Mysamachar.in:જામનગર:
જાણકારો લાંબા સમયથી જાણે છે કે, RTI કાયદાના અમલની માફક RTE કાયદાના અમલને પણ એક ચાલના ભાગરૂપે નબળો પાડવામાં આવી રહ્યો છે. જેને કારણે હજારો લાભાર્થીઓએ પોતાનો અધિકાર ગુમાવવાની સ્થિતિ વેઠવી પડી રહી છે. આ વર્ષે પણ વધુ એક વખત RTE પ્રવેશ સંબંધિત જે નિર્ણય ટોપ લેવલે લેવામાં આવ્યો છે તે ચિંતાપ્રેરક છે.
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં હજારો વાલીઓ આર્થિક મજબૂરીને કારણે તથા સારી ખાનગી શાળાઓમાં પોતાના સંતાનને RTE પ્રવેશ અપાવવા ઈચ્છે છે પરંતુ ઉચ્ચકક્ષાએ આ સંબંધે જે નિર્ણય લેવાયો છે તે તાર્કિક ન હોવાનું સમજાઈ રહ્યું છે અને આ સ્થિતિમાં હજારો યોગ્ય બાળકો RTE પ્રવેશથી વંચિત રહેશે, આ નુકસાન કોણ ભરપાઇ કરશે ? એવો પ્રશ્ન સપાટી પર આવ્યો છે.
અત્રે થોડું વિશ્લેષણ આવશ્યક છે. ગત્ વર્ષે સરકારે એવો નિર્ણય લીધો હતો કે, જે બાળકને 6 વર્ષ પૂર્ણ થઈ ગયા હોય, તે બાળકોને જ ધોરણ એકમાં પ્રવેશ આપવામાં આવે. આ નિર્ણયને કારણે હજારો બાળકો ધોરણ એકમાં પ્રવેશ વંચિત રહ્યા. તેની એક અસર એ રહી કે, ગત્ વર્ષે ધોરણ એકમાં RTE પ્રવેશની સંખ્યા નાની રહી. સરકારનો અન્ય એક નિયમ એવો છે કે, આગલા વર્ષે જેટલાં બાળકોને RTE પ્રવેશ આપવામાં આવ્યો હોય, તે સંખ્યાના 25 ટકા બાળકોને જ આ વર્ષે RTE પ્રવેશ આપવામાં આવે. આ કારણથી આ વર્ષે ખાનગી શાળાઓમાં ધોરણ એકમાં RTE બેઠકો ઘટી ગઈ. તેની સીધી અસર એ રહી કે, કુલ RTE બેઠક કરતાં 10 ગણાં ફોર્મ RTE પ્રવેશ માટે આવી રહ્યા છે,
આ સ્થિતિના કારણે લાયક વિદ્યાર્થીઓ પૈકી 90 ટકા વિદ્યાર્થીઓ RTE પ્રવેશથી વંચિત રહેશે. હજારો વાલીઓ પોતાના સંતાનોને સારી ખાનગી શાળાઓમાં RTE પ્રવેશ અપાવી શકશે નહીં. આ હજારો બાળકોએ કાં તો સરકારી શાળાઓમાં અભ્યાસ કરવો પડશે અથવા આ કાળઝાળ મોંઘવારીના જમાનામાં બાળકના સારાં શિક્ષણ માટે મોંઘીદાટ ખાનગી શાળાઓમાં પોતાના સંતાનને ભણાવવાનો નાણાંકીય બોજ વેંઢારવો પડશે. કાં બાળકને નુકસાન અને કાં વાલીઓને આર્થિક નુકસાન. આ સ્થિતિ ઉભી થશે.
જામનગર RTE ના અત્યાર સુધીના, આ વર્ષના આંકડાઓ આ પ્રમાણે છે. જામનગર શહેર અને જિલ્લામાં પોતાના સંતાનને RTE પ્રવેશ માટે વાલીઓ ખાનગી શાળાઓમાં ધસારો કરી રહ્યા છે. જિલ્લામાં આ વર્ષે કુલ RTE બેઠક માત્ર 660 છે, તેની સામે 27 માર્ચની સાંજની સ્થિતિએ વાલીઓ દ્વારા કુલ 6,410 ફોર્મ ભરાઈ ગયા છે. હજુ 30 માર્ચ સુધી (વધારેલી મુદ્દત) આ ફોર્મ ભરવામાં આવશે. જેનો સ્પષ્ટ અર્થ એ થશે કે, પોતાના સંતાનને RTE પ્રવેશ આપવા ઈચ્છતા વાલીઓ પૈકી 90 ટકા કરતાં વધુ વાલીઓના બાળકો RTE પ્રવેશથી વંચિત રહેશે.
રાજ્યના શિક્ષણ વિભાગે ખરેખર તો આ વર્ષે RTE પ્રવેશ માટેની બેઠકોની સંખ્યા નક્કી કરવા ગત્ વર્ષે બાલવાટિકાઓમાંથી બહાર આવેલાં વિદ્યાર્થીઓની સંખ્યા ધ્યાનમાં લઈ એ પ્રમાણે બેઠક સંખ્યા નક્કી કરવી જોઈતી હતી. પરંતુ કહેવાય છે કે, સરકારી વિભાગોમાં પરંપરાને અનુસરવા ‘અંગૂઠાછાપ’ માનસિકતાથી નિર્ણયો લેવાતાં હોય છે, આ તેનું ઉદાહરણ.