Mysamachar.in-જામનગર:
જામનગર શહેર સહિત સમગ્ર હાલારમાં સામાજીક, આરોગ્ય, શિક્ષણ, ધાર્મિક સહિતના ક્ષેત્રોમાં અનેકવિધ સેવાકિય પ્રવૃતિઓમાં કાર્યરત હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્વારા ગણપતિ મહોત્સવ પંડાલના આયોજકો તેમજ ધો.10 અને ધો.12 ના તેજસ્વી વિધાર્થીઓનું સન્માન કરવાનો સમારોહ યોજાયો હતો. સમારોહનો શુભારંભ શ્રીગણેશ ભગવાન તથા માં સરસ્વતીની ઢોલ-નગારાના નાદ સાથે આરતીથી ઉપસ્થિત સૌ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યો હતો. સમારોહના અધ્યક્ષસ્થાને સાંસદ પૂનમબેન માડમ ઉપસ્થિત રહયા હતાં.
આયોજક બન્ને ટ્રસ્ટના ટ્રસ્ટી જીતુભાઈ લાલે સ્વગત પ્રવચન કરી સૌને આવકાર આપતાં જણાવ્યું હતું કે મારા પિતા હરિદાસ લાલ (બાબુભાઈ લાલ) ની હૈયાતીમાં સ્થપાયેલ ટ્રસ્ટ દ્વારા ગણેશ મહોત્સવ પંડાલના આયોજકોનું સન્માન કરવાની શરૂઆત થયા પછી સતત 13 માં વરસે આ આયોજન કરાયું છે. આ વર્ષે ધો. 10/12 ના તેજસ્વી વિધાર્થીઓનું સન્માન કરવાનું આયોજન પણ સાથે જ થયું છે.
તેમણે તેમના વડીલ બંધુ અશોકભાઈ લાલનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે અશોકભાઈએ દર વર્ષે વિધાર્થીઓની સંખ્યામાં વધારો થવો જોઈએ તેવી અપેક્ષા વ્યકત કરી હતી. 2017 માં 400 વિધાર્થીઓ સામે આજે તેજસ્વી વિધાર્થીઓની સંખ્યા 800 થી વધુ થઈ ગઈ છે. તેવી જ રીતે ગણેશ મહોત્સવના આયોજનો ઈકો ફેન્ડલી મૂર્તિ સાથે થાય તે દિશામાં કરેલી પહેલને ટ્રસ્ટના અનુરોધ અને પ્રયાસોના કારણે ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો છે અને લગભગ ૯૫ ટકા સફળતા મળી છે.
જીતુભાઈ લાલે ટ્રસ્ટની સેવાકિય પ્રવૃતિઓનો ટુંકમાં પરિચય આપતા જણાવ્યું હતું કે વિધાર્થીઓને વાહનના લાયસન્સ કઢાવી આપવા, ગણેશ વિર્સજનમાં ટ્રસ્ટ દ્વારા સાધનો – વાહનોની વ્યવસ્થા કરી આપવી વિગેરે તમામ સેવાકાર્યો અમારા પિતાએ કંડારેલી કેડી પર, માતાના આર્શિવાદ અને અશોકભાઈના માર્ગદર્શનના કારણે સફળતાપૂર્વક અને સંતોષકારક રીતે થઈ રહ્યા છે. જેમાં લાલ પરિવારના સભ્યો તેમજ ટ્રસ્ટીઓ પણ સતત જહેમત ઉઠાવી રહ્યા છે જીતુભાઈ લાલે સૌને અભિનંદન આપી આવકાર્યા હતાં.
સાંસદ પૂનમબેન માડમે લાલ પરિવાર સાથે તેમના પારિવારિક સબંધોને યાદ કર્યા હતા લાલ પરિવારના મોભી “બાબુકાકા “એ સેવાકાર્યોની જે કેડી કંડારી હતી તે દિશામાં આ પ્રવૃતિઓને ખુબ જ સારી રીતે અવિરતપણે ચાલુ રાખી છે અને સમગ્ર સમાજમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. લાલ પરિવાર દરેક પરિવાર સાથે જોડાયેલો રહયો છે. તમામ ક્ષેત્રોમાં યોગદાન આપવું તે તેમનો સ્વભાવ છે, પણ સેવાની સુગંધ સતત ફેલાવતાં રહેવું અધરૂ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૂચન કર્યું છે કે આયોજનપૂર્વક પ્રગતિ થવી જોઈએ. લાલ પરિવારે વડાપ્રધાનના સુચનને સાર્થક કરી બતાવ્યું છે. લાલ પરિવાર નાત-જાતના ભેદભાવ વગર સદભાવના અને સમરસતાથી કાર્યો કરે છે.
