Mysamachar.in:જામનગર
જામનગરનું બંદર એક જમાનામાં વિદેશ વ્યાપાર મુદ્દે સમગ્ર સૌરાષ્ટ્રમાં જાણીતું હતું. પરંતુ કાળક્રમે ગાંધીનગરમાં જામનગરનાં જનપ્રતિનિધિઓની ધાક ન હોવાને કારણે જામનગર બંદર આજે લગભગ મૃતઃપ્રાય સ્થિતિમાં મૂકાઈ ગયું છે ! સરકાર કચ્છનાં બંદરોને અછોવાના કરે છે અને જામનગરને આ મુદ્દે સતત અન્યાય કરે છે ! તો પણ જામનગર ગાંધીનગરમાં ખોંખારો ખાતું નથી !
ગુજરાત સરકારે બજેટમાં જામનગર બંદરના વિકાસ મુદ્દે એક પણ અક્ષર કહ્યો નથી ! જામનગરનાં જનપ્રતિનિધિઓ આ અંગે બજેટ પૂર્વે મૌન રહ્યા ?! કે, ગાંધીનગરમાં તેઓને કોઈએ સાંભળ્યા જ નહીં ?! એવાં પ્રશ્નો સપાટી પર એટલે આવ્યા છે કે સરકારનાં બજેટમાં જામનગર બંદરના વિકાસની કોઈ વાત જ નથી ! કચ્છનાં બંદરની વાત બજેટમાં કરવામાં આવી છે.
ગુજરાત સરકારે બજેટમાં જાહેર કર્યું છે કે, નવલખી બંદરે હેન્ડલિંગ ક્ષમતા 8 મિલિયન ટનથી વધારીને 20 મિલિયન મેટ્રિક ટન કરવા રૂ.192 કરોડનાં ખર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર બંદરની હેન્ડલિંગ ક્ષમતાની બજેટમાં વાત જ કરવામાં આવી નથી ! જાણે કે, જામનગરમાં બંદર છે જ નહીં ! આ ઉપરાંત સરકારે બજેટમાં જામનગરનાં સચાણા શિપબ્રેકિંગ યાર્ડ અંગે કહ્યું છે કે, આ બંદરે શિપબ્રેકિંગ પ્રવૃત્તિ પુનઃ શરૂ કરવા રૂ.24 કરોડનું આયોજન કરવામાં આવ્યું છે.
ટૂંકમાં, સચાણા શિપબ્રેકિંગ યાર્ડ અંગે વધુ એક વખત કોણીએ ગોળ ચોંટાડવામાં આવ્યો છે. રૂ.24 કરોડ સાવ નજીવી રકમ છે. અને આ શિપબ્રેકિંગ યાર્ડને ધમધમતું કરવા શું આયોજન કરવામાં આવ્યું છે ?! તે અંગે પાછલાં મહિનાઓમાં કોઈ જ ચોક્કસ વાત કરવામાં આવી નથી. બજેટમાં જાહેરાત પછી પણ, જામનગરનાં કોઈ પ્રતિનિધિ સચાણા શિપબ્રેકિંગ યાર્ડ અંગે એક પણ શબ્દ નવી વાત કે ખાતરી કે આયોજન સંદર્ભે બોલ્યા નથી તેથી બજેટમાં થયેલી આ જાહેરાત માત્ર કોણીએ ગોળ ચોંટાડવામાં આવ્યો હોય એવી સમજાઈ રહી છે ! અને, જામનગર બંદરને સરકાર શા માટે ભૂલી ગઈ ? એ પ્રશ્ન જામનગરનાં જનપ્રતિનિધિઓએ ગાંધીનગરને પૂછવો જરૂરી છે.