Mysamachar.in-જામનગર:
છેલ્લા કેટલાક સમયથી રાજ્યના કેટલાય શહેરોમાં બાળકોને ઉઠાવનાર ગેંગ સક્રિય થઇ છે તેવા મેસેજ સોશ્યલ મીડિયામાં ફરતા થયા છે જેને કારણે એવા કેટલાય બનાવો સામે આવી ચુક્યા છે જેમાં લોકો કાયદો હાથમાં લઇ સત્ય જાણ્યા વિના જ કોઈ શંકાસ્પદ લાગે તેવા લોકોને માર મારે છે, આવી જ વધુ એક ઘટના જામનગરના મોટા આશાપુરા મંદિર નજીક ગતરોજ સામે આવી જ્યાં બાળકોને ઉઠાવનાર કે ચોરી કરનાર ગેંગની મહિલાઓ આ વિસ્તારમાં ફરતી હોવાની આશંકાએ ટોળાએ ત્રણ મહિલાઓને એટલી હદે માર માર્યો કે તે લોહીલુહાણ બની ગઈ…
આ ઘટનામાં ખરેખર આ મહિલાઓ ચોર ગેંગ ની જ હતી કે કેમ તે જાણવા my samachar.in દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો અને સત્ય શું તે જાણવા માટે આજે સવારે સીટી એ ડીવીઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર એમ.બી.ગજ્જર સાથે ટેલીફોનીક વાતચીત કરતા તેમણે કહ્યું કે…
ગતરોજ જે મોટા આશાપુરા મંદિર નજીકની જે ઘટના સામે આવી તેમાં ઈજાગ્રસ્ત મહિલાઓને પ્રાથમિક સારવાર અપાવ્યા બાદ ત્રણેય મહિલાઓની પૂછપરછમાં સામે આવ્યું કે ત્રણ પૈકીની એક મહિલાનો પતિ જામનગર જેલમાં હોય તેને મળવા આવ્યા આવી હતી, પરંતુ પતિને મળી શક્યા ન હતા બાદમાં આ મહિલાઓ પાસે પૈસા પણ ન હતા માટે તેવોએ આજુબાજુના વિસ્તારમાં ભિક્ષાવૃત્તિ કરતા હતા પરંતુ આ વિસ્તારમાં લોકોએ આ મહિલાઓને બાળકોને ઉઠાવનારી ગેંગની સભ્ય સમજીને માર માર્યો છે આમ આ મહિલાઓ ભિક્ષાવૃત્તિ કરતી હતી તેમની પાસેથી ભિક્ષારૂપે મળેલા પૈસા પણ મળી આવ્યા છે.છતાં પણ વધુ તપાસ આ મામલે ચાલી રહી હોવાનું એ ડીવીઝન પોલીસ ઇન્સ્પેકટર એમ.બી.ગજ્જરે જણાવ્યું છે.