Mysamachar.in:જામનગર
ગત્ જૂન મહિનામાં જામનગર અને દ્વારકા જિલ્લા સહિત સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં અને ઉત્તર ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાંની અસરો જોવા મળી હતી. જેણે ઘણું નુકસાન પણ પહોંચાડ્યું હતું. ખાસ કરીને કચ્છ જિલ્લામાં આ વાવાઝોડાને કારણે ઘણી અસરો પહોંચી હતી. આ નુકસાનીનો અંદાજ મેળવવા કેન્દ્ર સરકારની ટીમ આજે જામનગરમાં છે.
જામનગર જિલ્લા કલેકટર કચેરી સૂત્રોના જણાવ્યા અનુસાર, આજે સવારે 10:30 થી 11:30 દરમિયાન કલેકટર કચેરીમાં કેન્દ્રીય ટીમનું આગમન થયું હતું અને જિલ્લા વહીવટીતંત્ર સાથે બેઠક યોજવામાં આવી હતી. આ ટીમ સરકારનાં જુદાં જુદાં 19 વિભાગનાં અધિકારીઓ સાથે ચર્ચા કરી નુકસાનીનો વ્યાપક અને વાસ્તવિક અંદાજ પ્રાપ્ત કરશે. લોસ એન્ડ ડેમેજનો આ અંદાજ કેન્દ્ર સરકારમાં પ્રસ્તુત થશે. આ 19 વિભાગોમાં વીજતંત્ર અને માર્ગ મકાન તેમજ કૃષિ સહિતના વિભાગોનો સમાવેશ થતો હોવાનું જાણવા મળે છે. આ કેન્દ્રીય ટીમમાં 7 સભ્યો છે. આ ટીમ આગામી 4 તારીખ સુધી રાજ્યમાં રહેશે. આ ટીમ કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદર અને બનાસકાંઠા એમ કુલ પાંચ જિલ્લાઓની નુકસાનીઓનો અંદાજ મેળવશે.
આ કેન્દ્રીય ટીમને IMCT (ઈન્ટર મિનિસ્ટેરિયલ સેન્ટ્રલ ટીમ) નામ આપવામાં આવ્યું છે. ટીમે પ્રવાસનાં પ્રથમ દિવસે કાલે મંગળવારે રાજ્યનાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ ટીમ સમગ્ર રાજ્યમાંથી નુકસાનીનો જે અંદાજ મેળવશે તે મુજબ કેન્દ્ર સરકારમાંથી ગુજરાતને વાવાઝોડાની સહાય આપવામાં આવશે.
આ ટીમે મંગળવારે વાવાઝોડાની નુકસાની અંગે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીનાં જોઈન્ટ સેક્રેટરી અને IMCT ટીમના લીડર હર્ષ ગુપ્તા તેમજ રાજય સરકારનાં મહેસૂલ વિભાગનાં અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસની ઉપસ્થિતિમાં રાજય સરકારનાં વિવિધ 19 વિભાગોનાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. અને જરૂરી વિગતો એકત્ર કરી હતી. મહેસૂલ વિભાગે આ ટીમને જણાવ્યું છે કે, રાજ્યમાં રસ્તા, વીજળી, કૃષિ , મકાનો, બંદરો અને વૃક્ષોને વાવાઝોડાની અસરો પહોંચી હતી અને નુકસાન થયું હતું.
આ ટીમ આજે જામનગર આવી હતી અને કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજી હતી. જેમાં કલેકટર બી.એ. શાહ, નિવાસી અધિક કલેકટર બી.એન.ખેર સહિતના વિવિધ વિભાગોનાં ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં અને કેન્દ્રીય ટીમ સમક્ષ નુકસાન અંગેનાં આંકડા તથા વિગતો રજૂ કરી હતી.
– કેન્દ્રીય ટીમ આવતીકાલે દેવભૂમિ દ્વારકામાં
જામનગર વીજતંત્રનાં અધિક્ષક ઇજનેર એલ.કે.પરમારે માય સમાચાર ડોટ ઈન સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, જામનગર અને દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની સ્થિતિને કારણે જે નુકસાન થયું છે તે અંગેનાં આંકડા કેન્દ્રીય ટીમ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. આ ટીમ જામનગર તથા દ્વારકા જિલ્લામાં નુકસાન નિહાળવા સાઈટ વિઝિટ પણ કરશે. આ ટીમ દ્વારકા જિલ્લામાં આવતીકાલે ગુરુવારે સાઈટ વિઝિટ કરશે.