ઉપસ્થિત વિદ્યાર્થીઓને માટે સાંસદે જણાવ્યું કે તમે સિધ્ધી મેળવી છે એટલે જ અહીં સન્માન મેળવવા ઉપસ્થિત છો તમે સૌ વધુને વધુ સિધ્ધી પ્રાપ્ત કરવા સંપૂર્ણ શકિતમાન છો, તમારામાં આત્મવિશ્વાસ છે, તમે જે ઈચ્છો તે મેળવી શકો તેવો સુર્વણકાળ ચાલી રહયો છે હતાશા, હાર, નિરાશા, નહી કરી શકું તેવા શબ્દો તમારી ડીક્ષનેરીમાંથી કાઢી નાખો આજે તમારું જે સન્માન થઈ રહયું છે તેનું ખુબ જ મહત્વ છે તેમણે દરેક તેજસ્વી છાત્રોને ઉજવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી.
ગણેશોત્સવના પંડાલના આયોજકોને સાંસદ પૂનમબેને વંદન સાથે અભિનંદન આપ્યા હતાં આ ધાર્મિકોત્સવના માધ્યમથી સમાજમાં એકતા વધે છે. ભક્તિ, શ્રધ્ધા, પરિશ્રમની ઉર્જાથી જ આજે આપણે સારી સ્થિતીમાં છીએ. સમાજમાં સમરસતા, ધાર્મિક ભાવ, ઈશ્વર પ્રત્યેની શ્રધ્ધાની પરંપરા જાળવવાનું કામ ગકોશોત્સવ પંડાલના આયોજકો કરી રહયા છે અને તેમનું સન્માન કરવું પણ એટલું જ જરૂરી છે, જે સત્કાર્ય લાલ પરિવાર કરી રહયો છે.
કેન્સર રોગ અંગે તેમણે જણાવ્યું કે જેટલું વહેલું નિદાન તેટલો ઈલાજ અકસીર અને સરળ બની રહે છે. સાંસદ ખેલ મહોત્સવની સફળતા અંગે તેમણે જણાવ્યું કે રમત-ગમત, યોગા વિગેરે પ્રવૃતિથી શરીર નિરોગી અને તંદુરસ્ત રહે છે, ખેલદીલીની ભાવના પ્રબળ બને છે, લોકો પારંપરિક ચિકિત્સા પધ્ધતી અને આહરા વિગેરેનો અમલ કરે તે જરૂરી છે. સતત ત્રીજી વખત લોકસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવાર તરીકે પસંદગી થઈ છે ત્યારે કાયમ માટે લોકોના પ્રશ્નોને વાચા આપવા નિષ્ઠાપૂર્વક પ્રયાસો કરીશ તેવી ખાત્રી આપી હતી.
જામનગર (દક્ષિણ) વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું કે શિક્ષણનું મહત્વ માત્ર નોકરી મેળવવા માટે જ નથી પણ દરેકના જીવનમાં શિક્ષણની જરૂર પડે છે હિન્દુ ધર્મ સંસ્કૃતિને જાળવી રાખવા ધાર્મિકોત્સવના આયોજકોને પ્રોત્સાહિત કરવાનું કાર્થ લાલ પરિવાર દ્વારા થઈ રહ્યું છે. અત્યારે શિક્ષણનો યુગ ચાલી રહ્યો છે ત્યારે દરેક વિધાર્થી આગળ વધે તેવી શુભેચ્છા પાઠવી હતી તેમણે ઉપસ્થિત જનમેદનીને સ્વચ્છતા જાળવવા, પાણી, વિજળી, પેટ્રોલનો બગાડ નહીં કરવા પણ અપીલ કરી હતી.
ભાજપ શહેર અધ્યક્ષ ડો.વિમલ કગથરાએ તેમના સંબોધનમાં ઉપસ્થિત સૌ વિધાર્થીઓને તેમની કારકિર્દીમાં પણ સિધ્ધી પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા પાઠવી હતી તેમણે મોબાઈલ ફોનના વધુ પડતા ઉપયોગ અંગે લાલબતી ધરતાં જણાવ્યું કે સાચો મિત્ર મોબાઈલ નહીં પણ તમારા માતા – પિતા છે.
ભાજપના પૂર્વ શહેર પ્રમુખ એડવોકેટ હિતેન ભટ્ટે લાલ પરિવારની પ્રવૃતિઓની પ્રસંશા કરતાં જણાવ્યું હતું કે વિશાળ વ્યવસાય કરતાં હોવા છતાં સતત સેવાકાર્યોમાં કાર્યરત રહે છે જે ખરેખર અભિનંદનને પાત્ર છે કોઈપણ સારા કાર્યનું જાહેરમાં સન્માન થાય તો તે સમગ્ર સમાજનું સન્માન છે.
