Mysamachar.in-જામનગર:
ચૂંટણીઓમાં આમ તો EVM સહિતના બધાં જ મશીનોની ચકાસણીઓ કરીને સંબંધિત મતદાન મથક પર મોકલવામાં આવતાં હોય છે પરંતુ મશીન એવી ચીજ હોય છે, આપણે સૌ જાણીએ છીએ કે, ગમે ત્યારે તેમાં ખોટકો આવી શકતો હોય છે. જામનગર લોકસભા મતવિસ્તારના કેટલાંક મતદાન મથક પર આમ બન્યું છે. EVM અને VVPAT માં ક્યાંક ક્યાંક ક્ષતિ ઉભી થયાનું જાહેર થયું છે.
જામનગર લોકસભા બેઠકના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી Z.V.પટેલ સાથેની વાતચીતમાં Mysamachar.in ના ધ્યાન પર આવ્યું છે કે, 3 વિધાનસભા મતવિસ્તારમાં એક એક EVM બદલાવવું પડ્યું છે અને એક વિધાનસભા મતવિસ્તારમાં VVPAT માં ખોટકો ઉભો થતાં તે પણ બદલાવી નાંખવામાં આવ્યું છે અને આ બધી જ જગ્યાઓ પર ફરીથી મતદાન શરૂ કરાવવામાં આવ્યું છે.
ચૂંટણીતંત્રના જણાવ્યા અનુસાર, આજે સવારથી મતદાન શરૂ થયા બાદ કાલાવડ વિધાનસભા મતવિસ્તાર હેઠળના ધ્રોલ, જામનગર દક્ષિણ વિધાનસભા મતવિસ્તાર તથા દ્વારકા વિધાનસભા મતવિસ્તારમાં એક એક મતદાન મથક પર કુલ 3 EVM માં ક્ષતિ ઉભી થતાં, આ 3 મથકો પર EVM બદલાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ખંભાળિયા વિધાનસભા મતવિસ્તારના એક મતદાન મથક પર VVPAT માં વાંધો ધ્યાન પર આવતાં ત્યાં VVPAT બદલાવવામાં આવ્યું. આ ચારેય મતદાન મથક પર મશીનો બદલાવી તરત ફરીથી મતદાન શરૂ કરાવવામાં આવ્યું છે. ચૂંટણીતંત્રને આ સિવાય અન્ય કોઈ ફરિયાદ કે રજૂઆત મળી નથી, એમ પણ તંત્ર જણાવે છે.
(તસ્વીર સૌજન્ય ગુગલ)