Mysamachar.in-રાજકોટ:મોરબી:
રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી લાંચિયાઓ ઝડપાઈ રહ્યા છે તેમાંથી બોધપાઠ લેવાને બદલે લાંચિયાઓ જાણે બેફામ બન્યા હોય તેમ ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે અને કોઈ કામ જાણે કટકી વગર કરવું જ ના હોય તેમ દરેક કામમાં કટકી માગી રહ્યા છે, ત્યારે ગતરોજ એસીબી દ્વારા વધુ બે સરકારી બાબુ અને વચેટિયા એમ મળી કુલ ત્રણ લોકોને લાંચ લેતા ઝડપી પાડ્યાનો મામલો સામે આવ્યો છે.
પ્રથમ પીજીવીસીએલના કેસમાં ફરીયાદીને દેવેન્દ્ર ખુશાલસિહ દાંતલા, નાયબ ઇજનેર, પી.જી.વી.સી.એલ. વિંછીયાએ ડાયરેકટ તાર નાંખી વીજ ચોરી કરેલ હોવાનું જણાવી જે વિજચોરીનો ગુન્હો દાખલ કરવાનુ અને તેમાં પાંચ લાખનો દંડ તથા જેલની સજા કરાવવાનો ડર બતાવી જો ગુન્હો દાખલ ન થવા દેવો હોય તો 2 લાખનો વહીવટ કરવાનુ જણાવેલ.જે અંગે ફરીયાદીએ રકઝક કરતા અને ઓછુ કરવા જણાવતા 80,000 અને છેલ્લે 60,000 નાયબ ઈજનેરે જણાવેલ.જો કે ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય રાજકોટ ગ્રામ્ય એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ જાહેર કરેલ.જે આધારે વિંછીયા ખાતે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપી નાયબ ઈજનેરે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી 60,000 ની લાંચની રકમ માંગી સ્વીકારી અજયભાઇ જવેરભાઇ ડાભી પ્રજાજન વચેટિયાને આપી એક બીજાને મદદગારી કરી હોવાથી તેવો ઝડપાઈ ચુક્યા હતા.
બીજા કિસ્સામાં આ કેસના ફરીયાદિએ મોરબીના મચ્છુ ડેમમાંથી છોડવામાં આવતુ સીંચાઇનું પાણી મેળવવા તેમની ત્રણ જમીનમાંથી બે જમીનમાં અરજી કરેલ ન હોઈ તેમજ સીંચાઇના પાણીનો ઉપયોગ પણ કરેલ ન હોવા છતા જગદિશ જેઠાલાલ દવે ચાર્જ કલાર્ક, નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી, મચ્છુ-૨, સિંચાઇ પેટા વિભાગ, મોરબીએ ફરીયાદીને જણાવેલ કે તમોએ અરજી ન કરેલ જમીનમાં પણ સીંચાઇના પાણીનો ઉપયોગ કરેલ છે જે અંગે હું તમને કાયદેસર દંડ કરી શકુ તેમ છું. પરંતુ જો તમારે દંડ ન ભરવો હોય તો 6000 વહીવટના થાય પણ તમે ખાલી 4000 આપી દેજો તેમ કહી ફરિયાદી પાસે લાંચની માંગણી કરેલ. ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય એ.સી.બી. રાજકોટ શહેરનો સંપર્ક કરતા ફરીયાદીની ફરીયાદ આધારે લાંચના છટકા દરમ્યાન આરોપીએ ફરીયાદી સાથે લાંચની માંગણીની હેતુલક્ષી વાતચીત કરી ફરીયાદી પાસેથી લાંચની 4000ની રકમની માંગણી કરી સ્વીકારી ઝડપાઈ જતા એસીબી જામનગર ટીમ આ કેસની આગળની તપાસ કરી રહ્યું છે.