંધણી વખતે જૂના ફોર્મેટનું ફોર્મ નહીં ચાલે, પહેલી એપ્રિલથી નવા ફોર્મ ભરવાના રહેશે.
દસ્તાવેજ નોંધણી સાથે સંકળાયેલા સૂત્ર કહે છે: રાજ્યમાં ઘણાં બધાં વિસ્તારોમાં મૂળ માલિકોના બદલે બેનામી વ્યક્તિઓને મૂળ માલિક તરીકે રજૂ કરીને ઘણાં દસ્તાવેજ તૈયાર થતાં હોય છે, આ એક મોટો બિઝનેસ છે, જે હવે અટકશે અથવા અંકુશમાં આવશે. નવા નિયમોનો અમલ ચુસ્ત રીતે થશે તો સ્થિતિ સુધરશે.