Mysamachar.in-જામનગર:
જામનગરમાં ટ્રાફિક સંદર્ભમાં જંગલરાજ વર્ષોથી કુખ્યાત છે. શહેરમાં પાર્કિંગની સમસ્યા અને અનિયંત્રિત વાહનવ્યવહાર વર્ષોથી માથાનો દુખાવો છે. ટ્રાફિક શાખાનાં અધિકારીઓ નિયમન અને નિયંત્રણમાં ટૂંકો પન્નો ધરાવનાર પૂરવાર થતાં રહે છે. જેને પરિણામે શહેરમાં બેડી બંદર રોડ, હોસ્પિટલ, ગુરૂદ્વારા, સુપર માર્કેટ, સાત રસ્તા, પવનચક્કી અને લાલપુર બાયપાસ ચોકડી નજીક અવારનવાર ટ્રાફિક જામ સર્જાતા રહે છે અને હજારો નગરજનો પરેશાન થાય છે. ટ્રાફિક શાખાનાં હજુ સુધીનાં કોઈ મુખ્ય અધિકારીને નગરજનોએ રસ્તાઓ પર તંત્રને દોડાવતાં જોયાં નથી.
શહેરમાં નાગનાથ નાકા વિસ્તારમાં પણ દર રવિવારે ખાસ કરીને સવારનાં સમયે, નદીનાં પટમાં યોજાતી ગુજરીબજારને કારણે, ભારે ટ્રાફિક જામનાં દ્શ્યો અવારનવાર જોવા મળે છે. ટ્રાફિક પોલીસકર્મીઓ ભાગ્યે જ આવાં સ્થળોએ જોવા મળે ! સાત રસ્તે પણ આવી જ સ્થિતિ. ગઈકાલે રવિવારે નાગનાથ નાકા વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ થતાં ખુદ નાયબ પોલીસ અધિક્ષકે ટ્રાફિક કલીયર કરાવવા દોડી જવું પડ્યું હતું ! લોકોને આશ્ચર્ય એ વાતનું થયું કે, ડીવાયએસપીએ આવાં ફાલતૂ કામો માટે દોડી જવું પડે ?! ટ્રાફિક શાખાનાં જવાબદારો ક્યાં હોય છે ? શું કરતાં હોય છે ?!
અત્રે એ પણ નોંધનીય છે કે, ખંભાળિયા-જામનગર તથા જામનગર-રાજકોટ હાઈવે પરનો ઠંડો પવન ટ્રાફિક શાખાને, શહેરની ગરમી-ગિરદી કરતાં વધુ પસંદ આવતો હોવાનું માનવામાં આવે છે.