Mysamachar.in-જામનગર:
જામનગરની GST કચેરીની કાર્યપ્રણાલી આમ જૂઓ તો ઉપરથી શાંત અને નિષ્ક્રિય હોવાની છાપ ઉપસી રહી છે પરંતુ સૂત્રના જણાવ્યા અનુસાર, આ કચેરીમાં બિનસતાવાર રીતે ગતિવિધિઓ ચાલતી રહેતી હોય છે. હાલમાં જ એક ‘ખાનગી’ બેઠક આ કચેરીમાં યોજાઈ ગઈ હોવાનું અત્યંત આધારભૂત સૂત્ર જણાવે છે. કહેવાય છે કે, આ બેઠક અંગે બેઠકમાં ભાગ લેનાર સંસ્થાઓના સભ્યોને પણ કશી જાણ થઈ નથી. અથવા, સત્તાવાર રીતે કોઈ પણ પ્રકારની જાણકારીઓ આપવામાં આવી નથી.
હાલમાં એક તરફ લોકસભા ચૂંટણીઓ સંબંધે આચારસંહિતાનો અમલ થઈ રહ્યો છે. બીજી તરફ GST કચેરીમાં એક બેઠક યોજાઈ ગઈ હોવાનું વિશ્વાસપાત્ર વર્તુળો જણાવે છે. જો કે આ બેઠક ‘ખાનગી’ હોવાનું સમજાઈ રહ્યું છે, કેમ કે આ બેઠક સંબંધે તંત્ર કે સંસ્થાઓ દ્વારા કયાંય, કશી સત્તાવાર જાહેરાત થવા પામી નથી. Mysamachar.in દ્વારા આ સંબંધે જામનગર GST કચેરીના ડેપ્યુટી કમિશનરનો સંપર્ક સાધવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ તેઓ ફોન પર ઉપલબ્ધ થઈ શક્યા ન હતાં.
સૂત્રના જણાવ્યા અનુસાર, કાલે સોમવારે GST કચેરી ખાતે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વેપાર ઉદ્યોગ સંગઠનના કેટલાંક હોદ્દેદારો અને ટેક્સ પ્રેક્ટિસનર્સ સંસ્થા સહિતના કેટલાંક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હોવાનું જાણવા મળેલ છે અને આ બેઠકમાં GST કચેરીની કાર્યપ્રણાલીઓ અંગે આગેવાનોએ અસંતોષ તથા ઉકળાટ ઠાલવ્યો હતો એવી ચર્ચાઓ છે.
જામનગરની GST કચેરી વેપારીઓ અને કારખાનેદારોને વર્ષો અગાઉના વેટના રિફંડ આપતી નથી. ખરેખર તો કચેરી વેટ રિફંડ આપવા બંધાયેલી છે. તેને આ પ્રકારની સતાઓ ડિફોલ્ટ મળેલી જ છે. છતાં કરદાતાઓને નાણાં માટે ટટળાવે છે. બીજી તરફ આ કચેરી કરદાતાઓ પાસેથી રિકવરીના નાણાં વસૂલવા ઘોડો ઘોડો થાય છે, સરકારને કરદાતાઓ પાસેથી નાણાં લેવા છે, હક્કના નાણાં પાછાં નથી આપવા. કચેરીની આ પદ્ધતિઓ અંગે આગેવાનોએ ફરિયાદના સૂરમાં આ રજૂઆત કરી હોવાનું જાણવા મળેલ છે.
કેટલાંક કિસ્સાઓમાં કરદાતાઓનું માત્ર એક જ રિટર્ન ડિફોલ્ટ થયું હોય તેવા કેસોમાં પણ કચેરી કરદાતાઓના બેંક એકાઉન્ટ એટેચ કરી લ્યે છે, આ બાબત કચેરીના ધ્યાન પર મૂકવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. આવા કેસોમાં કરદાતાઓને રાહત મળે તે રીતે કચેરી કામ કરશે, એવું આશ્વાસન આપવામાં આવેલ હોવાનું વર્તુળો જણાવે છે.
કેટલાંક કરદાતાઓ એવા પણ હોય છે જેઓના વેટના કેસોમાં કચેરીએ ટેક્સ ડિમાંડ કરી હોય અને ફરીથી GST મામલામાં પણ ટેક્સ ડિમાંડ કાઢી હોય, આવા કેસોમાં કરદાતાઓને માનસિક ત્રાસ અને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવતો હોય છે, આ પ્રકારના કેસો હવે કચેરીના ધ્યાન પર લાવવા એવો પણ નિર્ણય આ બેઠકમાં થયો હોવાનું જાણવા મળે છે. આ બેઠક આમ બિનસતાવાર રહી પરંતુ કરદાતાઓ સંબંધિત ઘણી રજૂઆત થઈ હોવાની વિગતો બહાર આવતાં કરદાતાઓ રાહતની લાગણી અનુભવી રહ્યા છે. જો કે આ બેઠકને સતાવાર બેઠક અને ચર્ચાઓના મુદ્દાઓને સતાવાર મુદ્દાઓ શા માટે લેખાવવામાં આવ્યા નથી, એ એક અલગ મુદ્દો છે. આ બેઠકમાં કચેરી થોડી નરમ બની હોવાનું જાણવા મળેલ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, બે દિવસ અગાઉ Mysamachar.in દ્વારા સ્થાનિક GST કચેરી અંગે કેટલીક ટીપ્પણીઓ કરવામાં આવ્યા બાદના ઘટનાક્રમમાં આ બેઠક યોજાઈ ગઈ છે.