Mysamachar.in:જામનગર
આપણું તંત્ર કેટલું નઘરોળ હોય છે તેનો વધુ એક પુરાવો જામનગરમાં સામે આવ્યો છે. સામાન્ય માણસોને તો વીજળીનો પ્રશ્ન અનેક વખત હોય છે પણ માણસ મર્યા બાદ પણ કેટલી અગવડતા ભોગવવી પડે તેનો કિસ્સો જામનગરમાં સામે આવ્યો…જામનગરમાં એક તો આટલી મોટી વસ્તી સામે ગણીને બે સ્મશાન છે. વર્ષોથી લાલપુર બાયપાસ નજીક સ્મશાન બનાવવાની વાતો માત્ર થાય છે, પણ જે સ્મશાનો છે તેને પણ કેવી હાલાકી ભોગવવી પડે છે તે વધુ એક વખત સામે આવ્યું છે.
જામનગર શહેરમાં મોક્ષ મંદિર સમિતિ (હિન્દુ સાર્વજનિક સ્મશાન)ના નામથી માનવદેહનો નિકાલ કરવા માટેનું સ્મશાન વર્ષ 2010થી કાર્યરત છે, જેમાં ઈલેકટ્રીક ભઠ્ઠી, આધુનિક ગેસ ભઠ્ઠી તથા લાકડામાં માનવ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. આ સ્મશાનમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એટલે કે નિઃશુલ્ક અંતિમ સંસ્કારની સગવડ આપવામાં આવે છે.
સંસ્થાને ઈલેકટ્રીક પાવર સપ્લાય હાલાર ફીડરમાંથી આપવામાં આવે છે. જયાંથી પાવર સપ્લાય આવે છે ત્યાં રસ્તામાં ગત તા.07/06/23 ના એક પોલ પડી જતાં પાવર સપ્લાય બંધ થઈ ગયેલ છે. ત્યારબાદ તા.15/06/23 ના વાવાઝોડાના સમયમાં વધુ 7 થી 8 પોલ પડી જતાં સદંતર પાવર સપ્લાય બંધ થઈ ગયેલ છે. તે વિસ્તાર દરિયાના પાણીથી ભરેલ રહે છે. તા.07/06/23 થી આજ દિવસ સુધી પી.જી.વી.સી.એલ. ના ઘણાં એન્જીનીયરોને ટ્રસ્ટી ગીરીશ ગણાત્રા અને મહેન્દ્ર ખાંટ દ્વ્રારા અવારનવાર રજૂઆત કરવા છતાં આજ દિવસ સુઘી પાવર સપ્લાય આવેલ નથી, દરરોજ સ્મશાને અંતિમયાત્રા લઈને પહોચતા ડાઘુઓને અગ્નિસંસ્કાર માટે ના પાડવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જે જામનગર માટે શરમજનકની વાત હોવાની રજૂઆત સ્મશાન સમિતિ દ્વારા મુખ્યમંત્રીને કરવામાં આવી છે.