Mysamachar.in:જામનગર
જામનગરમાં આ વર્ષે શ્રાવણી મેળો બગડયો છે કેમ કે મેળાઓ માટે જમીન અને પર્ફોમન્સ લાયસન્સ આપનાર SDM-મામલતદાર કચેરીમાં તદ્દન અંધેરની સ્થિતિ છે અને કોર્પોરેશનને મેળાઓની માત્ર આવકમાં જ રસ છે ! આ સ્થિતિને કારણે કહી શકાય કે, આ વર્ષે મેળાઓનાં આયોજનમાં વહીવટીતંત્ર અને કોર્પોરેશન અણઘડ પૂરવાર થયાં છે.
મેળાઓમાં કોઈ પણ પ્રકારની યાંત્રિક રાઈડસ ચલાવવી હોય તેણે SDM કચેરીમાં અરજી કરવી પડે. આ અરજી બાદ આ કચેરી અભિપ્રાય માટે આ અરજીઓ માર્ગ અને મકાન વિભાગ, તાંત્રિક મંજૂરીની કચેરી, કોર્પોરેશનની ફાયરશાખા, ઇલેક્ટ્રિક વિભાગની કચેરી અને શહેર મામલતદાર કચેરીઓને મોકલે છે. આ પ્રકારની માત્ર પાંચ જ અરજીઓ SDM કચેરીને મળી છે. બાકીનાં ધંધાર્થીઓ લાયસન્સ વિના જ ધંધો કરશે. અને જેઓએ અરજીઓ કરી છે તેઓની રાઈડસની સ્થળ તપાસ થઈ નથી. અકસ્માત થશે તો ?! લોકોએ પોતાના જોખમે મેળાઓ માણવાનાં છે ?! અકસ્માત દુર્ઘટના બનશે તો ?! અત્યારે પણ તંત્રો જવાબદારીઓની ફેંકાફેંકી કરે છે, સંભવિત દુર્ઘટના પછી શું થશે ?!!
શહેર મામલતદારે પર્ફોમન્સ લાયસન્સ માટેની અરજીઓ ચકાસવાની હોય છે, સ્થળ તપાસ કરવાની હોય છે, લેખિત અભિપ્રાય આપવાનો હોય છે. આમ છતાં આ કચેરી જવાબદારીઓ ફેંકી રહી છે અને બધી જ જવાબદારીઓ SDM કચેરીની છે એમ કહે છે ! માય સમાચાર ડોટ ઈન દ્વારા આજે સવારે શહેર મામલતદાર વી.આર.માકડિયાનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો. મામલતદાર શા માટે પોતાની જવાબદારીઓથી ભાગી રહ્યા છે ?! અને, SDM કચેરીમાં તો રેઢાં રાજ છે. પોતાના હોદાનો ચાર્જ અન્ય કોઈ અધિકારીને સોંપ્યા વગર SDM હાલ દિલ્હી છે, તેઓ બુધવારે અથવા ગુરુવારે આવશે. તો પછી મેળાઓમાં પર્ફોમન્સ લાયસન્સ કોણ આપશે ?! મેળાઓ ગેરકાયદેસર રીતે ધમધમતાં રહેશે ?! અને ધારો કે કોઇ દુર્ઘટના થાય તો ?!!
કોર્પોરેશન પણ આ મેળાઓનાં આયોજનમાં અણઘડ પૂરવાર થયું છે. કોર્પોરેશને મેળાઓમાંથી રૂપિયા ત્રણ કરોડની આવક કરી લીધી પરંતુ મેળાઓ અંગે તેઓ પાસે કોઈ જ વિગતો કે જવાબદારીઓ નથી. સૌ જાણે છે એમ જામનગરમાં દર વર્ષે લોકોનાં નામે મેળાઓ યોજવામાં આવે છે પરંતુ કેટલાંક અધિકારીઓ, કર્મચારીઓ અને કેટલાંક વચેટિયાઓ માટે મેળાઓ માત્ર કમાણીનું સાધન છે. ટૂંકમાં આ વર્ષે શ્રાવણી મેળાઓનું આયોજન સાવ બગડી ગયું છે. ગેરકાયદેસર લૂંટમેળામાં લોકો લૂંટાશે અને જોખમની જવાબદારીઓ કોઈ પર નહીં, લોકોએ પોતાના જોખમે મેળાઓમાં જવાનું અને લૂંટાવાનું !