Mysamachar.in-જામનગર:
જામનગરમાં સાત રસ્તા-જનતા ફાટક માર્ગ પર આવેલાં ઓશવાળ સેન્ટરમાં અંગ્રેજી માધ્યમની એક શાળા વર્ષોથી કાર્યરત છે, આ શિક્ષણ સંસ્થાએ તાજેતરમાં એક જબરો ખેલ પાડ્યો છે, એવી વિગતો બહાર આવતાં સંખ્યાબંધ ઓશવાળ જ્ઞાતિજનોએ આ મામલે સંબંધિત સ્થાનિક સત્તાવાળાઓને આવેદન આપી જરૂરી પગલાંઓની માંગ કરતાં ઓશવાળ સમાજ અને શિક્ષણ જગતમાં ચકચાર મચી છે.
જામનગરમાં બેડીબંદર રોડ પર વસવાટ કરતાં અને ઓશવાળ સમાજની વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા સામાજિક કાર્યકર સુભાષ ગડા અને અન્ય જ્ઞાતિજનોએ કલેક્ટર કચેરી, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને જામનગરની ટ્રસ્ટો માટેની કચેરીએ એક આવેદન આપ્યું છે, જેમાં કેટલીક એવી બાબતોનો ઉલ્લેખ કરેલો છે કે, આ બાબતો પ્રત્યે સ્થાનિક સત્તાવાળાઓએ ખુલાસાઓ કરવા પડે તેવી સ્થિતિ છે.
આ આવેદનમાં જણાવાયું છે કે, ઓશવાળ સેન્ટરમાં ઓશવાળ ઈંગ્લીશ એકેડમી નામથી ચાલતી શિક્ષણ સંસ્થાની દીવાલો પર શિક્ષણ અને એડમિશન સંબંધે કેટલાંક બેનર લાગેલાં છે. આ જાહેરાતોમાં શિક્ષણના જુદાં જુદાં બોર્ડનો ઉલ્લેખ કર્યો છે. અહીં નવી શાળાઓ માટે મંજૂરીઓ આપવામાં આવી છે ? એક જ શિક્ષણ સંસ્થાના બિલ્ડીંગમાં 3 અલગઅલગ શિક્ષણ બોર્ડની સંસ્થાઓ શક્ય હોય શકે ? અને અહીં ચાલતી આ શૈક્ષણિક સંસ્થાઓમાં એડમિશનની પ્રક્રિયાઓ કોની મંજૂરીથી ચાલી રહી છે ?
ઓશવાળ ઈંગ્લીશ એકેડમી નામની આ શૈક્ષણિક સંસ્થાનું સંચાલન ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘ કરે છે. પરંતુ આ સંસ્થાની આ ઈમારતનો માલિકીહક્ક આ સંચાલક સંઘ પાસે નથી. અહીં બિલ્ડીંગ ભાડે આપવાની ટ્રસ્ટની સતાનો પણ પ્રશ્ન ઉભો થઈ શકે. અહીં ઓશવાળ શ્રી વેદાંત ઈન્ટરનેશનલ સ્કૂલ કેવી રીતે, કોની મંજૂરીથી શરૂ થઈ છે ? એવો પ્રશ્ન પણ આ આવેદનમાં પૂછવામાં આવ્યો છે.
આવેદનમાં જણાવાયું છે કે, આ શૈક્ષણિક સંસ્થાના બિલ્ડીંગના પ્રોપર્ટી કાર્ડ વગેરેની હકીકતો પણ લોકોની જાણ માટે બહાર આવવી જોઈએ. અથવા તો, કોઈ ભાડાકરાર કે એવા કોઈ કાગળો છે કે કેમ ? તે અંગે પણ પ્રશ્ન થયો છે. અહીં ચાલતી વિવિધ શૈક્ષણિક પ્રવૃતિઓ માટેની ફી ના ધોરણો કોણે, કેવી રીતે નક્કી કર્યા છે, એ વિગતો બહાર આવવી જોઈએ એવી પણ માંગ કરવામાં આવી છે. સુભાષ ગડા ઉપરાંત કાંતિલાલ શાહ, શિરીષ સાવલા અને ભાવેશ હરીયા સહિતના સંખ્યાબંધ જ્ઞાતિજનોએ આ આવેદનો સંબંધિત સત્તાવાળાઓને આપતાં મામલો ચર્ચાઓમાં આવ્યો છે.