બન્ને ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી અશોકભાઈ લાલે ખુબ જ ભાવુક થઈ જણાવ્યું હતું કે મેં વિધાર્થીઓની સંખ્યામાં વધારો થાય તેવી આશા વ્યક્ત કરી હતી તે મુજબ આજે ખુબ મોટી સંખ્યા જોઈને ટ્રસ્ટ અને લાલ પરિવાર આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે. તેમણે ખાસ કરીને યુવા વર્ગને મોબાઈલ ફોનનો દુરૂપયોગ નહી કરવા અને મોબાઈલમાં સમય નહી વેડફવા અનુરોધ કર્યો હતો તેમણે ટ્રસ્ટ દ્વારા થઈ રહેલા સેવાકાર્યોનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે મારી ઈશ્વરને કાયમ માટે પ્રાર્થના છે કે અમોને એવી લક્ષ્મી આપો જે સારા કાર્યોમાં વાપરી શકીએ કોઈની પ્રગતિમાં કે સમાજના વિકાસમાં, સેવામાં આર્થિક સહયોગ અને સમય આપી શકીએ તો અમે ભાગ્યશાળી સમજશું.
સમારોહમાં આટલી મોટી સંખ્યમાં ઉમટી પડેલા લોકો-વિધાર્થીઓ ટ્રસ્ટ પ્રત્યેની લાગણી દર્શાવે છે આપણે શિક્ષણ સાથે બૌધ્ધિક સ્તરે પણ આગળ વધવાનું છે અશોકભાઈએ ટ્રસ્ટ તથા લાલ પરિવારને સેવા પ્રવૃતિને જન-જન સુધી પહોંચાડવા બદલ મિડીયા જગતનો ખાસ આભાર માન્યો હતો. કેન્સર જેવા રોગોનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું ડરથી જ રોગ વધુ વકરે છે, દર્દને વાગોળવાથી દર્દ વધે છે સૌ નિરોગી રહીએ તેવી પ્રાર્થના કરુ છું. લાલ પરિવાર દ્વારા શહેરની મધ્યમાં હોસ્પિટલ શરૂ કરવામાં આવી ત્યારે પણ મેં એવી પ્રાર્થના કરી હતી કે કોઈને હોસ્પિટલમાં આવવાની જરૂર ન પડે તેવી રીતે સૌ સ્વસ્થ તંદુરસ્ત રહે. આ અવસરે મંચસ્થ મહાનુભાવોના હસ્તે ધો.૧૦-૧૨ ના ૮૦૦ થી વધુ તેજસ્વી વિધાર્થી ભાઈ-બહેનોનું સ્મૃતિ ભેટ, મેડલ અને પ્રમાણપત્ર આપીને તેમજ ૨૫૦ થી વધુ ગણપતિ પંડાલોના આયોજકો – સંચાલકોનું સ્મૃતિચિહન અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું.
આ સમારોહમાં જામનગર માર્કેટીંગ યાર્ડના ચેરમેન પ્રવિણસિંહ ઝાલા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્થાયી સમિતિના અધ્યક્ષ નિલેશ કગથરા, મનપા શાસક જૂથના નેતા આશિષ જોષી, નોબત દૈનિકના ચેતન માધવાણી, આજકાલના પપ્પુખાન, જીટીપીએલના જયેશ રૂપારેલીયા, માય સમાચારના માલીક દર્શન ઠકકર, સાંજ સમાચારના ડોલર રાવલ, સૌરાષ્ટ્ર આસપાસના વિજય કોટેચા, લોકવાતના પૃથ્વીરાજસિંહ ચૌહાણ, જામનગર પત્રકાર મંડળના પ્રમુખ ગિરીશ ગણાત્રા, મંત્રી જગત રાવલ, પૂર્વ પ્રમુખ હિરેન ત્રીવેદી, શહેર ભાજપના મહામંત્રીઓ વિજયસિંહ જેઠવા, પ્રકાશ બાંભણીયા, શહેર ભાજપના પૂર્વ પ્રમુખો હિતેન ભટ્ટ, મુકેશ દાસાણી, અશોક નંદા, પૂર્વ મેયર દિનેશ પટેલ, સમસ્ત હાલાર લોહાણા સમાજના ઉપપ્રમુખ અરવિંદભાઈ પાબારી, મહામંત્રી રમેશ દતાણી, મંત્રી ભાવિનભાઈ અનડકટ તેમજ કોર્પોરેટરો, વેપાર-ઉદ્યોગના આગેવાનો, સામાજીક સંસ્થાઓના અગ્રણીઓ તેમજ વિદ્યાર્થી ભાઈઓ-બહેનો, ગણેશ ભકતો અને આમંત્રીતો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
સન્માન સમારોહ પ્રસંગે ઉપસ્થિત સૌએ ભોજન – પ્રસાદ લીધો હતો. આ સમારંભ માટે આયોજક બન્ને સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી અશોકભાઈ લાલ, ટ્રસ્ટી જીતુભાઈ લાલના માર્ગદર્શન હેઠળ મિતેશ લાલ, ક્રિષ્નરાજ લાલ, વિરાજલાલ તથા ટ્રસ્ટના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.