Mysamachar.in-જામનગર:
ગત 10 તારીખના જામનગર શહેરના પાર્ક કોલોની વિસ્તાર કમિશ્નર બંગલાની બાજુમાં આવેલ વીજ લાઇનમાં ફોલ્ટ થવાથી વીજ અકસ્માત થયેલ. જેના કારણે ગૌ માતાનું કરૂણ મૃત્યુ થયેલ છે. આ બાબતે આજથી એક મહિના પહેલા આ વીજ લાઇનમાં આ જગ્યા ઉપર આવો જ બનાવ બનેલ હતો અને વીજ અકસ્માતથી તે સમયે પણ એક ગૌમાતાનું કરૂણ મૃત્યુ થયેલ હતું. તે દિવસે પણ આ વિસ્તારના રહેવાસી દ્વારા પીજીવીસીએલના નાયબ ઈજનેરને તેમજ તેમના કર્મચારીઓને આ વીજ અકસ્માત અટકાવવા માટે વીજ કન્ડકટરની જગ્યાએ વીજ કેબલ નાખવાનું સૂચન કરવામાં આવેલ. પરંતુ, આ રજૂઆતને પટેલ કોલોની સબ ડીવીઝનના નાયબ ઇજનેર દ્વારા ધ્યાને લેવામાં આવેલ ન હતું અને એલ.ટી. લાઇનનો કેબલ નાખવામાં આવેલ ન હતો. જેના પરિણામ સ્વરૂપ ફરીથી આ વીજ અકસ્માત થયેલ છે. જેને કારણે ફરી ગૌમાતાનું કરૂણ મૃત્યુ થયેલ છે.
આ બનાવ માટે નાયબ ઇજનેર પટેલ કોલોની તથા તેમના કર્મચારીઓ સંયુક્તપણે જવાબદાર છે. તથા તેમના દ્વારા આ બાબતે અગાઉ જ્યારે અકસ્માત થયો માટે ફરીથી અકસ્માત ન થાય તે માટે જરૂરી પગલાં લેવામાં ન આવવા ને કારણે પણ આ અકસ્માત બનેલ છે.આ ઉપરાંત બે ત્રણ દિવસ પહેલા પંચવટી ગૌશાળા વિસ્તારમાં ઝાડ પડવાના કારણે વિસ્તારમાં લોકોને ચોવીસ કલાકથી પણ વધારે વીજ પુરવઠાથી લોકો વંચિત રહેલ હતા. તેમાં પણ વરસાદ પહેલા કરવામાં આવેલ કામગીરી નબળી અથવા તો નહીવત કરવાથી આવા બનાવ બનેલા છે.
જામનગર શહેરના એચ.ટી. લાઇન સંભાળતા નાયબ ઇજનેરની જગ્યા ઘણા સમયથી ખાલી છે તથા ઇન્ચાર્જ નાયબ ઇજનેરઑ દ્વારા અન્ય જવાબદારીને કારણે આ વિસ્તારમાં કામગીરીમાં પૂરતું ધ્યાન ન દેવાને કારણે આવા બનાવો બને છે. જેનો ભોગ ત્યાં રહેતા રહેવાસીઓને સહન કરવું પડે છે.ગૌ માતાના થયેલ મૃત્યુમાં જવાબદાર કર્મચારી તેમજ પ્રિ-મોન્સૂન કામગીરીમાં દાખવેલ ઘોર બેદરકારીમાં જવાબદાર અધિકારી ઉપર ખાતાકીય તપાસ કરી શિક્ષાત્મક પગલાં લેવા ભાજપના પૂર્વ કોર્પોરેટર નીલેશ કગથરા દ્વારા પીજીવીસીએલના અધિક્ષક ઈજનેરને પત્ર લખી રજુઆત કરાઈ છે.