Mysamachar.in:જામનગર:
હાલમાં જામનગર સહિત સમગ્ર રાજ્યમાં રાશનકાર્ડમાંથી ડમી નામો દૂર કરવા માટે E-KYC પ્રક્રિયાઓ ચાલી રહી છે, જે દરેક રાશનકાર્ડધારકે અનુસરવી ફરજિયાત છે. આ માટે લાંબી પ્રક્રિયા નથી, મામલતદાર કચેરીએ ધક્કો ખાવાની પણ જરૂરિયાત નથી. આપના વાજબી ભાવના દુકાનદારના માર્ગદર્શનથી આપ આ પ્રોસેસ ઘરે બેઠાં કરી શકો છો. જે ફરજિયાત છે.
જે રાશનકાર્ડધારકો રાશનકાર્ડ અને આધારકાર્ડ લિંક નહીં કરાવે તે કાર્ડધારકોને વાજભી ભાવની દુકાનેથી અનાજ વગેરેનો જથ્થો આપવામાં આવશે નહીં અને તેઓનું કાર્ડ રદ્દ કરી નાંખવામાં આવશે- એ મુદ્દે સમગ્ર રાજ્યમાં હાલ ઉહાપોહ મચાવવામાં આવી રહ્યો છે. જે ધ્યાન પર લઈ Mysamachar.in દ્વારા આજે આ મુદ્દે જામનગરના જિલ્લા પૂરવઠા અધિકારીનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો અને આ મામલે ખરી હકીકતો જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ ટેલિફોનિક વાતચીતમાં DSO એસ.ડી.બારડએ Mysamachar.inને જણાવ્યું હતું કે, મરણ સહિતના કોઈપણ કારણોસર રાશનકાર્ડમાં ડમી નામો રહેલાં હોય શકે છે, આ પ્રકારના નામો દૂર કરવા માટે સમગ્ર રાજ્યમાં દરેક રાશનકાર્ડની E-KYC પ્રક્રિયા ચાલી રહી છે. રાશનકાર્ડમાં જેટલાં પણ નામો હોય, એ તમામ નામોની આધારકાર્ડની વિગતો કાર્ડધારકે જાહેર કરવાની રહેશે. આ નામો પૈકી કોઈ વ્યક્તિનું અવસાન થયું હોય કે કોઈ વ્યક્તિના લગ્ન થઈ ગયા હોય અને બહારગામ જતી રહી એવા કોઈ કારણસર તે ઘરમાં વસવાટ ન કરતી હોય છતાં તેમના નામો જો કાર્ડમાં હોય, તો તેવા નામો કાર્ડમાંથી દૂર કરવાના રહેશે. રાશનકાર્ડમાં રહેલાં તમામ નામો માટે આ પ્રોસેસ ફરજિયાત છે. કાર્ડ પૈકી જો કોઈ એક સભ્યનું પણ E-KYC બાકી રહેશે ત્યાં સુધી તે કાર્ડ ધારકને અનાજ સહિતનો કોઈ પણ જથ્થો તે કાર્ડ પર મળવાપાત્ર નથી. આ પ્રકારના કાર્ડને સાયલન્ટ કેટેગરીમાં મૂકી દેવામાં આવશે. જયાં સુધી કાર્ડના દરેક સભ્યનું આધારકાર્ડ રાશનકાર્ડ સાથે લિંક અપ નહીં કરાવવામાં આવે ત્યાં સુધી આ કાર્ડ પર જથ્થો મળશે નહીં.
આ માટેની કોઈ ડેડલાઈન જાહેર કરવામાં આવી નથી પરંતુ આ ફરજિયાત પ્રોસેસ છે અને પ્રોસેસ વહેલી કરાવવી કાર્ડધારકના હિતમાં છે, એમ ઉમેરીને DSO જણાવે છે: આ કામ માટે કોઈએ પણ મામલતદાર કચેરીએ ધક્કો ખાવાની જરૂર નથી, માય રાશન નામની સરકારની એપ્લિકેશન મારફતે આ પ્રોસેસ સરળતાથી થઈ શકે છે, ઘરે બેઠાં આ કામ થઈ શકે છે, આમ છતાં કોઈ પણ પ્રકારના માર્ગદર્શનની આવશ્યકતા હોય તો સસ્તા અનાજના દુકાનદાર અથવા મામલતદાર કચેરીનો સંપર્ક સાધવાનો રહેશે. અને શક્ય એટલું વહેલું આ કામ કરાવી લેવું હિતાવહ છે.