Mysamachar.in-જામનગર
જામનગર ખાતે આજે રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો છે. સમગ્ર જિલ્લામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાન સાથે જ જી. જી હોસ્પિટલ જામનગર ખાતેથી અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે રસીકરણ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ તકે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું કે, સમગ્ર વિશ્વ કોરોનાની મહામારીથી હચમચી ગયું હતું ત્યારે ભારત જેવા ખૂબ મોટી વસતી ધરાવતા દેશમાં પણ પ્રધાનમંત્રીની દીર્ઘદ્રષ્ટિથી આગોતરા પગલાં અને આયોજનના કારણે અન્ય દેશોની સરખામણીએ ખૂબ ઓછા કેસ જોવા મળ્યા. તત્પરતા અને ત્વરીત સારવાર થકી અન્ય દેશોની સરખામણીએ ભારતમાં મૃત્યુદર ઓછો અને રિકવરી રેટ ખૂબ ઉંચો થયો. આમ છતાં પણ આપણે આપણા ઘણા સ્વજનો ગુમાવ્યા છે, જેમાં આપણા હેલ્થ કર્મીઓ પણ સેવા કરતાં કરતાં શહીદ થયા છે, કહીમંત્રીએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
આજે એમ.પી.શાહ મેડીકલ કોલેજ ખાતેના રસીકરણ બૂથ લેવલે 170 જેટલા તબીબોને રસી આપવામાં આવશે. આ તકે કલેકટરએ આ કોરોના મહામારી દરમિયાનના એક વર્ષની જામનગર જિલ્લાની લડતના સંસ્મરણોને તાજા કર્યા હતા અને સાથે જ આરોગ્યકર્મીઓ, જામનગરની અનેક સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ, અનેક નામી અનામી દાતાઓનો આ લડતમાં સહયોગ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
આ રસીકરણના શુભારંભ સાથે જામનગર જિલ્લામાં પ્રથમ એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન ડોક્ટર નંદિની દેસાઈએ વેક્સિનનો સૌપ્રથમ ડોઝ લીધો હતો અને અન્ય લોકોને પણ રસી લઇ આ અભિયાનમાં જોડાઇ માનવજાતને આ મહામારીમાંથી બહાર આવવા અપીલ કરી હતી. ડિન બાદ કોવિડના નોડલ ડો. ચેટરજી, જી.જી. હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. તિવારી, whoના પ્રતિનિધિ ડો. વિનય કુમારે પણ રસી લઇ રસીકરણઅભિયાનમાં સહયોગ આપ્યો હતો.
આ રસીકરણમાં પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સુભાષભાઈ જોશી, કમિશનર સતીશ પટેલ, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના ડીન અનુપ ઠાકર, આઇએમએના પ્રેસિડેન્ટ ડો. પ્રશાંત તન્ના,વાઇસ પ્રેસિડેન્ટ ડો. વિજય પોપટ, એડિશનલ સુપ્રિટેન્ડન્ટ ડો. વસાવડા, ડો. અજય તન્ના, કોરોનાના નોડલ ડો. ગોસ્વામી,કર્નલ શર્મા, ડો. ભાર્ગવ ડાંગર, મહાનગરપાલિકાના મેડીકલ ઓફિસર ડો. ઋજુતા જોશી વગેરે મહાનુભાવો-પદાધિકારીઓ અને ડોક્ટરો, આરોગ્યકર્મીઓ ઉપસ્થિત રહ્યા