Mysamachar.in:જામનગર
ગુજરાત સરકારે વર્ષ 2023/24 માટે અંદાજપત્ર જાહેર કર્યું. પીઠ થાબડવાની કવાયતો સર્વત્ર થઈ રહી છે. પરંતુ રેકર્ડ પરની વાસ્તવિકતા એ છે કે, રાજય સરકારે જામનગરમાં નવું બસપોર્ટ બનાવી આપવાની જનપ્રતિનિધિઓની માંગણીને કચરાપેટીમાં પધરાવી દીધી છે ! જામનગર ગાંધીનગરમાં ખોંખારો ખાઈ શક્યું નહીં ! જામનગરનું એસટી બસ સ્ટેશન દાયકાઓ જૂનું, ખખડધજ અને જોખમી બની ચૂક્યું છે. દરરોજ વીસેક હજારથી વધુ પ્રવાસીઓ આ બસ ડેપો પરથી આવજા કરે છે.
આ બસ ડેપોમાં જર્જરિત ઈમારતને કારણે ગમે ત્યારે દુર્ઘટના સર્જાઈ શકે છે ! આ બસ ડેપોનો વહીવટ પણ રામભરોસે છે ! હજારો પ્રવાસીઓ અનેક પ્રકારની હાલાકીઓ ભોગવી રહ્યા છે ! આમ છતાં રાજ્ય સરકાર દાયકાઓથી જામનગરને હળાહળ અન્યાય કરી રહી છે, કારણ કે જામનગરનાં જનપ્રતિનિધિઓ ગાંધીનગરમાં ખોંખારો ખાઈને વાત કરી શકવાની ત્રેવડ ધરાવતાં નથી, એવું આ બસ ડેપોના પ્રકરણથી સ્પષ્ટ થયું છે.
જામનગર શહેરનાં જનપ્રતિનિધિઓએ પાછલાં કેટલાંક સમયમાં વારંવાર અખબારી યાદીઓ બહાર પાડી ! સ્થાનિક અખબારોમાં પોતાનાં હાથે પોતાની પીઠ થાબડી અને વારંવાર જાહેર કર્યું કે, રાજ્યનાં મુખ્યમંત્રી સાથે તથા પરિવહન સેવા સંભાળતાં ગૃહમંત્રી સાથે અમોએ જામનગરનાં બસ ડેપો અંગે બેઠક કરી છે. ભારપૂર્વક રજૂઆત કરી છે. મુખ્યમંત્રી તથા ગૃહમંત્રીએ હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે. પરંતુ રાજ્યનું બજેટ જાહેર થયું અને જામનગરનાં નવા બસપોર્ટની તમામ વારતાઓનો અંત આવી ગયો.
ગુજરાત સરકારે જામનગરને ઠેંગો દેખાડી દીધો ! જાણે કે, જનપ્રતિનિધિઓની રજૂઆતોને કચરાપેટીમાં પધરાવી દીધી ! આ અન્યાય પણ કેવો છે ?! સરકારનાં બજેટમાં, માર્ગ અને મકાન વિભાગની વિગતોમાં રાજ્યનાં અન્ય સાત શહેરો માટે નવા બસપોર્ટની જાહેરાત કરી પરંતુ જામનગરનાં બસપોર્ટની જાહેરાત ધરાર ન કરી ! જામનગરની વાત કાને જ ન ધરી ! જામનગરમાં જનપ્રતિનિધિઓ ઝંખવાણા પડી ગયા. મતદારોને ખ્યાલ આવી ગયો કે, ગાંધીનગરમાં જામનગરનું કશું ઉપજતું નથી !
સરકારે બજેટમાં જાહેર કર્યું છે કે, એરપોર્ટ જેવી સુવિધાઓ બસ સ્ટેશન પર આપવા માટે પીપીપી ધોરણે 07 નવા બસપોર્ટ અમદાવાદ-ગીતામંદિર નોર્થ પ્લોટ, ભરૂચ, અમરેલી, મોડાસા, પાટણ, નવસારી અને ભૂજ ખાતે કાર્યરત કરવામાં આવશે. ટૂંકમાં, જામનગરનાં નામની બાદબાકી કરી નાંખવામાં આવી છે ! જામનગર સરકાર સમક્ષ આ અન્યાય મુદ્દે હવે ઉગ્ર વિરોધ નોંધાવી શકશે. જામનગરનું એસટી બસ સ્ટેશન દાયકાઓ જૂનું અને ખખડધજ હોવાં છતાં સરકારને આ મુદ્દે પોતાની વાત જામનગરનાં જનપ્રતિનિધિઓ ગળે કેમ ઉતારી ન શક્યા ?! સરકાર જામનગરનાં જનપ્રતિનિધિઓની રજૂઆતોને ગંભીર કેમ નથી લેખતી ?! તોતિંગ લીડથી પક્ષને વિધાનસભા બેઠકો અપાવનારની ગાંધીનગરમાં આવી હાલત – અફસોસની વાત લેખાવી શકાય !