Mysamachar.in-જામનગર:
કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ એક મહત્વની જાહેરાત કરી છે. આ જાહેરાત અમૃતસર-જામનગર નેશનલ હાઈવે સંબંધિત છે. જેમાં ધ્રોલ-આમરણ વચ્ચેના માર્ગના નવીનકરણ અંગે પણ જાણકારીઓ આપવામાં આવી છે. ગુજરાતમાં આ માર્ગ સહિતના નેશનલ હાઈવેનું અપગ્રેડેશન કરવા નાણાંની ફાળવણી કરવામાં આવી છે.
ગડકરીએ સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર લખ્યું છે કે, મોરબીમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 151-A ના અપગ્રેડેશન અંતર્ગત ધ્રોલ-આમરણ નેશનલ હાઈવેનું કામ (47.3કિમી) રૂ. 625.58 કરોડના ખર્ચથી થશે. ગુજરાતમાં આ સમગ્ર કામગીરીઓ અમૃતસર-જામનગર નેશનલ હાઈવેની ખૂટતી કડીઓ પૂર્ણ કરવા માટે છે.
ધ્રોલ-આમરણ-પીપળિયા કટકો ઔદ્યોગિક જામનગર શહેરને ગુજરાતના પૂર્વ અને ઉતરીય ભાગો સાથે તથા નેશનલ હાઈવે 151-A સાથે સીમલેસ કનેકટીવીટી પ્રદાન કરશે એમ નીતિન ગડકરીએ જણાવ્યું છે. અન્ય એક પોસ્ટમાં ગડકરીએ ગુજરાતના વડોદરા-સુરત અને ભરૂચ જિલ્લાઓના ધોરીમાર્ગ અપગ્રેડેશનની વાત લખી છે. તેનો ખર્ચ રૂ. 907.39 કરોડ ગણાવવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 સુવર્ણ ચતુર્ભુજનો એક હિસ્સો છે. જે દેશના સૌથી વ્યસ્ત ધોરીમાર્ગો પૈકીનો એક છે. આ ધોરીમાર્ગ દિલ્હીથી શરૂ થઈ હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટક થઈ છેક તામિલનાડુ સુધી પહોંચે છે. નિર્માણાધીન વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે આ પ્રોજેક્ટ રૂટને ક્રોસ કરે છે. જે ટ્રાફિકની અવરજવરને સરળ બનાવવા નેશનલ હાઈવે-48 ની સાથે જોડી દેવામાં આવશે. NH-48 ના વડોદરા-સુરત વિભાગના તમામ સાંકડા પુલોને બદલવાની પણ વિચારણાઓ ચાલે છે.
(અહી મુકવામાં આવેલ તસ્વીર પ્રતિકાત્મક છે)