Mysamachar.in:જામનગર
જામનગરનાં ગુલાબનગરથી થોડે દૂર કોર્પોરેશનનો કચરાનો ડમ્પીંગ પોઈન્ટ આવેલો છે. જેનું સંચાલન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કરવામાં આવે છે. આ સ્થળે એક કચરા પ્રોસેસિંગ પ્લાન્ટ છે. આ પ્લાન્ટનું સંચાલન વડોદરાની એક પાર્ટીને આપવામાં આવ્યું છે જેનાં બદલામાં કોર્પોરેશન પાર્ટીને કટકે કટકે રૂ.7.50 કરોડ આપે એવું નક્કી થયેલું છે. અને જે પેટે કોન્ટ્રાક્ટર પાર્ટીને અમુક રકમ આપી પણ દેવામાં આવી છે.
આ પ્લાન્ટ ભ્રષ્ટાચારનાં મુદ્દે લાંબા સમયથી ગંધાઈ રહ્યો છે. શાસક તથા વિપક્ષનાં ચોક્કસ લોકો આ ગંધમાં ‘ખુશ્બો’ નો અહેસાસ માણી રહ્યા છે એવી પણ એક વાત છે. આ પ્લાન્ટની દેખરેખ રાખનાર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ આ કામમાં સોલિડ રીતે ચોક્કસ પ્રકારનું ‘મેનેજમેન્ટ’ કરી રહી છે ! અને કોન્ટ્રાક્ટર પાર્ટીને NOC પણ આપી ચૂક્યો છે જેનાં આધારે પાર્ટીએ કોર્પોરેશનમાં આ કામનાં કરોડો રૂપિયાનાં અન્ય બિલો પણ સાદર કર્યા છે. જે હાલમાં કમિશનર ટેબલ પર, અભ્યાસ અર્થે પડ્યા છે.
આ આખો ખેલ કરોડોનો હોવા છતાં વિપક્ષ મૌન છે. વિપક્ષ આક્રમક નથી. વિપક્ષ પાસે રણનીતિ નથી. વિપક્ષને મહાનગરપાલિકા નામની પ્રજાકીય તિજોરીની ચિંતા નથી ! સામાન્ય બાબતોમાં ભૂરાયા થતા વિપક્ષનાં કેટલાંક સભ્યો અવારનવાર સમાચારોમાં ચમકવા હવાતિયાં લગાવતાં હોય છે. જેઓ આ પ્લાન્ટ સંબંધે મૂંગામંતર છે ! કાં ?! એવો પ્રશ્ન નગરજનો પૂછી રહ્યા છે.
જામ્યુકોની તિજોરીનું હિત જોવું વિપક્ષની ફરજ છે. જરૂર જણાય ત્યાં શાસક અથવા અધિકારીનો કાન ખેંચવો વિપક્ષ પાસે અપેક્ષિત હોય છે. પરંતુ આ પ્લાન્ટ સંબંધે વિપક્ષ કુંભકર્ણની ઉંઘ માણી રહ્યો છે. Mysamachar.in દ્વારા આ પ્લાન્ટ મુદ્દે મનપા વિપક્ષ શું કહેવા ઈચ્છે છે ? તે જાણવા વિપક્ષ નેતા ધવલ નંદાને વારંવાર પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો પણ તેવોએ કોઈ જ પ્રતિક્રિયા આપી નથી ! તેઓ આ મુદ્દે જવાબો આપવાનું ટાળી રહ્યા છે, એમ પણ ચર્ચાઓ છે કે, વિપક્ષનાં એક સભ્યની આ કથિત કચરાકાંડમાં પાછલા બારણેથી સંડોવણી હોવાને કારણે, નેતા વિપક્ષ ‘અદબ’ જાળવી રહ્યા છે ! કોઈ પણ ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવાની માધ્યમોની જવાબદારી નૈતિક છે પરંતુ વિપક્ષની તો આ બંધારણીય ફરજ છે, કર્તવ્ય છે. છતાં પણ વિપક્ષ મૌન રહે તેનો માત્ર એક જ અર્થ થઈ શકે. આ જાણીતો અર્થ વિપક્ષ ખુદ જાણે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ કોન્ટ્રાક્ટર પાર્ટી દ્વારા મૂકવામાં આવેલાં બિલો હાલ કમિશનરની કસ્ટડીમાં છે. જામ્યુકોનાં હિતમાં, આ બિલો મંજૂર કરતાં પહેલાં કમિશનરે આ સમગ્ર કથિત કાંડની તટસ્થ, સર્વગ્રાહી અને તાકીદની તપાસ કરાવવી આવશ્યક લેખાશે. આ તપાસનો રિપોર્ટ આવે પછી, તેનો અભ્યાસ કરીને બિલો પાસ કરવા અંગે નિર્ણય લેવા આવે તો તે પ્રજાકીય તિજોરીના હિતમાં રહેશે, એવું જાણકારોનું માનવું છે.
અત્રે એ પણ નોંધનીય છે કે, કાલે બુધવારે બપોર બાદ કોઈ ધાર્મિક સંસ્થાના ટ્રસ્ટીઓ અને સ્થાનિક આગેવાનોએ એવી તકરાર લીધી છે કે, કોર્પોરેશન આ ડમ્પીંગ પોઈન્ટ અહીંથી અન્યત્ર ખસેડી લ્યે, કેમ કે અહીં ખુબ જ દુર્ગંધ આવે છે. કોર્પોરેશનનાં કચરાનાં વીસેક જેટલા વાહનો પણ અહીં રોકી લેવામાં આવતાં, નવી બબાલ સર્જાઈ છે.