Mysamachar.in-જામનગર:
જામનગર હિંદુ જાગરણ મંચ દ્વારા સ્થાનિક સત્તાવાળાઓ સમક્ષ એવી માંગ કરવામાં આવી છે કે, શહેર જિલ્લામાં યોજાતાં દરેક અર્વાચીન દાંડિયારાસ આયોજનોમાં પાસ સાથે આધારકાર્ડ ફરજિયાત કરવામાં આવે. કેમ કે, આ તહેવાર દરમિયાન અને બાદમાં વિધર્મીઓ દ્વારા હિંદુ યુવતીઓનું શોષણ થાય છે. આ યુવતીઓ સાથે છેતરપિંડી કરવામાં આવે છે. એવો આક્ષેપ પણ આ રજૂઆતમાં કરવામાં આવી છે. હિંદુ જાગરણ મંચનાં જામનગર જિલ્લા સંયોજક ભરતભાઈ ફલિયાએ કલેકટર કચેરી સમક્ષની રજૂઆતમાં જણાવ્યું છે કે,
આગામી નવરાત્રિ મહોત્સવ દરમિયાન દરેક અર્વાચીન દાંડિયારાસ આયોજનોમાં સંખ્યાબંધ યુવકો અને યુવતીઓ ભાગ લેશે. આ પ્રકારના તહેવારો દરમિયાન ઘણાં વિધર્મી યુવકો હિંદુ નામો ધારણ કરી હિંદુ યુવતીઓ સાથે દોસ્તી કરતાં હોય છે. એ રીતે યુવતીઓ સાથે છેતરપિંડી આચરતાં હોય છે. આ ઉપરાંત સરકારી આંકડા મુજબ એવું ધ્યાનમાં આવ્યું છે કે, નવરાત્રિ મહોત્સવ પછીનાં એકાદ બે મહિના દરમિયાન યુવતીઓનાં શોષણ થયાનાં કિસ્સાઓની સંખ્યા વધવા પામે છે. અર્વાચીન દાંડિયારાસનાં આયોજનમાં ખેલૈયાઓને પાસ ઇસ્યુ કરવામાં આવે ત્યારે આયોજકો તમામ પાસેથી આધારકાર્ડની નકલો મેળવે તથા આ તમામ વિગતો આયોજકો પોતાની પાસે રાખે અને આમ કરવામાં જો કોઈ આયોજક ચૂક કરે તો તેમની વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવે તે મતલબનું જાહેરનામું સત્તાવાળાઓએ બહાર પાડવું જોઈએ એવી માંગણી સાથેનું આવેદનપત્ર હિંદુ જાગરણ મંચ દ્વારા સત્તાવાળાઓને આપવામાં આવ્યું છે.