Mysamachar.in:જામનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રીન ક્લીન ગુજરાતની નેમ સાથે રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓમા સંચાલિત શહેરી પરિવહન સેવાની CNG અને ઇ-બસો માટે આપવામાં આવતા અનુદાનમાં વધારો કરવાનો ગઈકાલે નિર્ણય જાહેર કર્યો છે. આ નિર્ણયથી જામનગર મહાનગરપાલિકાને પણ ફાયદો થશે કારણ કે જામનગર શહેરમાં જે શહેરી પરિવહન માટે જે સીટી બસ સેવા કાર્યરત છે તેમાં છેલ્લા 4 વર્ષથી ગ્રીન ક્લીન શહેરી પરિવહન સેવાનું અનુકરણ કરવામાં આવી રહ્યું છે.
મળતી વિગતો મુજબ જામનગર શહેરમાં હાલ ખાનગી પાર્ટી સી.એમ.જાડેજા દ્વારા સંચાલિત કુલ 12 બસો ચાલી રહી છે જેમાંથી 10 મોટી અને 2 નાની બસો ચલાવવામાં આવે છે જે સંપૂર્ણ CNG છે, અને છેલ્લા કેટલાય સમયથી રાજ્ય સરકારના અભિગમ અનુસાર આ બસો CNG વડે ચાલી રહી છે જેનાથી રાજ્ય સરકારની ગ્રીન ક્લીન પોલીસી છે તેનું અનુકરણ કરવામાં આવી રહ્યું છે.
વધુમાં મળતી માહિતી મુજબ આ 12 બસો ઉપરાંત આગામી સમયમાં વધારાની 5 CNG બસો આગામી ત્રણેક માસમાં જામનગરના રસ્તાઓ પર દોડતી થાય તેવું આયોજન પણ ચાલી રહ્યું છે. ગ્રીન ગ્રોથ માટે પર્યાવરણ પ્રિય ટ્રાન્સપોર્ટેશન સુવિધાઓ અને બિન પરંપરાગત ઊર્જાના ઉપયોગને વેગ આપવા આ બસ સેવાઓ માટે જે તે મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને PPP ધોરણે પરિવહન સેવાઓના સંચાલન અનુદાન પેટે આપવામાં આવતી રકમમાં વધારો કરવાનો અભિગમ રાજ્ય સરકારે અપનાવ્યો છે.
આ નિર્ણય અનુસાર, મહાનગરપાલિકાઓને CNG બસના સંચાલન અન્વયે અગાઉ કિલોમીટર દીઠ અપાતા રૂ.12.50 નાં સ્થાને હવે રૂ.18 આપવામાં આવશે. તેમજ વાયેબિલિટી ગેપ ફંડિંગ-ઘટ ના અગાઉ મહત્તમ 50 ટકા મળતા હતા તેમાં 10 ટકાનો વધારો કરીને હવે 60 ટકા આપવામાં આવશે આ લાભ જામનગરમાં ચાલતી સીટી બસ સેવાઓને પણ મળશે.