Mysamachar.in-જામનગર:
લોકડાઉનના સમયગાળામાં વહીવટીતંત્ર દ્વારા જામનગરની રાજાશાહી શાકમાર્કેટને વર્તમાન સમયમાં બંધ કરી હાપા માર્કેટિંગ યાર્ડ પાસે કાર્યરત કરવામાં આવી છે, જેથી શાકભાજી અને ફ્રુટના વેપારીઓ દ્વારા ખુલ્લા મેદાનમાં તેમનો વેપાર શરૂ કર્યો છે, જેના પગલે વેપારીઓ વિશાળ જગ્યામાં તેમનો વેપાર કરી રહ્યા છે, વર્તમાન સમયમાં કેસર કેરી, રત્નાગીરી, હાફૂસ, બેંગ્લોરી, લાલબાગ જેવી અલગ-અલગ પ્રકારની કેરીઓની આવક વિપુલ પ્રમાણમાં થઈ રહી છે, આવકની સાથે વેપાર પણ બમણા થયા છે લોકોની માંગ દિવસે દિવસે વધી રહી છે જેના કારણે વેપારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે,
કેરીની આવક મબલખ થવાની સાથે હાલમાં કેસર કેરીના ભાવ રૂપિયા ૩૦૦થી 1,000 સુધીના હોવા છતાં ગ્રાહકો તેમની મનપસંદ કેરી ખરીદી રહ્યા છે જ્યારે રત્નાગીરી હાફૂસના ભાવ રૂપિયા 100 થી 160 અને બેંગ્લોરી ફાફૂસના ભાવ રૂપિયા 75 તથા લાલબાગ ના ભાવ રૂપિયા 35 હોવા છતાં કેરીના સ્વાદિષ્ટ રસિયાઓ તેમની મનપસંદ કેરીઓ ગમે તેટલા ઊંચા ભાવે ખરીદી રહ્યા છે, જેના કારણે વેપારીઓ પણ ભારે ગેલમાં આવી જવા પામ્યા છે, કેરી ઉપરાંત દ્રાક્ષ તરબૂચ અને તળિયાની પણ માંગ વધુમાં હોવાથી વેપારીઓ કેરીની સાથે અલગ-અલગ પ્રકારના ફ્રુટનો જથ્થો પણ મોટા પ્રમાણમાં મંગાવી રહ્યા છે, હાપા માર્કેટિંગ યાર્ડ પાસે ખસેડવામાં આવેલ શાકમાર્કેટ થી વેપારીઓને તેમના વેપારમાં બમણો લાભ થયો હોવાની વાસ્તવિકતા જાણીતા વેપારી મુકેશભાઈ સિંધીએ વર્ણવી હતી.